________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
પ્રશમરતિ
બીજું એક દૃષ્ટાંત જુઓ. તમારી પાસે સોનાનો હાર છે. તમે તેને તોડાવી નાંખ્યો અને ઘડિયાળનો સુંદર પટ્ટો બનાવ્યો... આ કઈ પ્રક્રિયા થઈ? ઉત્પત્તિ, સ્થિતિ અને લયની આ પ્રક્રિયા છે. સોનું કાયમ રહ્યું, હાર તરીકે એનો નાશ થયો, પટ્ટા તરીકે એની ઉત્પત્તિ થઇ!
હવે આત્મામાં આ ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો હેતુ ઘટાવીએ. આપણો આત્મા અત્યારે મનુષ્ય રૂપે છે, તેનું મૃત્યુ થાય અને તે દેવરૂપે જન્મે. કોઈ દેવ મૃત્યુ પામે ને તે મનુષ્ય રૂપે જન્મે. કોઈ પશુ રૂપે મૃત્યુ પામે અને મનુષ્યરૂપે જન્મે..... જીવોનું ચાર ગતિમાં જે નિરંતર પરિભ્રમણ ચાલી રહ્યું છે; તેમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પ્રક્રિયા જ જોવા મળે છે. મનુષ્ય તરીકે લય અને દેવ તરીકે ઉત્પત્તિ, આત્મારૂપે સ્થિતિ! દેવ તરીકે લય, મનુષ્ય રૂપે ઉત્પત્તિ અને આત્મા કાયમ! આત્મતત્ત્વ શાશ્વત્ છે. આત્મદ્રવ્યની ઉત્પત્તિ કે નાશ થતા નથી. એ આત્મદ્રવ્યના પર્યાયોની ઉત્પત્તિ થાય છે ને નાશ થાય છે. એ પર્યાયો, એ અવસ્થાઓ આત્માની છે, એટલે ‘આત્માની ઉત્પત્તિ’, ‘આત્માનો નાશ’, એમ બોલાય છે.
આ રીતે આંગળી, સોનું અને આત્માનાં ઉદાહરણ-ઢષ્ટાંત આપીને ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ, આ હેતુને પુષ્ટ કરવામાં આવ્યા, સર્વજ્ઞવાણી આવા શ્રેષ્ઠ હેતુઓવાળી અને ત્રિકાલાબાધિત દૃષ્ટાન્તોથી ભરપૂર છે, માટે તે ઉત્તમ રસાયણ છે.
૩, સર્વજ્ઞવાણીમાં કોઈ વિરોધાભાસ નથી, એ વાણી જે પ્રતિપાદનો કરે છે, તે પરસ્પર વિરોંધી હોતાં નથી. જેમ, સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું : ‘આત્મા નિત્યાનિત્ય છે. આમ જોઈએ તો ‘નિત્યત્વ’ અને ‘અનિત્યત્વ' પરસ્પર વિરોધી તત્ત્વ છે. વસ્તુ જો નિત્ય હોય તો તે અનિત્ય ન હોય અને અનિત્ય હોય તો તે નિત્ય ન હોય. આવું સામાન્ય બુદ્ધિમાં સમજાય છે. એક જ વસ્તુમાં નિત્યત્વ અને અનિત્યત્વ બંને રહે! આ વિરોધાભાસ લાગે છે ને? ના, વિરોધાભાસ નથી, આપણે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારીશું તો વિરોધાભાસ દૂર થઈ જશે!
આત્મા દ્રવ્યથી નિત્ય છે.
આત્મા પર્યાયથી અનિત્ય છે.
આત્માના દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક.... આ પર્યાયો છે. આ પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, માટે આત્મા ‘અનિત્ય’ કહેવાય. પરંતુ પર્યાયોના નાશ સાથે દ્રવ્ય (આત્મા) નાશ પામતું નથી, માટે આત્મા ‘નિત્ય’
For Private And Personal Use Only