________________
આપ્તવાણી-૪
૨૭૩
ખેડૂતો મડદાલ જેવા થઇ જાય ને શેઠ દોઢસો-દોઢસો કિલોનો થઇને ફરે! કાળ ફરશે ત્યારે આ જ કિલોની ચટણી થશે ! કૃપાળુદેવે શું કહ્યું કે જે માંસ વધારવા ખાય છે, તે બધા માંસાહાર કરે છે. ખાવાનું જીવવા માટે છે. તેને બદલે અહીંથી ફૂલ્યું આમથી ફૂલ્યું અને મોટું તુંબડા જેવું થાય!
પ્રશ્નકર્તા : એટલે અનુમોદના કરનારનો જ વધારે ગુનો કહેવાય ?
દાદાશ્રી : અનુમોદના બે પ્રકારની છે. એક તો અનુમોદના કરનારના જ આધારે આ બધી ક્રિયા હોય છે. અને બીજા પ્રકારની અનુમોદનમાં ખાલી હા એ હા કરે, ‘હા સાહેબ, હા સાહેબ” કરે. એમાં બહુ દોષ નથી. આ બધા કોઇ ક્રિયા કરતા હોય તેમાં તમે, ‘હા ભાઇ, મને ગમ્યું, સરસ છે’ કહ્યું. પણ તેની બહુ કિંમત નથી. તમે આવું ના કહ્યું હોત તોય આ લોકો કરવાના જ હતા. અને જે અનુમોદનાથી જ ક્રિયા થાય, એ ના હોય તો ના થાય, તેનો બહુ ભારે દોષ છે. બહુ કિંમતી અનુમોદના કોની કહેવાય કે જેની અનુમોદનાથી જગત ચાલે છે.
(૩૬)
ભાવ, ભાવ્ય ને ભાવક
ભાવક જ ભાવતો કર્તા !
પ્રશ્નકર્તા : ભાવ કરાવનાર કોણ ? એ આત્મા કરે છે ?
દાદાશ્રી : મહીં ‘ભાવકો’ છે તે ભાવ કરાવે છે. આત્મા ભાવ કરતો નથી. લોકો ભાવકર્મને વળગણ સમજે છે. ખરી રીતે ભાવ કરાવનારા મહીં બેઠા છે. આત્મા કોઇ દહાડોય ભાવ કરે નહીં.
પ્રશ્નકર્તા : એ ભાવકો કોણ છે ?
દાદાશ્રી : એ એકલું ભાવક નથી. ક્રોધક છે, ક્રોધને કરાવનાર. લોભક છે, લોભને કરાવનાર. નિંદક છે, તે ના કરવી હોય તોય નિંદા કરાવડાવે. આમાં આત્મા કશું જ કરતો નથી. જો આત્મા ભાવ કરે તો તેની શી દશા થાય ? તો તો એ ખલાસ થઇ ગયો ને ? આ ભાવ કરાવનારા બીજા છે. ભાવકે એનું નામ છે. ભાવકો ભાવ કરાવે છે. તે ઘડીએ ‘આત્મા’ ભાવ્ય થઈ જાય છે, ‘એને’ એ ગમે છે. પોતાના સ્વરૂપની ખબર નથી એટલે આ અસર થઇ જાય છે.