________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર
વિવેચન : યોગી!
ઊર્ધ્વગામી ગતિશીલતા!
પરમ જ્યોતિમાં ભળી જવાની ઊંડી તત્પરતા!
અંધકારમાં ઉજાસ પાથરવાનું, અસત્યને ફિટાવી સત્યની સ્થાપના કરવાનું, મૃત્યુની જડતાને ભેદી અમરતાને વરવાનું અપ્રતિમ સાહસ કરનાર યોગી!
યોગી કલ્યાણ ચાહે છે! સુખ ચાહે છે! પણ યોગી જે સુખ ચાહે છે તે સંસારની હાટડીઓમાં મળતું નથી. હા, એ હાટડીઓના આંગણામાં સુખ ખરીદનારાઓની ભીડ જામેલી છે, યોગી ત્યાં આવે છે, કંઈક આશ્ચર્ય નિરાશા... અને નિસાસો નાખી યોગી આગળ વધી જાય છે. એ હાટડીમાં સજાવાયેલું સુખ... એની ભીતરમાં દૃષ્ટિ જાય છે અને દિલ દ્રવી જાય છે... હલાહલથી ય દારુણ વિષ! એના પર સુખનો શણગાર... એને ખરીદનારાઓ વિષે જોઈ શકતા નથી, એ તો ઉપરનો ચળકાટ જુએ છે, ખરીદી જાય છે, ભોગવે છે અને અંતે ભાંગી પડે છે...
યોગી સુખ ચાહે છે, પરંતુ એને ઇંદ્રિયોની ખંજવાળ નથી. યોગી આનંદ ચાહે છે, પરંતુ એને મનનો ઉન્માદ નથી. એ સ્વસ્થ છે, શાંત છે. એ બાહ્ય દુનિયામાંથી સુખ-આનંદ મેળવવાનું માંડી વાળી આંતરદુનિયામાં ડોકિયું કરે છે. તેની સૂક્ષ્મ દૃષ્ટિ ત્યાં સુખ-આનંદની વિપુલ સામગ્રી જુએ છે.
આંતરસૃષ્ટિમાં પ્રવેશવાનો તે દૃઢ સંકલ્પ કરે છે. તે માટે તે સર્વજ્ઞનાં શાસ્ત્રોમાંથી માર્ગદર્શન શોધે છે. તેને તે માર્ગદર્શન મળી જાય છે. તેનું હૃદય હસી ઊઠે છે. તેની આંખો હર્ષનાં આંસુથી ઊભરાઈ જાય છે. તે સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન-આ ચાર યોગોને આરાધવાનો આરંભ કરે છે.
સર્વપ્રથમ આસન-મુદ્રાઓનો અભ્યાસ આદરે છે. સુખાસન, પદ્માસન, સિદ્ધાસન વગેરે આસનો સિદ્ધ કરી કલાકો સુધી એક આસને બેસીને, તે પોતાના શરીર પર કાબૂ ધરાવે છે. યોગમુદ્રા વગેરે મુદ્રાઓ સિદ્ધ કરી શરીરને આજ્ઞાધીન બનાવે છે. તે માટે આહાર-વિહાર અને નિહારના નિયમોનું ચુસ્ત પાલન કરે છે. પ્રમાદ કે અશક્તિથી પોતાના શરીરને બચાવી ‘સ્થાનયોગ’ ને માટે સુયોગ્ય બનાવે છે.
For Private And Personal Use Only
ત્યાર પછી પોતાના દૈનિક જીવનમાં સંકળાયેલી ધર્મક્રિયાઓ : ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પડિલેહણ વગેરેમાં બોલવાનાં સૂત્રોનું અધ્યયન એ રીતે કરે છે કે જેનું ઉચ્ચારણ બોલનાર અને સાંભળનાર બન્નેને રસલીન કરી દે. તેના