________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
જ્ઞાનસાર યૌવન, ધન, બુદ્ધિ.. વગેરે બીજા જીવો કરતાં તમારી પાસે ચઢિયાતાં હશે, ને તમે એ બધાં પર જો ઉત્કર્ષ કર્યો. બસ, પવનના સુસવાટા છૂટ્યા સમજો. તમે સાધુ છો, તો શાસ્ત્રજ્ઞાન, શાસન-પ્રભાવકતા, વક્તત્વશક્તિ, લેખનકલા, શિષ્યપરિવાર, ભક્ત-પરિવાર વગેરે વાતો પર અભિમાન પેદા થઈ શકે. જો તમે તાત્ત્વિક વિચારણા દ્વારા એ બધાંને “તુચ્છ' ગણી ન નાખ્યું, અને શુદ્ધ નયની દષ્ટિને ખુલ્લી રાખી સર્વ જીવો પ્રત્યે “સમાનતાનો વિચાર ન કર્યો, તો અભિમાનના વંટોળમાં તમે ખળભળી ઊઠવાના. ગુણો પરપોટા જેવા બની નષ્ટ થઈ જવાના. પછી એક નવું અનિષ્ટ પેદા થશે, ગુણો નાશ પામશે છતાં હું ગણિયેલ છું', એ બતાવવા અને સાધુ તરીકેની ઇજ્જત જાળવવા તમે દંભ કરવાના. તમે જેવા નથી, તેવા બતાવવાનો પ્રયત્ન કરવાના. પોતાનામાં ગુણ ન હોય છતાં ગુણી દેખાવાનો મોહ આત્માનું કેવું અધ:પતન કરે, એ સમજાવવું પડે?
મહા-મહેનતે ગુણો આત્મામાં પ્રગટે છે, તેનું સંરક્ષણ જો ન કરવામાં આવે તો સમજવું જોઈએ કે ગુણોનું મૂલ્યાંકન આપણે ભૂલી ગયા છીએ. ગુણોનું ઉચ્ચ મૂલ્યાંકન ભૂલનાર મનુષ્યના ગુણોનો નાશ થતાં વાર નથી લાગતી. ગુણોનો નાશ કરનારા શત્રુઓ તાકીને જ બેઠેલા છે, એમને તમે જરા જગા કરી આપો એટલે તૂટી પડ્યા સમજો. સ્વપર્યાયથી કે પરપર્યાયથી આપણે અભિમાન કરવાનું જ નથી. કારણ કે આપણે સાધુવેષની મર્યાદાના બંધનમાં છીએ. મહાત્મા! ગુણોનો નાશ ન કરો. અભિમાનનો સંગ ન કરો.
निरपेक्षानवच्छिन्नानन्तचिमात्रमूर्तयः ।
योगिनो गलितोत्कर्षापकर्षानल्पकल्पनाः ।।८।१४४ ।। અર્થ : અપેક્ષારહિત, દેશની મર્યાદારહિત, કાળની મર્યાદારહિત જ્ઞાનમય સ્વરૂપ છે જેઓનું એવા, અને ગળી ગયેલી છે ઉત્કર્ષ અને અપકર્ષની ઘણી કલ્પનાઓ જેઓની એવા, યોગી હોય છે.
વિવેચન : યોગી, આત્મસ્વરૂપમાં રમતો, પરમાત્મસ્વરૂપને ઝંખતો યોગી, દેશ અને કાળમાં એને બંધન નહિ, સ્વનો ઉત્કર્ષ નહીં કે પરનો અપકર્ષ નહીં... એવો યોગી!
આત્માના મહોદધિમાં વિલસતા અનંત જ્ઞાનમાં જ એ યોગીની રમણતા હોય, પરભાવ, પરપર્યાય કે પુદ્ગલની વિવિધ રચનાઓમાં યોગીની ચેતના જાય નહીં, લોભાય નહીં, આકર્ષાય નહીં. એને બીજી કોઈ જ ઝંખના નહીં, કામના નહીં કે અભિલાષા નહીં. એ તો મસ્ત બનીને પરમાત્માના સ્વરૂપ
For Private And Personal Use Only