________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિદાન અને ઉપચાર બંનેના “જ્ઞાનસારમાંથી મળી રહે છે. નિશ્ચયનય અને વ્યવહારનયની સમતુલા જે આ ગ્રંથમાં જોવા મળે છે તે ભાગ્યે જ બીજા કોઈ ગ્રંથમાં જોવા મળે! કેવું વિશદ પ્રતિપાદન કરેલું છે! કેવી મર્મસ્પર્શી વાતો કહી છે! અશાંતિ, ક્લેશ કે સંતાપ, કંઈ જ ન ટકે! ખરેખર, ગ્રંથકાર મહાત્માએ પોતાનું શાસ્ત્રજ્ઞાન અને અનુભવજ્ઞાન નીચોવીને આપી દીધું છે. આ ગ્રંથમાં.
આત્મકલ્યાણ સાધવાની તમન્નાથી માર્ગ શોધતાં મુમુક્ષુસાધકને જ્યારે આચારાંગ કે સૂયગડાંગ સૂત્રનો શુદ્ધ મોક્ષમાર્ગ આકરો અને માત્ર આદર્શરૂપ લાગે છે અને બૃહત્કલ્પસૂત્ર વગેરે છેદ ગ્રંથોનો વ્યવહારમાર્ગ. અત્યારે અષ્ટાપદ તીર્થની જેમ અદશ્ય થયેલો સમજાય છે. ત્યારે તે માનસિક તાણ અનુભવે છે. તે તાણમાંથી સાધકને આ "જ્ઞાનસાર' ઉગારી લે છે. મેં એ તાણ પણ અનુભવી છે અને એમાંથી ઉગરવાનો આનંદ પણ અનુભવ્યો છે. એ પરમ ઉપકાર છે આ 'જ્ઞાનસાર” ગ્રંથનો! એ પરમ ઉપકારી ગુરુદેવ છે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી!
'જ્ઞાનસાર' ઉપર આ વિવેચન મેં લખવા ખાતર નથી લખ્યું પણ લખાઈ ગયું છે. લખતાં લખતાં મેં જે આનંદ.. આંતરઆનંદ અનુભવ્યો છે તે શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી, તે માટે શબ્દો જડતા નથી. એવો આંતરઆનંદ બીજા આત્માઓ પણ અનુભવે તે માટે આ વિવેચન છાપવામાં આવ્યું. સર્વપ્રથમ ચાર ભાગમાં પ્રકાશિત થયું, તે પછી બે ભાગમાં પ્રકાશિત થયું અને પછી એક જ ગ્રંથમાં સંપૂર્ણ વિવેચન પ્રગટ થયું. તેની આ નવી આવૃત્તિ પ્રકાશિત થઈ છે.
કેટલાક આત્માર્થી સાધકોએ ૨૧-૨૨ વાર આ વિવેચનગ્રંથનો સ્વાધ્યાય કર્યો છે અને હજુ પુનઃ પુનઃ કરી રહ્યા છે. એ દ્વારા મનની શાંતિ, ચિત્તની પ્રસન્નતા, આત્માની પવિત્રતા મેળવી રહ્યા છે. આ જાણીને મારું હૃદય તૃપ્તિ અનુભવે છે. સહુ માનવો આ રીતે શાંતિ, પ્રસન્નતા અને પવિત્રતા પ્રાપ્ત કરે એ જ મારી નિરંતર ભાવના છે.
પ્રાંતે, આ વિવેચનગ્રંથમાં જિનવચનવિરુદ્ધ પ્રમાદથી કે ક્ષયોપશમની મંદતાથી કંઈ પણ લખાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડ!
- વિજય ભદ્રગુપ્તસૂરિ
For Private And Personal Use Only