________________
વૃક્ષની ડાળ પર બેઠેલા એક વૃદ્ધ પોપટ પર એ વૃક્ષની નીચે બેસીને ઉજાણી કરી રહેલા કૉલેજીયન યુવકોની નજર પડી. કોણ જાણે, એક કૉલેજીયન યુવકને શું થયું, એણે વૃદ્ધ પોપટને વિનંતિ કરી. ‘તમારા જીવનના અનુભવો પરથી તમે અમને કાંઈ સલાહ આપો ખરા ?” ગળું ખંખેરીને એ વૃદ્ધ પોપટે મધુર સ્વરમાં એ સહુ યુવકોને સોનેરી સલાહ આપતા કહ્યું, જુઓ. મારું બાહ્ય વ્યક્તિત્વ જેટલું આકર્ષક છે, મારા વચનમાં માધુર્ય પણ એટલું જ છે તો સાથોસાથ મારા વર્તનમાં શિષ્ટાચાર પણ એટલો જ છે. જગત માટે તમે સાચે જ જો વરદાનરૂપ અને આશીર્વાદરૂપ બનવા માગો છો તો આ બાબતમાં એકદમ સ્પષ્ટ થઈ જજો. વ્યક્તિત્વ આકર્ષક, વચન પ્રભાવશાળી અને વર્તનમાં દુરાચારની દુર્ગધ ? આવો વિસંવાદ તમારા જીવનમાં ક્યારેય ન સર્જાય એની ખાસ તકેદારી રાખજો. અરે, તમારું વ્યક્તિત્વ અનાકર્ષક હશે તો ચાલશે, વક્તવ્ય માયકાંગલું હશે તો ચાલશે પણ વર્તનમાં તો તમારે પવિત્રતા ઝળકાવતાં જ રહેવું પડશે.”