________________
૨૭૨ |
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
અર્જુનના ગળામાં વરમાળા પહેરાવવાની આજ્ઞા આપી. દ્રોપદી પોતાની દાસીની સાથે મંડપમાં ઉપસ્થિત હતી. તે અર્જુનના ગળામાં જ વરમાળા પહેરાવવા જઈ રહી હતી પરંતુ પૂર્વકૃત નિદાનના પ્રભાવથી દેવયોગે તે માળા પાંચેય ભાઈઓના ગળામાં ગઈ. આ રીતે પૂર્વકૃત કર્માનુસાર યુધિષ્ઠિર આદિ પાંચે ભાઈઓ દ્રૌપદીના પતિ બન્યા.
એક વખત પાંડુ રાજા રાજસભાના સિંહાસન પર બેઠા હતા. તેમની પાસે જ કુંતી મહારાણી અને યુધિષ્ઠિર આદિ પાંચ ભાઈ પણ બેઠા હતા. દ્રૌપદી પણ ત્યાં જ હતી. ત્યારે આકાશમાંથી ઉતરીને દેવર્ષિ નારદ સભામાં આવ્યા. રાજા વગેરેએ ઊભા થઈને નારદ ઋષિનું આદર-સન્માન કર્યું. પરંતુ દ્રોપદી કોઈ કારણસર તેમનું ઉચિત સન્માન કરી શકી નહીં. તેથી નારદજીએ આ અપમાનનો બદલો લેવાનું નક્કી
ત્યાર પછી નારદજી પરિભ્રમણ કરતા ઘાતકી ખંડના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રની રાજધાની અમરકંકા નગરીમાં પહોંચ્યા. ત્યાંના રાજા પદ્મનાભે નારદજીને પોતાની રાજસભામાં આવેલા જોઈને તેમનો આદરસત્કાર કર્યો. ક્ષેમકુશળ પૂછયા પછી રાજાએ નારદજીને પૂછયું– ઋષિવર ! આપની ગતિ સર્વત્ર અબાધિત છે. તેથી કહો કે મારા અંતઃપુર જેવું રમણીય નારીઓથી સુશોભિત અંતઃપુર અન્યત્ર આપે જોયું છે?
આ સાંભળી નારદજી હસી પડ્યા અને બોલ્યા- રાજનું ! તું પોતાની નારીઓના સૌંદર્યનો ગર્વ કરે છે. તારા અંતઃપુરમાં દ્રૌપદી જેવી કોઈ સુંદરી નથી, ખરેખર તો દ્રૌપદીના પગના અંગૂઠાની તુલના કરી શકે એવી એક પણ સુંદરી નથી.
આ સાંભળીને વિષયવિલાસાનુરાગી રાજા પદ્મનાભના મનમાં દ્રૌપદીના પ્રતિ અનુરાગનો અંકુર અંકુરિત થઈ ગયો. તેણે તત્ક્ષણ પૂર્વસંગતિક દેવની આરાધના કરી. સ્મરણ કરતા જ દેવ પ્રગટ થયા. રાજાએ પોતાના મનોરથ પૂર્ણ કરવાની વાત તેમને કરી.
મહેલમાં સૂતેલી દ્રોપદીનું દેવે શય્યા સહિત અપહરણ કરી તેણીને પદ્મનાભના મહેલના કીડોદ્યાનમાં લાવી મૂકી. ત્યાં રાજા પદ્મનાભે તેની પાસે પ્રેમ યાચના કરી, વૈભવ અને સુખ-સુવિધા વગેરેનું પ્રલોભન આપ્યું. નીતિકુશળ દ્રૌપદીએ વિચાર્યું–'આ સમયે આ પાપાત્મા કામાંધ થઈ રહ્યો છે. જો હું સાફ ઈન્કાર કરીશ તો વિવેકશૂન્ય હોવાથી કદાચ આ મારું શીલભંગ કરવા માટે ઉદ્ધત થઈ જશે.' આમ, વિચારીને દ્રૌપદીએ પદ્મનાભને કહ્યું – 'રાજન ! આપ મને વિચારવા માટે છ મહિનાનો સમય આપો. એ પછી આપની જેવી ઈચ્છા હોય તેમ કરજો. તેણે વાત મંજુર રાખી. એ પછી દ્રૌપદી અનશન આદિ તપશ્ચર્યા કરતી સદા પંચપરમેષ્ઠીના ધ્યાનમાં લીન રહેવા લાગી.
પાંડવોની માતા કુંતી દ્રૌપદી હરણના સમાચાર લઈને હસ્તિનાપુરથી દ્વારિકા પહોંચી અને શ્રીકૃષ્ણને દ્રૌપદીની શોધ કરવા વિનંતી કરી. આ સમયે કલહપ્રિય નારદઋષિ પણ ત્યાં પહોંચી ગયા. શ્રીકૃષ્ણ તેમને પૂછ્યું– 'મુનિ ! આપની ગતિ સર્વત્ર અબાધિત છે. અઢીદ્વીપમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં આપનું ગમન ન થતું હોય. અતઃ આપે ક્યાંય દ્રૌપદીને જોઈ હોય તો કૃપા કરીને કહો.