________________
અધ્યયન−૮ : પરિચય
૧૪૯
કારણે તેના જીવનમાં અનેક કુંવ્યસનોએ પ્રવેશ કર્યો હતો. તે માંસ અને મદિરામાં અત્યંત આસક્ત બની ગઈ, તેના વિના તે રહી શકતી ન હતી.
રાજાએ એકવાર પોતાના રાજ્યમાં ‘અમારિ’નો પડહ વગડાવ્યો. પ્રાણી વધનો સર્વથા નિષેધ થયો. રેવતી માટે મોટી મુશ્કેલી ઊભી થઈ, પરંતુ તેણે એક માર્ગ શોધી કાઢયો. પોતાના પિયરથી લાવેલા દાસો દ્વારા તેણે પિયરથી લાવેલાં ગોકુળમાંથી પ્રતિદિન બે વાછરડાં મારીને પોતાની પાસે પહોંચાડવાની વ્યવસ્થા કરી, ગુપ્ત રીતે આ કાર્ય ચાલુ રહ્યું. રેવતીની વિલાસી વૃત્તિ વૃઢિગત બનતી ગઈ.
શ્રમણોપાસક મહાશતકનું જીવન એક નવો વળાંક લઈ રહ્યું હતું, તે વ્રતોની ઉપાસના-આરાધનામાં પ્રગતિના પંથે હતા. એમ કરતાં ચૌદ વરસ વ્યતીત થઈ ગયાં. તેની ધાર્મિક ભાવનાએ વેગ પકડયો. તેણે પોતાની કૌટુંબિક અને સામાજિક જવાબદારી પોતાના મોટા પુત્રને સોંપી દીધી. પોતે ધર્મની આરાધનામાં વિશેષપણે નિમગ્ન થયા. પતિનું ધર્મમય જીવન રેવતીને ગમ્યું નહીં.
એક દિવસની વાત છે, મહાશતક પૌષધશાળામાં ધર્મ ઉપાસનામાં તલ્લીન હતા. દારૂના નસામાં ઉન્મત બનેલી રેવતી લથડિયાં ખાતી, પોતાના વાળ વિખેરી પૌષધશાળામાં આવી. તેણે શ્રમણોપાસક મહાશતકને ધર્મધ્યાનથી ચલિત કરવાની ચેષ્ટા કરી, વારંવાર કામોત્તેજક હાવભાવ દેખાડ્યા અને તેણે કહ્યું આ ધર્મઆરાધનાથી કદાચ તમને સ્વર્ગ મળે, પરંતુ સ્વર્ગમાં આ વિષયસુખથી વિશેષ શું છે ? ધર્મની આરાધના છોડી દો, મારી સાથે મનુષ્ય જીવનના દુર્લભ ભોગ ભોગવો.
આ એક વિચિત્ર ઘટના હતી. ત્યાગ અને ભોગ, વિરાગ અને રાગનું આ યુદ્ધ હતું. અત્યંત વિકટ સ્થિતિ હતી. મહાશતક એક શૂરવીર પુરુષ હતા. અતુલ આત્મબળના ધણી હતા. પોતાની પત્નીની કામુક સ્થિતિ, કામોત્તેજક ચેષ્ટાઓ તે સ્થિર ચિત્તવાળા સાધકને લેશ માત્ર પણ વિચલિત કરી શકી નહીં. તે પોતાની ઉપાસનામાં હિમાલયની જેમ અચલ અને અડગ રહ્યા. રેવતીએ બીજીવાર, ત્રીજીવાર ફરી તેને લોભાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મહાશતક પર તેની તલમાત્ર પણ અસર થઈ નહીં. તે ધર્મધ્યાનમાં લીન રહ્યા. ભોગ પર ત્યાગનો વિજય થયો. રેવતી વીલે મોઢે પાછી ફરી ગઈ.
મહાશતકો સાધનાક્રમ ઉત્તરોત્તર ઉન્નત અને વિકસિત થતો ગયો. તેણે ક્રમથી અગિયાર પડિમાઓનું સમ્યકરૂપે આરાધન કર્યું. ઉગ્ર તપશ્ચર્યા અને ધર્માનુષ્ઠાનને કારણે તેનું શરીર કૃશ થઈ ગયું. તેણે વિચાર્યું કે હવે આ શેષ જીવનનો ઉપયોગ સર્વથા સાધનામાં થઈ જાય તો શ્રેષ્ઠ છે, તેથી મારણાંતિક સંલેખના આમરણ અનશનનો સ્વીકાર કરીને સમગ્ર જીવનને આધ્યાત્મ સાધનામાં જોડી દીધું. સાધના કરતાં તેઓને અવધિજ્ઞાન પ્રગટ થયું.
આ રીતે મહાશતક સાધનાની મસ્તીમાં પ્રસન્ન હતા. જયારે રૈવતી વાસનાની ભીષણ જવાળામાં બળી રહી હતી. સંયોગોની આ વિચિત્રતા હતી. રેવતી ભોગપૂર્તિ વિના રહી શકી નહીં તેમજ પતિની ઉપેક્ષા સહી શકી નહીં, આથી ફરીવાર શ્રમણોપાસક મહાશતકને વ્રતથી વિચલિત કરવા માટે પૌષધશાળામાં આવી. માંસ અને મદિરામાં લોલુપ વ્યસની અને પાપી મનુષ્યનો વિવેક નષ્ટ થઈ જાય છે. ઘોરાતિઘોર પાપ કાર્યોમાં તે ફસાઈ જાય છે, તેથી જ જૈન ધર્મમાં માંસ અને મધના ત્યાગનું અત્યંત મહત્ત્વ છે. તેની સાત કુવ્યસનોમાં ગણના કરી છે.
द्यूतमांससुरावेश्याऽऽखेट चौर्य पराङ्गनाः ।
महापापानि सप्तेते, व्यसनानि त्यजेद्बुधः ॥ पद्मनन्दि पंचविंशतिका १-१६ ॥