________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૭૦૧
બાહ્ય ઇંદ્રિયો વશ કરી હોય, તો સત્પુરુષના આશ્રયથી અંતર્લક્ષ થઈ શકે. આ કારણથી બાહ્ય ઇંદ્રિયો વશ કરવી તે શ્રેષ્ઠ છે. બાહ્ય ઇન્દ્રિયો વશ હોય, અને સત્પુરુષનો આશ્રય ન હોય, તો લૌકિક ભાવમાં જવાનો સંભવ રહે.
ઉપાય કર્યા વિના કાંઈ દરદ મટતું નથી. તેમ લોભરૂપી જીવને દરદ છે તેનો ઉપાય કર્યા વિના તે ન જાય. આવા દોષ ટાળવા માટે જીવ લગાર માત્ર ઉપાય કરતો નથી. જો ઉપાય કરે તો તે દોષ હાલ ભાગી જાય. કારણ ઊભું કરો તો કાર્ય થાય. કારણ વિના કાર્ય ન થાય.
સાચા ઉપાય જીવ શોધતો નથી. જ્ઞાની પુરુષનાં વચન સાંભળે તો પ્રતીતિ નથી. ‘મારે લોભ મૂકવો છે', ‘ક્રોધ માનાદિ મૂકવાં છે' એવી બીજભૂત લાગણી થાય ને મૂકે, તો દોષ ટળી જઈ અનુક્રમે ‘બીજજ્ઞાન’ પ્રગટે. પ્રઃ આત્મા એક છે કે અનેક છે ?
ઉઃ- જો આત્મા એક જ હોય તો પૂર્વે રામચંદ્રજી મુક્ત થયા છે, અને તેથી સર્વની મુક્તિ થવી જોઈએ; અર્થાત્ એકની મુક્તિ થઈ હોય તો સર્વની મુક્તિ થાય; અને તો પછી બીજાને સત્ત્શાસ્ત્ર, સદ્ગુરુ આદિ સાધનોની જરૂર નથી.
પ્રઃ- મુક્તિ થયા પછી એકાકાર થઈ જાય છે ?
ઉ- જો મુક્ત થયા પછી એકાકાર થઈ જતું હોય, તો સ્વાનુભવ આનંદ અનુભવે નહીં. એક પુરુષ અહીં આવી બેઠો; અને તે વિદેહ મુક્ત થયો. ત્યાર પછી બીજો અહીં આવી બેઠો. તે પણ મુક્ત થયો. આથી કરી કાંઈ ત્રીજો મુક્ત થયો નહીં. એક આત્મા છે તેનો આશય એવો છે કે સર્વ આત્મા વસ્તુપણે સરખા છે; પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આત્મા પ્રત્યેક છે. આત્મા એક છે. માટે તારે બીજી કાંઈ ભ્રાંતિ રાખવાની જરૂર નથી, જગત કાંઈ છે જ નહીં એવા ભ્રાંતિરહિતપણાસહિત વર્તવાથી મુક્તિ છે’ એમ જે કહે છે તેણે વિચારવું જોઈએ કે, તો એકની મુક્તિએ સર્વની મુક્તિ થવી જ જોઈએ. પણ એમ નથી થતું માટે આત્મા પ્રત્યેક છે. જગતની ભ્રાંતિ ટળી ગઈ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્રસૂર્યાદિ ઊંચેથી પડી જાય છે, આત્માને વિષેથી ભ્રાંતિ ટળી ગઈ એમ આશય સમજવાનો છે.
રૂઢિએ કાંઈ કલ્યાણ નથી. આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં.
માયા કપટથી જૂઠું બોલવું તેમાં ઘણું પાપ છે. તે પાપના બે પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જૂઠું બોલે તો તેમાં ઘણું પાપ છે. આજીવિકા અર્થે જૂઠું બોલવું પડ્યું હોય અને પશ્ચાત્તાપ કરે, તો પ્રથમવાળા કરતાં કાંઈક ઓછું પાપ લાગે.
સત્ અને લોભ એ બે ભેળાં શું કરવા જીવ જાણે છે ?
બાપ પોતે પચાસ વર્ષનો હોય, અને તેનો છોકરો વીશ વર્ષનો મરી જાય તો તે બાપ તેની પાસેના જે દાગીના હોય તે કાઢી લે છે ! પુત્રના દેહાંતક્ષણે જે વૈરાગ્ય હતો તે સ્મશાન વૈરાગ્ય હતો.
કંઈ પણ પદાર્થ બીજાને આપવાની મુનિને ભગવાને આજ્ઞા આપી નથી. દેહને ધર્મસાધન ગણી તેને નિભાવવા માટે જે કાંઈ આજ્ઞા આપી છે તે આપી છે; બાકી બીજાને કંઈ પણ આપવાની ભગવાને આજ્ઞા આપી નથી. આજ્ઞા આપી હોત તો પરિગ્રહ વધત, અને તેથી કરી અનુક્રમે અન્ન, પાણી વગેરે લાવીને કુટુંબનું અથવા બીજાનું પોષણ કરીને દાનેશ્વરી થાત. માટે મુનિએ વિચારવું કે તીર્થંકરે જે કાંઈ રાખવાની આજ્ઞા આપી છે તે માત્ર તારા પોતાને માટે, અને તે પણ લૌકિક દૃષ્ટિ મુકાવી સંયમમાં જોડવાને આપી છે.
મુનિ ગૃહસ્થને ત્યાંથી એક સોય લાવ્યો હોય, અને તે ખોવાઈ જવાના કારણથી પણ પાછી ન આપે તો તેણે ત્રણ ઉપવાસ કરવા એવી જ્ઞાનીપુરુષોએ આજ્ઞા કરી છે; તેનું કારણ એ છે કે તે