________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારું મનોમંથન (છઠ્ઠી આવૃત્તિ) સાહિત્ય બે પ્રકારનું છે. મનુષ્યની લાગણીઓને, ઇચ્છાઓને, વાસનાઓને ઉત્તેજનારું અને ઉપશમન કરનાર, લાગણીઓને ઉત્તેજનારું સાહિત્ય વાંચતી વેળા તો મીઠું અને રસભરપૂર લાગે છે, પરંતુ તે પછી મનુષ્ય અશાંતિ અને અજંપાથી ઘેરાઈ જાય છે. ઉત્તેજિત વાસનાઓની પૂર્તિ કરવા મનુષ્ય દુનિયાની અંધિયારી ગલીઓમાં ભટકતો થઈ જાય છે. જ્યારે એ વાસનાઓ, કામનાઓ સંતોષાતી નથી ત્યારે તેને દુઃખની સીમા રહેતી નથી. વાસનાઓ કદાચ ઘડીભર સંતોષાઈ જાય તો પણ અતૃપ્તિની આગ બુઝાતી નથી.
આજનો માનવી ખૂબ વાંચે છે! ખૂબ જુએ છે અને ખૂબ સાંભળે છે... પરંતુ એ વાંચન, દર્શન અને શ્રવણમાં એવો ઓતપ્રોત થઈ ગયો છે કે ચિંતન અને મનનની પગદંડીઓ જ ભૂલી ગયો છે. વાંચન, દર્શન અને શ્રવણ, ત્રણે માનવીના મનને ઉશ્કેરી રહ્યાં છે. ઉશ્કેરાયેલો માનવી દિશાશૂન્ય બની, બાવરો બની દોડી રહ્યો છે... આથડી રહ્યો છે... ને પટકાઈ રહ્યો છે. કેવી કરુણ સ્થિતિ સર્જાઈ છે મનુષ્યની! આવા કરોડો માનવીઓને માનવીય-નર્કમાંથી ઉગારવાનો ઉચ્ચતમ ભાવ કરુણાવંત જ્ઞાની પુરુષોના હૃદયમાં જાગે છે, તેમાંથી એવું સાહિત્ય સર્જાય છે કે જે માનવીની ઉત્તેજિત વાસનાઓને શાંત કરે, ઉત્કટ ઈચ્છાઓનું શમન કરે, જીવનનો સાચો માર્ગ બતાવે.
“જ્ઞાનસાર' આવી એક અસાધારણ રચના છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીની આ ઉત્તમ રચના છે. “જ્ઞાનસારનો એક એક શ્લોક માનવીના બળતા હૃદયને ઠારના શિતળ પાણી છે, ગશીર્ષ ચંદન છે. આ પ્રતિપાદન માત્ર ગ્રંથની પ્રશંસા કરવા માટે નથી કરી રહ્યો પરંતુ મારો પોતાનો એ અનુભવ છે. મેં મારા બળી રહેલા હૃદયને આ “જ્ઞાનસાર થી ઠાર્યું છે, શાંત કર્યું છે, શિતળ બનાવ્યું છે.
સંસારનાં અસંખ્ય પાપોથી મુક્ત જીવન જીવનારા મોક્ષમાર્ગના આરાધકો પણ જ્યારે વ્યવહારમૂઢ બને છે, માત્ર બાહ્ય ધર્મક્રિયાઓમાં રાચે છે, ત્યારે તેમનાં મન આર્તધ્યાનનો આર્તનાદ કરતાં હોય છે. “આટલી આટલી ધર્મક્રિયાઓ કરવા છતાં મનમાં શાંતિ, સમતા કે સમાધિ નથી આવતી, આવે છે તો ટકતી નથી.' આ શિકાયત ગૃહસ્થ વર્ગમાં અને ત્યાગી વર્ગમાં વ્યાપક બનતી જાય છે. પવિત્ર ધર્મક્રિયાઓ કરવા છતાં અશાંતિ ટળતી નથી! સમતા અને સમાધિ મળતાં નથી! એનું કારણ, એનું નિદાન શોધવું જ રહ્યું. માત્ર પાપ કર્મોનો ઉદય' કહીને હવે આ કેન્સર જેવા જીવલેણ રોગને વધવા ન દેવાય. આ રોગને રોકવો જ જોઈએ.
For Private And Personal Use Only