________________
શ્રી સમવાયાંગ સૂત્ર
યથાસમય સ્વાધ્યાય ધ્યાનમાં સતત પ્રયત્નશીલ રહે છે. (૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાન - છઠ્ઠા ગુણસ્થાન કથિત સર્વ લક્ષણોથી યુક્ત જીવ જ્યારે શરીર અને ઉપકરણ સંબંધી પ્રમાદ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી તપ, સ્વાધ્યાય, ધ્યાન અને આત્મચિંતનમાં લીન થાય, આહારસંજ્ઞા આદિથી રહિત થાય, અને માત્ર આત્મલક્ષી પરિણામોમાં વર્તે છે, ત્યારે તે શ્રમણ સાતમા અપ્રમત્ત સંયત નામના ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે.
જીવને સંયમભાવમાં પ્રવેશતાં સર્વપ્રથમ આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી જ છઠ્ઠા કે આઠમાં ગુણસ્થાને જાય છે અર્થાત્ એ સંયમનું પ્રવેશદ્વાર છે.
તેની સ્થિતિ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. આ ગુણસ્થાન એક ભવમાં સેંકડોવાર આવે છે અર્થાતુ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને જીવ સેંકડોવાર આવજા કરે છે.
આ ગુણસ્થાનમાં આયુષ્યબંધનો પ્રારંભ થતો નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં આયુષ્યબંધનો પ્રારંભ કર્યો હોય, તે અહીં પૂર્ણ કરી શકાય છે, એ અપેક્ષાએ તેમાં આયુબંધ થાય છે. આ ગુણસ્થાનમાં જીવ મરણ પામે તો અવશ્ય વૈમાનિક દેવગતિ જ પામે છે.
(૮) નિવૃત્તિ બાદર (અપૂર્વકરણ) ગુણસ્થાન – સાતમા ગુણસ્થાન સુધી મોહનીયકર્મની જેટલી પ્રકૃતિનો ક્ષયોપશમ થયો હોય છે તેનો અહીં ક્ષય કે ઉપશમ થાય છે, ક્ષયોપશમ રહેતો નથી, તેથી જ આ અને ત્યાર પછીના ગુણસ્થાનોમાં ક્ષયોપશમ સમકિત હોતું નથી.
નિવૃત્તિ એટલે ભિન્નતા. આ ગુણસ્થાનકે બાદર કષાય છે અને સમસમયવર્તી સૈકાલિક જીવોના પરિણામ ભિન્ન-ભિન્ન હોય છે, તેથી તેને નિવૃત્તિ બાદર ગુણસ્થાનક કહે છે. આ ગુણસ્થાનકે પૂર્વે કયારે ય ન થયા હોય તેવા અપૂર્વ ૧. સ્થિતિઘાત. ૨. રસઘાત. ૩. ગુણશ્રેણી. ૪. ગુણસંક્રમણ અને ૫. અપૂર્વ સ્થિતિબંધ થતાં હોવાથી, તે અપૂર્વકરણ ગુણાસ્થાનકના નામે ઓળખાય છે. તેમાં કર્મના ક્ષય અને ઉપશમની અપેક્ષાએ બે શ્રેણીઓ હોય છે. (૧) ઉપશમ શ્રેણી (૨) ક્ષપકશ્રેણી. ઉપશમ શ્રેણી કરનારા યથાયોગ્ય પ્રવૃતિઓનો ઉપશમ કરતાં કરતાં અગિયારમા ગુણસ્થાન સુધી જાય છે અને ક્ષપક શ્રેણી કરનારા યથાયોગ્ય પ્રકૃતિઓનો પૂર્ણ ક્ષય કરતાં ક્રમશઃ ઉપર ચડે છે અને બારમા ગુણસ્થાનકે જાય છે.
આ ગુણસ્થાનથી શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. આ ગુણસ્થાનમાં રહેલા જીવના હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા; આ છ મોહનીયની પ્રકૃતિઓનો યથાક્રમે ક્ષય અથવા ઉપશમ થાય છે.
ક્ષપકશ્રેણીનો પ્રારંભ કરનારા તે જ ભવમાં મુક્ત થાય છે અને ઉપશમ શ્રેણી કરનારા તે જ ભવમાં મુક્ત થતા નથી પરંતુ શ્રેણીથી પતિત થાય છે, સાતમા વગેરે કોઈ પણ ગુણસ્થાને પહોંચી ત્યાંની ગતિ પ્રાપ્ત કરે છે. આઠમા ગુણસ્થાનમાં અને ત્યાર પછીના ગુણસ્થાનોમાં આયુબંધ થતો નથી, મૃત્યુ થઈ શકે છે. જો મૃત્યુ થાય તો તે જીવ પાંચ અનુત્તર વિમાનમાં જ જાય છે. તે જીવ જઘન્ય ત્રીજા ભવમાં અને ઉત્કૃષ્ટ પંદરમા ભવમાં મોક્ષે જાય છે.