________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૩૩૫
પ્રશ્નકર્તા : હા, એ તો બરાબર છે, પણ ન કહેવાય તો...
દાદાશ્રી : એના જેવું એકે ય ઉત્તમ નહીં. આપણે ન હોઈએ તો એ શું કરે ?
પ્રશ્નકર્તા: હં, એ જ કહું છું ને. મેં તો એકવાર કીધું કે હું મરી ગયો હોઉં તો શું થાય ?
દાદાશ્રી : એટલે શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, “મરીને પછી જીવો.’
પ્રશ્નકર્તા: હા, બરાબર છે. મેં તો બધાને કીધું છે કે હું નથી એમ જ સમજવું તમારે.
દાદાશ્રી : હા, એ તો એક વાર મરે તેને ફરી મરવું ના પડે. એ પણ થવું જોઈએ ને ! જીવતા મરેલાં, જીવે તો છોકરો છે તે પૈસા ઉડાડતો હોય, તો ય પણ મરેલો માણસ શું કરે ?! જોયા કરે. એવું આ ય છે. એવું જીવન હોવું જોઈએ.
(૧૩). ભલું થયું, ન બંધાઈ જંજાળ...
જ્ઞાતીની દ્રષ્ટિએ વાંઝીયા પુણ્યશાળી; ગત ભવે ઋણ ચૂકવ્યાં હવે ખાલી!
ચિંતા–બિંતા કોઈ દહાડો કરો છો ?
પ્રશ્નકર્તા : ચિંતા બહુ નહીં, કોઈક વખત એમ થાય કે આમ તો બધું જ છે, પણ બાળક નથી.
દાદાશ્રી : ઓહોહો ! એટલે ખાનારો નથી. આ બધું છે તો ય, ખાવાનું બધું છે પણ ખાનાર ના હોય તો એ ય પાછી ઉપાધિને !
એક જણ તો આવ્યો હતો. અમે રહેતા'તા ને ત્યાં બધો સામાન મોકલ્યો, મજૂરો પાસે. મેં કહ્યું, આ મારવાડી લાગે છે, ફેંટો-બેંટો બાંધ્યો છે ! તે મોટો મિલમાલિક હતો. તે આવડી આવડી ત્રણ પેટીઓ તે જાણે શું ય સામાન લાવ્યો હોય ! ચાંદીના વાસણો લાવ્યો હોય કે શું ય લાવ્યો હોય તે ! તે મજૂરને માથે ચઢાવીને લાવેલો, અને બધું મુકાવડાવ્યું એટલે મહીં જરા અવાજ થયો વાસણો જેવો. એટલે સમજી ગયો કે આ કશુંક લાવ્યો છે આ મારવાડી ! એ મારવાડીને પૂછ્યું, ભઇ, યે ક્યા હે શેઠ?