________________
સંપાદકીય
કયા અવતારમાં છોકરાં નથી થયાં ?! મા-બાપ વિના કોનું અસ્તિત્વ હોઈ શકે ? ભગવાનો પણ માને પેટે જ જન્મ્યા હતા !!! આમ મા-બાપ છોકરાંનો વ્યવહાર અનાદિ અનંત છે ! એ વ્યવહાર આદર્શતા કેમ કરીને આવે તે માટે બધા દિનરાત મથતા દેખવામાં આવે છે. તેમાં ય આ કળિકાળમાં તો વાતવાતમાં મા-બાપ છોકરાં વચ્ચે મતભેદ ભાળવામાં આવે છે ત્યારે અરેરાટી વ્યાપી જાય ! સત્યુગમાં ય ભગવાન રામ અને લવકુશનો વ્યવહાર કેવો હતો ?! ઋષભદેવ ભગવાનથી અળગો પંથ કાઢનાર મરીચિ કયાં ન હતા ? ધૃતરાષ્ટ્રની મમતા ને દુર્યોધનનો સ્વછંદ કયાં જાણીતો નથી ? મહાવીરના વખતમાં શ્રેણીક રાજા અને પુત્ર કોણીક મોગલોની યાદ અપાવે તેમ હતું ! મોગલ બાદશાહો જગપ્રખ્યાત થયા ત્યારે એકબાજુ બાબર હતો કે જેણે હુમાયુના જીવન માટે પોતાના જીવનને સાટામાં આપવાની અલ્લાને બંદગી કરેલી ? ત્યારે બીજી બાજુ શાહજહાનને જેલમાં નાખીને ઔરંગઝેબ ગાદી પર બેઠેલો ! એ જ રામ બાપને ખાતર જ વનવાસ ચાલ્યા ગયા હતા ! શ્રવણે મા-બાપને કાવડમાં બેસાડી જાતે ઊંચકીને જાત્રા કરાવેલી ! (મુખપૃષ્ટ) આમ રાગદ્વેષની વચ્ચે ઝોલાં ખાતો મા-બાપ અને છોકરાંનો વ્યવહાર દરેક કાળમાં હોય છે ! આ કાળમાં દ્વેષનો વ્યવહાર વિશેષ વિશેષ જોવામાં આવે છે.
પૂર્વાર્ધ : મા-બાપનો છોકરાં પ્રત્યે વ્યવહાર. ઉત્તરાર્ધ : છોકરાંનો મા-બાપ પ્રત્યે વ્યવહાર.
પર્વાર્ધમાં પરમ પૂજય દાદાશ્રી મા-બાપ સાથે સત્સંગ કરે છે. માબાપની અનેક મુંઝવણો સંપૂજયશ્રી સામે અનેક પ્રસંગોએ રજુ થયેલી. જેના સચોટ સોલ્યુશન પૂજયશ્રીએ આપ્યા છે. જેમાં મા-બાપને વ્યવહારીક ગૂંચવાડાના સમાધાન મળે, તેમનાં પોતાના અંગત જીવનમાં જાતને સુધારવાની ચાવીઓ મળે તેમ જ બાળકો સાથે વ્યવહારમાં પડતી મુશ્કેલીઓમાં અનેક ઉકેલ પ્રાપ્ત થાય છે, અને જેથી સંસાર વ્યવહાર સુખમય પૂરો થાય. મા-બાપ અને છોકરાં વચ્ચે જે રીલેટિવ સંબંધ છે, તત્ત્વ દ્રષ્ટિએ જે વાસ્તવિકતાઓ છે એ સમજ પણ જ્ઞાની પુરૂષ આપે છે જેથી મોક્ષ માર્ગે આગળ વધવામાં મા-બાપને મુદ્ઘ ઊડી જાય અને જાગૃતિ ખીલે. તે સર્વ ગ્રંથના પૂર્વાર્ધમાં સંકલિત થયું છે.
જયારે ઉત્તરાર્ધમાં પરમ પૂજય દાદાશ્રી બાળકો, યુવાન છોકરાઓ, છોકરીઓ જોડે સત્સંગ કરે છે અને તેમને પોતાના જીવનની અંગત મુંઝવણોના સમાધાન મેળવ્યા છે. મા-બાપ સાથે કેવો વ્યવહાર કરવો તેની સમજણ પ્રાપ્ત થાય છે, પરણવાની બાબતમાં સમજ એવી સરસ પ્રાપ્ત થાય છે કે યુવાનો પોતાના જીવનમાં સાચી વાત સમજીને પછી વ્યવહારનો પૂરેપૂરો ઉકેલ લાવી શકે. બાળકો પોતાના મા-બાપની સેવાનું મહાત્મય અને પરિણામ સમજે તેની સમજણ ગ્રંથના ઉત્તરાર્ધમાં સમાવેશ થાય છે.
-
*
આવા કાળમાં સમતામાં રહી આદર્શ વ્યવહાર કરી નીકળી જવાનો રસ્તો અક્રમવિજ્ઞાની સંપૂજ્ય શ્રી દાદાશ્રીએ અત્રે પ્રરૂપ્યો છે ! આજના યુવાવર્ગનું માનસ સંપૂર્ણપણે જાણી તેમને જીતવાનો રસ્તો સૂઝાડયો છે. પરદેશમાં વસતા ભારતીય મા-બાપો તેમ જ બાળકોની બે દેશના ભિન્ન ભિન્ન કલ્ચર વચ્ચે જીવન જીવવાની કઠીન સમસ્યાનો સુંદર ઉકેલ પ્રસંગે પ્રસંગે વાતચીત કરતાં ખુલ્લો કર્યો છે. જે સુજ્ઞ વડીલ વાંચકોને તેમ યુવાવર્ગને ખૂબ ખૂબ ઉપયોગી બનશે એમનાં આદર્શ જીવન જીવવા માટે !
પ્રસ્તુત ગ્રંથ બે વિભાગમાં સંકલન થઈ પ્રકાશિત થાય છે.
મા-બાપની મુંઝવણો જેવી કે છોકરા માટે આટલું બધું કર્યું, છતાં છોકરાં સામા થાય છે તેનું શું ? છોકરાં મોટાં થઈને આવા સંસ્કારી થશે તેવાં થશે વિ. વિ. સ્વપ્ના ભાંગી જતાં જુએ ત્યારે જે આઘાત અનુભવે તેનું સમાધાન કેવી રીતે લેવું ? કેટલાંક છોકરાં તો મા-બાપના લગ્નજીવનનું સુખ જોઈને પરણવાની જ ના પાડે ત્યાં શું કરવું ?! માબાપે કઈ રીતે સંસ્કાર સીંચન કરવું? પોતે કઈ રીતે એનું જ્ઞાન મેળવવું ?