________________
(૧૧) પુરુષાર્થ, પ્રાકૃત દુર્ગુણો સામે...
દાદાશ્રી : તેના બે ઉપાય છે. ઈર્ષા થઈ ગયા પછી પશ્ચાત્તાપ કરવો ને બીજું ઈર્ષા થાય છે, તે તમે ઈર્ષા નથી કરતા. ઈર્ષા એ પૂર્વભવના પરમાણુઓ ભરેલા છે તેને એક્સેપ્ટ (સ્વીકાર) ના કરો, તેમાં તન્મયાકાર ના થાય, તો ઈર્ષા ઊડી જાય. ઈર્ષા થયા પછી પશ્ચાત્તાપ કરવો એ ઉત્તમ છે.
૨૦૩
શંકામાંથી નિઃશંકતા
પ્રશ્નકર્તા : સામા પર શંકા કરવી નથી, છતાં શંકા આવે તો તે શી રીતે દૂર કરવી ?
દાદાશ્રી : ત્યાં પછી એના શુદ્ધાત્માને સંભારીને ક્ષમા માંગવી, એનું પ્રતિક્રમણ કરવું. આ તો પહેલાં ભૂલો કરેલી તેથી શંકા આવે છે. પ્રશ્નકર્તા : આપણા કર્મના ઉદયને લીધે જે ભોગવવું પડે, એ પ્રતિક્રમણ કર્યા કરીએ તો ઓછું થાયને ?
દાદાશ્રી : ઓછું થાય. અને ‘આપણને’ ભોગવવું નથી પડતું. ‘આપણે’‘ચંદુભાઈ’ને કહીએ, ‘પ્રતિક્રમણ કરો’ એટલે ઓછું થાય. જેટલું જેટલું પ્રતિક્રમણ કરીએ એટલું એ ઓછું થાયને ! પછી રાગે પડી જશે.
આ તો કર્મના ઉદયથી બધા ભેગા થયેલા છે. આને અજ્ઞાની કંઈ ફેરવી શકવાનો નથી ને જ્ઞાનીયે ફેરવી શકવાના નથી. તો આપણે શા માટે બે ખોટ ખાવી ?
પ્રશ્નકર્તા : પેલું બરાબર કહ્યું દાદા, કે આ જગત પહેલેથી આવું જ છે.
દાદાશ્રી : આમાં બીજું છે જ નહીં. આ તો ઢાંક્યું છે એટલે એવું લાગે છે અને શંકા જ મારે છે. એટલે શંકા આવે તો આવવા ના દેવી ને પ્રતિક્રમણ કરવાં. પ્રતિક્રમણ કરવાનાં બાકી ના રહ્યાં. એટલે તમારા પર કોઈને શંકા જ ના આવે, નિઃશંક પદ થાય.
પ્રતિક્રમણ
કોઈના માટે સહેજ પણ અવળો-સવળો વિચાર આવે કે, તરત તેને ધોઈ નાખવો. એ વિચાર જો, થોડીક જ વાર જો રહેને તો એ સામાને પહોંચી જાય અને પછી ઊગે. ચાર કલાકે, બાર કલાકે કે બે દહાડેય એને ઊગે, માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઈએ. પ્રશ્નકર્તા : એના માટે આપણે શું કરવું ?
૨૦૪
દાદાશ્રી : પ્રતિક્રમણ કરી ભૂંસી નાખવું તરત જ. પ્રતિક્રમણ ના થાય તો ‘દાદા’ને યાદ કરીને કે તમારા ઈષ્ટદેવને યાદ કરીને ટૂંકામાં કહી દેવું કે, ‘આ વિચાર આવે છે તે બરોબર નથી, તે મારા નથી.’
જંગલમાં જાય ત્યારે લૌકિકજ્ઞાનના આધારે બહારવટિયા મળશે તો ? એવા વિચાર આવે. અથવા વાઘ મળશે તો શું થશે. એવો વિચાર આવે. તે ઘડીએ પ્રતિક્રમણ કરી નાખવું. શંકા પડી એટલે બગડ્યું. શંકા ના આવવા દેવી. કોઈ પણ માણસ માટે, કોઈ પણ શંકા આવે, તો પ્રતિક્રમણ કરવું. શંકા જ દુઃખદાયી છે.
શંકા પડી તો પ્રતિક્રમણ કરાવી લઈએ. અને આપણે આ બ્રહ્માંડના માલિક, આપણને શંકા કેમ થાય ? માણસ છીએ તે શંકા તો પડે. પણ ભૂલ થઈ એટલે રોકડું પ્રતિક્રમણ કરી લઈએ.
જેના માટે શંકા આવે એનું પ્રતિક્રમણ કરવાનું. નહીં તો શંકા તમને ખાઈ જશે.
પ્રશ્નકર્તા : સંશય એ ગ્રંથિમાં જાય ?
દાદાશ્રી : સંશય એટલે શંકા ને ?
પ્રશ્નકર્તા : હા. એ દુર્ગુણમાં જાય કે ગ્રંથિમાં જાય ?
દાદાશ્રી : ગ્રંથિમાં ને દુર્ગુણમાં કશાયમાં ના જાય. એ તો ભયંકર આત્મઘાત છે. એ અહંકાર છે એક પ્રકારનો. શંકા એટલે સંદેહ કરવો. શંકા કરવી એ સંદેહથી માંડીને શંકા સુધીના બધા લખ્ખણ આત્મઘાતી છે. એમાં એક પણ ફાયદો ના થાય. ભયંકર નુકસાન જ થયા કરે.