________________
કર્મનું વિજ્ઞાન
૨૧
કર્મનું વિજ્ઞાન
દાદાશ્રી : સારા કર્મોની જરૂર નથી. પ્રશ્નકર્તા : તો શેની જરૂર છે ?
દાદાશ્રી : મહીં સભાવનાની જરૂર છે. સારા કર્મો તો પ્રારબ્ધ સારું હોય તો થઈ શકે. નહીં તો થઈ શકે નહીં. પણ સારી ભાવના તો થઈ શકે, પ્રારબ્ધ સારું ના હોય તો ય.
ખોટા કર્મનું ફળ ક્યારે ? પ્રશ્નકર્તા : સારાં અને ખોટાં કર્મનું ફળ આ જ જન્મમાં કે આવતા જન્મમાં ભોગવવું પડે છે, તો તેવાં જીવો મોક્ષગતિને કઈ રીતે પામે ?
દાદાશ્રી : કર્મના ફળ નુકસાન કરતા નથી. કર્મના બીજ નુકસાન કરે છે. મોક્ષે જતાં કર્મબીજ પડતાં બંધ થઈ ગયા તો કર્મફળ એને આંતરે નહીં, કર્મબીજ આંતરે. બીજ શાથી આંતરે ? કે તે નાખ્યું એટલે હવે એનો સ્વાદ તું લઈને જા, એનું ફળ ચાખીને જા. એ ચાખ્યા વગર જવાય નહીં. એટલે એ આંતરનાર છે, બાકી આ કર્મફળ આંતરતા નથી. ફળ તો કહે છે તું તારી મેળે ખાઈને ચાલ્યો જા.
પ્રશ્નકર્તા : પણ આપશ્રીએ કહ્યું હતું કે એક ટકો પણ કર્મ કર્યું હોય તો તે ભોગવવું જ પડે છે !
દાદાશ્રી : હા, ભોગવે જ છૂટકો, ભોગવ્યા વગર ચાલે નહીં. કર્મનાં ફળ ભોગવતાં ય મોક્ષ થાય એવો રસ્તો હોય છે. પણ કર્મ બાંધતી વખતે મોક્ષ ના થાય. કારણ કે એ કર્મ બાંધતા હોય તો હજુ ફળ ખાવા રહેવું પડે ને !
પ્રશ્નકર્તા : સારા-ખરાબ કર્મો આપણે કરીએ, તે ભોગવવાનાં આ જન્મમાં જ હોય છે કે પછી આવતાં જન્મમાં ?
દાદાશ્રી: લોકો દેખે કે આણે ખરાબ કર્મ કર્યું, આણે ચોરી કરી, આણે લુચ્ચાઈ કરી, આણે દગો દીધો, એ બધાં અહીં જ ભોગવવાનાં અને એ કર્મથી જ રાગ-દ્વેષ મહીં ઉત્પન્ન થાય છે. એનું આવતાં ભવમાં
ભોગવવાનું.
પ્રત્યેક અવતાર પૂર્વ અવતારોનું સરવૈયું ! પ્રશ્નકર્તા : આ કર્મો અત્યારે છે, તે અનંત અવતારના છે ?
દાદાશ્રી : દરેક અવતાર, અનંત અવતારના સરવૈયા રૂપે હોય છે. બધા અવતારનું ભેગું ના થાય. કારણ કે નિયમ એવો છે કે પરિપાક કાળે ફળ પાકવું જ જોઈએ, નહીં તો કેટલા બધાં કર્મો રહી જાય !
પ્રશ્નકર્તા : આ બધું ગયા જન્મ સાથે સંકળાયેલું છે ને ?
દાદાશ્રી : હા, એવું છે કે એક જન્મમાં બે કામ કરી શકતો નથી, કૉઝીઝ અને ઈફેક્ટ સાથે નથી કરી શકતો. કારણ કે કૉઝીઝ અને ઈફેક્ટ એની મુદત સાથે કેવી રીતે થાય ? પૂર્વે એની મુદત થાય ત્યારે કૉઝીઝ ઈફેક્ટીવ થાય. મુદત વગર ના થાય. જેમ આ આંબો હોય છે ને, તે એને મોર આવ્યા પછી આવડી કેરી બેસે, તે પાકતાં સુધીની અંદર મુદત ખરી કે નહીં ? આપણે બીજે દા'ડે બાધા રાખીએ કે પાકી જાય, તો પાકે ? એટલે આ કર્મ જે બાંધીએ છીએ, એને પાક કરવા માટે સો વર્ષ જોઈએ ત્યારે ફળ આપવા લાયક સન્મુખ થાય.
પ્રશ્નકર્તા : એટલે આ ભવનાં કર્મો જે છે, તે છેલ્લા અવતારનાં જ આ હોય છે કે આગલા અનંત અવતારનાં હોય ?
દાદાશ્રી : ના, એવું નથી આ કુદરતનું. બહુ ચોખ્ખી કુદરત તો, જેવી વેપારીઓને રીત ના આવડે એવી સરસ રીત ! આજથી દસમા અવતાર પર કર્મ હોયને તેનું સરવૈયું કાઢીને તે નફો-નુકસાન આગળ ખેંચી જાય, નવમા અવતારમાં. હવે એમાં એ બધા કર્મો નહીં આવવાનાં, ફક્ત સરવૈયું કાઢીને કર્મો આવવાનાં. નવમામાંથી આઠમામાં, આઠમામાંથી સાતમામાં. મહીં આમ જેટલા વર્ષનું આયુષ્ય હોય પછી આ એટલા વર્ષના કર્મો હોય. પણ તે તે તેવાં રૂપે મહીં આવે, પણ તે એક અવતારના જ કહેવાય. બે અવતારનાં ભેગા ના કહી શકાય.