________________
આપ્તવાણી-૪
૧૮૧
દાદાશ્રી : તે આપણે બુધવાર કરવો. એમાં શું નુકસાન છે ? જો જોષીને ત્યાં ગયા તો બુધવાર કરવો, નહીં તો જવું નહીં. જોષીનું ઘર પૂછવા ગયા તો વહેમ પેઠોને ? તે આપણે બુધવાર કરી નાખવો. આમેય ઉપવાસથી શરીરને ફાયદો થાય.
પ્રશ્નકર્તા : અમારે ઘેર વંશપરંપરાગત સોમવાર ચાલે છે.
દાદાશ્રી : તે કરવા. તમને વિશ્વાસ છે કે નહિ ?
પ્રશ્નકર્તા : વિશ્વાસ તો હોય જ ને ?
દાદાશ્રી : જે કરવું તે વિશ્વાસથી કરવું અને વિશ્વાસ ડગી જાય તો ના કરવું. ગાડીમાં બેસતાં જ એમ લાગ્યું કે ‘ગઇ કાલે ગાડી પાટા પરથી ઉતરી પડી હતી તે આજે પણ ઉતરી પડશે, તો શું થશે ?' તો તે જ ઘડીએ ઊતરી પડવું. વિશ્વાસ ના આવે એને કામનું જ શું ? વિશ્વાસ હોય ત્યાં સુધી કરો, ના વિશ્વાસ હોય તો છોડી દો.
વિશ્વાસ તો કેવો હોવો જોઇએ કે મારે, અપમાન કરે તમારું, તોય તમારો વિશ્વાસ ના ઊઠે ! આવો વિશ્વાસ બેસવો જોઇએ.
܀܀܀܀܀
(૨૨) લૌકિક ધર્મો !
મોક્ષ માટે કયો ધર્મ ?
પ્રશ્નકર્તા : સાધક ગમે તે ધર્મનું બરોબર પાલન કરે તો એ મોક્ષ સુધી પહોંચી જાયને ?
દાદાશ્રી : સાધક તો પક્ષપાતી છે અને ભગવાન કયા પક્ષના હશે ? નિષ્પક્ષપાતી હશેને એ ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : પક્ષમાં પડેલાનો મોક્ષ કયારેય પણ થાય નહીં. હા, ભૌતિક સુખો મળે. મોક્ષ ‘સ્ટાન્ડર્ડ’વાળાને ના મળે. ‘આઉટ ઓફ સ્ટાન્ડર્ડ’ થાય તો જ મોક્ષ મળે. અહીં ‘આ’ ‘સ્ટાન્ડર્ડ’ની બહાર છે. અહીં બધા જ આવે, મુસ્લિમ, જૈન, વૈષ્ણવ બધા જ આવે !
આ જુદા જુદા ધર્મો છે- જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ, શૈવ ધર્મ, મુસ્લિમ ધર્મ-એ બધા ‘રીલેટિવ’ ધર્મો છે. એકુય આમાં ‘રીયલ’ ધર્મ નથી. ‘રીલેટિવ’ ધર્મ એટલે તમને ‘ડેવલપ’ કરી આપે. પણ એમાંથી ‘ફુલ ડેવલપ’ થઇ શકાય નહીં. અને મોક્ષ તો ‘ફુલ ડેવલપ’નો જ થઇ શકે.