________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૭ મું
૪૧૫
૫૧૫
મુંબઈ, શ્રાવણ સુદ ૧૪, બુધ, ૧૯૫૦
અત્રેથી થોડા દિવસ છૂટી શકાય એવો વિચાર વર્તે છે; તથાપિ આ પ્રસંગમાં તેમ થવું કઠણ છે.
જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સાંચનાનો પ્રસંગ નિત્યપ્રત્યે કરવા યોગ્ય છે. તેને વિષે પ્રમાદ કર્ત્તવ્ય નથી, અવશ્ય એમ કર્ત્તવ્ય નથી, એ જ વિનંતિ.
܀܀܀܀
આ સ્વ પ્રણામ.
૫૧૬
મુંબઈ, શ્રાવણ વદ ૧, ૧૯૫૦
પાણી સ્વભાવે શીતળ છતાં કોઈ વાસણમાં નાખી નીચે અગ્નિ સળગતો રાખ્યો હોય તો તેની નિરિચ્છ હોય છતાં તે પાણી ઉષ્ણપણું ભજે છે, તેવો આ વ્યવસાય, સમાધિએ શીતળ એવા પુરુષ પ્રત્યે ઉષ્ણપણાનો હેતુ થાય છે, એ વાત અમને તો સ્પષ્ટ લાગે છે.
વર્ધમાનસ્વામીએ ગૃહવાસમાં પણ આ સર્વ વ્યવસાય અસાર છે, કર્તવ્યરૂપ નથી, એમ જાણ્યું હતું. તેમ છતાં તે ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી હતી. તે મુનિપણામાં પણ આત્મબળે સમર્થ છતાં તે બળ કરતાં પણ અત્યંત વધતા બળની જરૂર છે, એમ જાણી મૌનપણું અને અનિદ્રાપણું સાડાબાર વર્ષ લગભગ ભજ્યું છે, કે જેથી વ્યવસાયરૂપ અગ્નિ તો પ્રાયે થઈ શકે નહીં.
જે વર્ધમાનસ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિઃસ્પૃહ હતા, અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે વર્ધમાનસ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્ત્યા; તે વ્યવસાય, બીજા જીવે કરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્યે કાર્યો, પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઈ નથી, અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઇચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી; કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનવાયોગ્ય નથી.
܀܀܀܀
૫૧૭
મુંબઈ, શ્રાવણ વદ ૭, ગુરુ, ૧૯૫૦
તમે અને બીજા મુમુક્ષુજનનાં ચિત્તસંબંધી દશા જાણી છે. જ્ઞાનીપુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાનમાર્ગ કહ્યો છે, અને સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિષે લક્ષ રાખી પ્રવૃત્તિ છે, તોપણ સત્સંગાદિને વિષે હજી અમને પણ પ્રતિબદ્ધબુદ્ધિ રાખવાનું ચિત્ત રહે છે. હાલ અમારા સમાગમનો અપ્રસંગ છે એમ જાણ્યા છતાં પણ તમ સર્વ ભાઈઓએ જે પ્રકારે જીવને શાંત, દાંતપણું ઉદ્દ્ભવ થાય તે પ્રકારે વાંચનાદિ સમાગમ કરવો ઘટે છે. તે વાત બળવાન કરવા યોગ્ય છે.
܀܀܀܀
૫૧૮
મુંબઈ, શ્રાવણ વદિ ૯, ૧૯૫૦
‘યોગવાસિષ્ઠ' - જીવમાં જેમ ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ ગુણ પ્રગટે, ઉદય પામે તે પ્રકાર લક્ષમાં રાખવાના ખબર લખ્યા તે પત્ર પ્રાપ્ત થયું છે.
એ ગુણો જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે. આત્મા રૂપી છે, અરૂપી છે એ આદિ વિકલ્પ તે પ્રથમમાં જે વિચારાય છે તે કલ્પના જેવા છે. જીવ કંઈક પણ ગુણ પામીને જો શીતળ થાય તો પછી તેને વિશેષ