SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૮ લોકો ચોપડીમાં વાંચીને ‘સૂક્ષ્મદેહ, સૂક્ષ્મદેહ’ બોલે. બાકી સ્થૂળને જ ઓળખતો નથી, તે સૂક્ષ્મને શી રીતે ઓળખે ? કોતે કોતી વળગણા ? પ્રશ્નકર્તા : આત્મા પુદ્ગલને ચોંટ્યો છે કે પુદ્ગલ આત્માને ચોંટ્યું છે ? ૪૫ દાદાશ્રી : એવું છે ને, કોઈ કોઈને ચોંટ્યું જ નથી, બધું નૈમિત્તિક છે. આ તો વ્યવહારમાં લોકો કહે છે કે, ‘આત્મા ચોંટી પડ્યો છે !' એટલે તો લોક એવું કહે છે કે, ‘આ ઝાડને તેં ઝાલ્યું છે, તું છોડી દે !' પણ એમ તો છોડી દીધે કંઈ છૂટતું હશે ? આ તો ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ છે. પ્રશ્નકર્તા : પણ એમ દેખાય છે કે આત્મા આ પુદ્ગલને ચોંટ્યો છે. આત્મા પુદ્ગલમાં તન્મયાકાર થાય એટલે આમ થયું છે. દાદાશ્રી : એ તો ફરજિયાત થવું પડે છે. પ્રશ્નકર્તા : આત્માને ફરજ શા માટે પડી ? કોણે ફરજ પાડી ? દાદાશ્રી : એ બધું એવું છે ને, આત્મા એ ચૈતન્ય છે અને આ પુદ્ગલ એ જડ છે, એ બે જોડે મૂક્યા એટલે વિશેષભાવ ઉત્પન્ન થાય છે. કોઈ કશું કરતું નથી, પણ બેઉના ભેગા થવાથી વિશેષભાવ થાય છે અને વિશેષભાવ થવાથી સંસાર ચાલુ થઈ જાય છે. પછી જ્યારે મૂળ ભાવમાં આત્મા આવે ને પોતે જાણે કે ‘હું કોણ છું’, ત્યારે એ છૂટે. ત્યાર પછી પુદ્ગલ છૂટે છે ! પ્રશ્નકર્તા : બંને નજીક નજીકમાં કેવી રીતે આવ્યા ? દાદાશ્રી : એ જ આ ‘એવિડન્સ’ છે ને ! આ વ્યવહારમાં પેસતાં જ આ બધું ભેગું થઈ જાય છે. અહીં વ્યવહાર બધો સંજોગોનો ભરેલો છે, ને જ્યાં સંજોગો ના હોય ત્યાં જવાનું છે, સિદ્ધપદમાં જવાનું છે. એને માટે શાસ્ત્રો ‘જ્ઞાનીપુરુષ’ એ બધાં સાધનો મળી આવે છે ને ત્યારે એ આપ્તવાણી-૮ પોતાનું સ્વરૂપ સમજે, ત્યારથી એ છૂટવા માંડે છે. પછી એક ભવ, બે ભવ કે પંદર ભવમાં પણ એનો ઉકેલ આવી જાય ! ૪૬ એટલે ચેતન પોતે પુદ્ગલના ચક્રમાં પડ્યું જ નથી. આ પડ્યું છે એવું લાગે છે, તે ય ભ્રાંતિ છે. એ ભ્રાંતિ દૂર થઈ જાય તો છૂટું ને છૂટું જ છે ! આત્મા શુદ્ધ જ ! ‘બિલીફો’ જ ‘રોંગ’ ! પ્રશ્નકર્તા : આત્મા એના મૂળ સ્વભાવમાં તો શુદ્ધ છે, તો એને આ બધા કષાયો કેવી રીતે લાગ્યા હશે ? ને કર્મ કેવી રીતે બંધાણાં ? દાદાશ્રી : એ ‘સાયન્સ’ છે ! આપણે અહીં લોખંડ મૂકી રાખીએ અને તે લોખંડ જો જીવતું હોય ને તો કહેશે કે, ‘મને કાટ ચઢશો નહીં.’ પણ ‘સાયન્સ’નો નિયમ છે, એને બીજા સંજોગોનો સ્પર્શ થાય તો એને કાટ ચઢ્યા વગર રહે નહીં. એવી રીતે આત્મા મૂળ સ્વભાવથી તો શુદ્ધ જ છે, પણ એને આ સંજોગોના દબાણથી કાટ ચઢ્યો છે. પ્રશ્નકર્તા : આત્મા અત્યારે કર્મથી આવરાયેલો છે, પણ આત્મા એ કર્મોને ખપાવી દે તો પછી એને કાટ લાગે ખરો ? દાદાશ્રી : એવું છે ને, જ્યાં સુધી પોતે સ્વભાનમાં ના આવે ત્યાં સુધી કાટ લાગ્યા કરે, નિરંતર કાટ લાગ્યા જ કરે. પોતાનું ભાન ગયું, પોતે આરોપિત ભાવમાં છે માટે કાટ લાગ્યા કરે છે. ‘હું ચંદુલાલ છું’ એ આરોપિત ભાવ છે એટલે નિરંતર કાટ લાગ્યા કરે છે. એ આરોપિત ભાવ ગયો અને ‘સ્વભાવ’માં આવે, એટલે કે પોતાના સ્વરૂપમાં આવે, ક્ષેત્રજ્ઞદશામાં આવે, એટલે પછી એને કાટ ના લાગે ! પ્રશ્નકર્તા ઃ શરૂઆતમાં આત્મા મૂળ પદાર્થે કરીને શું હશે કે જેથી કરીને આ કાટ લાગ્યો ? દાદાશ્રી : આ બધાં તત્ત્વો લોકમાં છે, ને લોકમાં જ્યાં સુધી છે ત્યાં સુધી બીજાં તત્ત્વોની અસર થયા કરવાની. આને ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' કહેવાય. આત્મા જ્યારે લોકથી પર જશે, સિદ્ધગતિમાં જશે ત્યારે ત્યાં એને કાટ નહીં લાગે.
SR No.008830
Book TitleAptavani 08
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size108 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy