SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જવાય; પણ પ્રેમની નુકસાની ઊભી થઈ જાય, વિજય મળી જાય પણ પાછળ વિષાદ છોડતો જાય, પણ તોય એક આડ વાત પૂછું ? પ્રસન્નતા મહત્ત્વની હોવા છતાં, સારી હોવા છતાં બજારમાં સફળતાની જે બોલબાલા છે એ જોતાં મન ઘણીય વાર પ્રસન્નતાને ગૌણ બનાવીને સફળતાને પ્રાધાન્ય આપી બેસે છે અને જ્યાં સફળતા લક્ષ્યસ્થાને ગોઠવાઈ જાય છે ત્યાં બુદ્ધિ આગળ આવી જાય છે અને લાગણી દૂર હડસેલાઈ જાય છે. બને છે એવું કે પ્રસન્નતાના બલિદાન પર સફળતા મળી હોવા છતાં અંતરમાં એની એવી કોઈ વ્યથા ઊભી થતી નથી, એવો કોઈ અંજપો ઊભો થતો નથી. આ અંગે આપનું માર્ગદર્શન ઇચ્છું છું. | દર્શન, સુખ આ જગતમાં બે પ્રકારનાં છે. એક સુખ છે અભિપ્રાયનું અને બીજું સુખ છે અનુભૂતિનું. તને મળેલા સુખને, પદાર્થોને અને સફળતાને જગત વખાણે છે એ છે અભિપ્રાયનું સુખ અને તું પોતે જે સ્વસ્થતા અને મસ્તી અનુભવે છે એ છે અનુભૂતિનું સુખ. જો મનમાં આકર્ષણ છે અભિપ્રાયના જ સુખનું, તો નિશ્ચિત સમજી રાખવું કે ત્યાં લાગણી કામ લાગવાની નથી. લાગણીના પાયાપર ઊભા થતા કોઈ પણ સદ્ગુણો કામ લાગવાના નથી. કારણ કે કરોડપતિ બન્યા વિના, ગાડીઓ વસાવ્યા વિના, આકર્ષક ફર્નિચરવાળા બંગલાના માલિક બન્યા વિના, સમાજમાં નંબર એક પર રહ્યા વિના, વિશિષ્ટ સામગ્રીઓ વસાવ્યા વિના અભિપ્રાયનું સુખ મળતું નથી અને આવું સુખ કાંઈ લાગણીશીલતા, નમ્રતા, સહૃદયતા, વિનયશીલતા, ક્ષમાશીલતા વગેરે સદ્દગુણોના આધાર પર મળતું નથી, એ સુખ તો મળે છે કાવાદાવાઓના રસ્તે, આવેશ અને આક્રમણના રસ્તે, બુદ્ધિની ચાલબાજીના રસ્તે, વેર અને હિંસાના રસ્તે, કપટ અને પ્રપંચના રસ્તે, એક ઘા અને બે ટુકડા કરવાના રસ્તે, સંબંધો પ્રત્યે બેપરવા બનવાના રસ્તે, મિત્રોને દુશ્મન બનાવવાના રસ્તે, ધર્મ અને ધર્માની અવગણના કરવાના રસ્તે. દર્શન, જગતનો બહુજનવર્ગ તો અટવાયો છે. આ અભિપ્રાયના સુખમાં ! તારી જાતને તપાસી જોજે. તારો પણ નંબર આમાં જ નથી ને? દર્શન, પરિસ્થિતિ ગમે તેવી વિષમ સર્જાય, વ્યક્તિઓના વર્તાવ ગમે તેવા વિચિત્ર અનુભવાય, સંયોગો ગમે તેવા વિકટ ઊભા થઈ જાય તોય પ્રસન્નતા ચિત્તની અકબંધ રહી જાય, મસ્તી મનની સહજ જ ટકી જાય, દુર્ભાવ કે દુર્ગાનનું શિકાર બનતું મન અટકી જાય એ છે અનુભૂતિનું સુખ. આ સુખનો અનુભવ વ્યક્તિને ખુદને જ થતો હોય છે. નથી એની ખબર હોતી જગતને કે નથી એનો ખ્યાલ હોતો પડોશીને. અરે, ક્યારેક તો ખુદના આત્મીય જનનય એની ખબર નથી પડતી અને કદાચ ખબર હોય છે તોય અનુભૂતિના સુખવાળાને એની કાંઈ પડી નથી હોતી. એ તો હોય છે સદાય પોતાની મસ્તીમાં. હા, આ સુખ અનુભવાય છે પ્રેમના માર્ગે, સરળતા અને નમ્રતાના માર્ગે, છેતરાઈ જવાની તૈયારી રાખવાના માર્ગે, અહંને ગૌણ બનાવવાના માર્ગે, લાગણીને ચાલકબળ બનાવવાના માર્ગે, જતું કરવાની વૃત્તિના માર્ગ, સહિષ્ણુતા અને સહનશીલતાના માર્ગે, સબંધોને જાળવી રાખવાની ગણતરીના માર્ગે. ટૂંકમાં, મન ઉદ્વિગ્ન છે અને જગત સ્તબ્ધ છે. એ છે અભિપ્રાયનું સુખ અને જગત અંધારામાં છે અને મન પ્રસન્ન છે. એ છે અનુભૂતિનું સુખ. તારી ભાષામાં સમજાવું તો તેં પહેરેલા બૂટ તને પગમાં ડંખે છે છતાં તારા પગમાં પહેરેલા બૂટનાં વખાણ કરતાં આજુબાજુવાળા થાકતા નથી. એ છે અભિપ્રાયનું સુખ. અને તારી બાજુમાંથી પસાર થનાર કોઈનીય નજરે તારા પર પડતી નથી અને છતાં ખુલ્લા પગેય ભરપૂર પ્રસન્નતા સાથે તું રસ્તા પર ચાલી રહ્યો છે. એ છે અનુભૂતિનું સુખ. તેં પૂર્વપત્રમાં લખ્યું છે ને કે ‘પ્રસન્નતા મહત્ત્વની હોવા છતાં બજારમાં સફળતાની જ બોલબાલા છે' એનો આ જ અર્થ છે. અનુભૂતિનું સુખ મહત્ત્વનું હોવા છતાં બજારમાં અભિપ્રાયના સુખની જ બોલબાલા છે. કબૂલ, પસંદગીનો નિર્ણય તારા હાથમાં છે. કાં અભિપ્રાયનું સુખ, કાં અનુભૂતિનું સુખ. ૩૩ S
SR No.008910
Book TitleLakhi Rakho Aarasni Takhti Par
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages47
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size254 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy