________________
૪૧૭
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વિચાર કર્તવ્ય છે. આત્મદર્શનાદિ પ્રસંગ તીવ્ર મુમુક્ષુપણું ઉત્પન્ન થયા પહેલાં ઘણું કરીને કલ્પિતપણે સમજાય છે, જેથી હાલ તે સંબંધી પ્રશ્ન શમાવવા યોગ્ય છે, એ જ વિનંતિ.
૫૧૯
મુંબઈ, શ્રાવણ વદ ૯, શનિ, ૧૯૫૦
પ્રસંગના ચારે બાજુના પ્રારબ્ધવશાત્ દબાણથી કેટલાંક વ્યવસાયી કાર્ય થઈ આવે છે; પણ ચિત્તપરિણામ સાધારણ પ્રસંગમાં પ્રવૃત્તિ કરતાં વિશેષ સંકોચાયેલાં રહ્યાં કરતાં હોવાથી આ પ્રકારનાં પત્રાદિ લખવા વગેરેનું બની શકતું નથી. જેથી વધારે નથી લખાયું તે માટે બન્ને ક્ષમા આપવા યોગ્ય છો.
૫૨૦
મુંબઈ, શ્રાવણ વદ ૦)), ગુરુ, ૧૯૫૦
શ્રી સાયલા ગામે સ્થિત, પરમ સ્નેહી શ્રી સૌભાગને.
શ્રી મોહમયી ક્ષેત્રથી - ના ભક્તિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે તમારો લખેલ કાગળ પહોંચ્યો છે. તેનો ઉત્તર નીચેથી વિચારશો.
જ્ઞાનવાર્તાના પ્રસંગમાં ઉપકારી એવાં કેટલાંક પ્રશ્નો તમને થાય છે, તે તમે અમને લખી જણાવો છો, અને તેના સમાધાનથી તમારી ઇચ્છા વિશેષ રહે છે, તેથી કોઈ પણ પ્રકારે જો તમને તે પ્રશ્નોનાં સમાધાન લખાય તો સારું, એમ ચિત્તમાં રહ્યા કરતા છતાં હૃદયયોગથી તેમ બનતું નથી, પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણી જ ઓછી રહે છે. અથવા ચિત્ત તે કાર્યમાં અલ્પ માત્ર છાયા જેવો પ્રવેશ કરી શકે છે. જેથી તમને વિશેષ વિગતથી પત્ર લખવાનું થઈ આવતું નથી. એક એક કાગળ લખતાં દશદશ, પાંચપાંચ વખત બબ્બે-ચચ્ચાર લીટી લખી તે કાગળ અધૂરા મૂકવાનું ચિત્તની સ્થિતિને લીધે બને છે. ક્રિયાને વિષે રુચિ નહીં, તેમ પ્રારબ્ધબળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાન નહીં હોવાથી તમને તેમ જ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાનચર્ચા લખી શકાતી નથી. ચિત્તમાં એ વિષે ખેદ રહે છે, તથાપિ તેને હાલ તો ઉપશમ કરવાનું જ ચિત્ત રહે છે. એવી જ કોઈ આત્મદશાની સ્થિતિ હાલ વર્તે છે. ઘણું કરીને જાણીને કરવામાં આવતું નથી, અર્થાત્ પ્રમાદાદિ દોષે કરી તે ક્રિયા નથી બનતી એમ જણાતું નથી.
જે મુખરસ સંબંધી જ્ઞાન વિષે ‘સમયસાર' ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારો છો તે તેમ જ છે; એમ સર્વત્ર છે. એમ કહેવા યોગ્ય નથી. બનારસીદાસે સમયસાર ગ્રંથ હિન્દી ભાષામાં કરતાં કેટલાંક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે; અને તે કોઈ રીતે બીજજ્ઞાન'ને લગતી જણાય છે. તથાપિ ક્યાંક ક્યાંક તૈવા શબ્દો ઉપમાપણે પણ આવે છે. ‘સમયસાર' બનારસીદાસે કર્યો છે, તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે, ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમાપણે છે એમ જણાતું નથી, પણ કેટલેક સ્થળે વસ્તુપર્ણ કહ્યું છે, એમ લાગે છે. જોકે એ વાત કંઈક આગળ ગયે મળતી આવી શકે એમ છે. એટલે તમે જે બીજજ્ઞાન'માં કારણ ગણો છો. તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે.
બનારસીદાસને કંઈ તેવો યોગ બન્યો હોય એમ 'સમયસાર' ગ્રંથની તેમની રચના પરથી જણાય છે. 'મૂળ સમયસાર'માં એટલી બધી સ્પષ્ટ વાર્તા ‘બીજજ્ઞાન’ વિષે કહી નથી જણાતી, અને બનારસીદાસે તો ઘણે ઠેકાણે વસ્તુપણે અને ઉપમાપણે તે વાત કહી છે, જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસે સાથે પોતાના આત્માને વિષે જે કંઈ અનુભવ થયો છે, તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે, કે કોઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય.