________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રચનાનો પ્રસાર કરવો ઘણો આવશ્યક અને ઉપકારક લાગે છે.
સાધુ-સાધ્વી બન્યા પછી તરત જ આ રચનાઓ કંઠસ્થ કરાવવામાં આવે તો સાધુ-સાધ્વીનો વૈરાગ્ય જીવંત રહે. પછી સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન મળ્યા પછી, “જ્ઞાનસાર' આદિ અને “સામ્યશતક' આદિ છ ગ્રંથો કંઠસ્થ કરવામાં આવે તો સાધુ-સાધ્વીને પોતાની આરાધનાની ચોક્કસ દિશા મળે અને તેમનું મન ક્યારેય મંદી ન અનુભવે.
આ બધાં ગ્રંથો, (અને આવા બીજા પણ પ્રશમરતિ “શાન્તસુધારસ' વગેરે ગ્રંથો) મનની તરડાયેલી ધરતી પર પુષ્પરાવર્ત મઘ-વર્ષા જેવાં છે, કાજળઘેરી કાળી રાતના અંધારા જેવા મનની અંદર મધ્યાહ્ના સૂર્યના કિરણો જેવા છે. આ ગ્રંથો તમને ઉત્સાહ-ઉમંગથી ભરી દેશે. ઈન્દ્રિયોની ચંચળતા ઘટશે અને કષાયો ઉપશાન્ત થશે. અલબત્ત, તમારે આ બે ધ્યેય જીવંત રાખવા પડશે. ગારવોની આસક્તિ ઘટશે અને પરિષહોને સહવાની શક્તિ વધશે. - પ્રિય મુનિરાજ, હવે એકલતાની અંધારી કોટડીમાંથી બહાર નીકળો. સુખદુઃખના જાતજાતના તોફાનોમાં ઘેરાયેલા જિંદગીના મહાસાગરના કિનારે ઊભા રહો. ઊભા ઊભા તેનું દર્શન કરો. તમારા મનમાં ડિપ્રેશન લાંબું ટકી શકશે નહીં. દરિયો તોફાની છે તે જાણવા છતાં પોતાની હોડીને મુકામ પર પહોંચાડવા તત્પર સાગરખેડુઓને જે જુએ છે તેને પોતાના મનની ઉદાસીના ખાબોચિયામાં જ પડ્યા રહેવાનું ગમે નહીં.
વહાલા મુનિવર, તમે તમારા અંતરાત્માને પૂછો : “હું સાધુ છું ને? એક સાધુ તરીકે મારામાં જે કાંઈ રચનાત્મક ગુંજાશ છે, તેનો મેં શું ઉપયોગ કર્યો? મારા સાથી, મારા પરિચિત મુનિઓની ઉદાસી દૂર કરી? શું તમારા પરિચયમાં આવનારાં જીવાત્માઓને આત્મજ્ઞાનનો પ્રકાશ આપ્યો? શું એમને શાન્તિસમતા અને પ્રસન્નતાનો અનુભવ કરાવ્યો?”
સુજ્ઞ મુનિવર, તમારા કુંડાળાની બહાર બીજાં પણ સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકા સાથે તમારી સગાઈ છે, તમારો સંબંધ છે - શું એ વાત તમે જાણો છો ને? પરમાત્માના ચતુર્વિધ સંઘમાં એ બધાંનો સમાવેશ છે! આ ચતુર્વિધ સંઘનો નાતો સર્વશ્રેષ્ઠ નાતો છે, આ વાત ન ભૂલશો.
વિદ્વાન મુનિરાજ, તમારામાં ઘણી બધી રચનાત્મક ગુંજાશ છે તેને શોધી કાઢો. તેને અનુરૂપ તમે નવાં જીવનધ્યેયો નક્કી કરો. એ જીવનધ્યેયોને દઢતાથી અનુસરો.
For Private And Personal Use Only