________________
ધર્મ મોત પછી પરલોકમાં પણ સાથે આવે છે. જાગૃતિ રાખવામાં આવે છે તો ધર્મ મોત સુધી સાથે રહે જ છે અને જ્યાં સુધી હૃદયમાં ધર્મ રહે છે ત્યાં સુધી ચિત્તની પ્રસન્નતા અનુભવાય છે. આવું જાણવા છતાં ય મોત પછી સાથે ન આવતા, મોત સુધી સાથે ન રહેતા અને જ્યાં સુધી સાથે હોય છે ત્યાં સુધી પણ ચિત્ત પ્રસન્નતાની બાંહેધરી ન આપતા પૈસા પાછળ માણસને પાગલ બનીને ભટકતો જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
મુંબઈ જતી વખતે ય દિલ્લીવાસીના મુખ પરનું સ્મિત અકબંધ હોઈ શકે છે કારણ કે એને ખાતરી હોય છે કે મુંબઈનું કામ પતાવીને હું પાછો દિલ્હી પહોંચી જ જવાનો છું પરંતુ પોતાની આંખ સામે જ બધું ય છોડીને અને બધાયને છોડીને પરલોકમાં રવાના થઈ ગયેલા સંખ્યાબંધ માણસોને જોવા છતાં ય, પરલોકમાંથી કોઈને ય પાછા ફરેલા ન જોવા છતાં ય માણસ બધી જ જાતનાં પાપો આચરતો રહે છે એ જોઈ સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
પ0
એક હજાર રૂપિયા આપીને રમકડું ખરીદી લાવતા દીકરાને બાપ કદાચ લાફો લગાવી દે છે; પરંતુ પૈસા મેળવવાની, ટકાવવાની અને વધારવાની લ્હાયમાં એ જ બાપ જ્યારે A = એટેકને, B = બ્લડ પ્રેશરને, C = કૉલસ્ટ્રોલને અને D = ડાયાબીટિસને શરીરમાં ડેરા-તંબૂ નાખવાની પરવાની આપી દેતો જોવામાં આવે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.