________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨ મું
૧૯૯
સુખકર, હિતકર, અને હૃદયમય જેને માનેલ છે, તેમ છે, અનુભવગમ્ય છે, તે તો તે જ ગુફાનો નિવાસ છે; અને નિરંતર તેની જ જિજ્ઞાસા છે. અત્યારે કંઈ તે જિજ્ઞાસા પૂર્ણ થવાનાં ચિહ્ન નથી, તોપણ ક્રમે, એમાં આ લેખકનો પણ જય થશે એવી તેની ખચીત શુભાકાંક્ષા છે, અને તેમ અનુભવગમ્ય પણ છે. અત્યારથી જ જો યોગ્ય રીતે તે ક્રમની પ્રાપ્તિ હોય તો, આ પત્ર લખવા જેટલી ખોટી કરવા ઇચ્છા નથી; પરંતુ કાળની કઠિનતા છે; ભાગ્યની મંદતા છે; સંતોની કૃપાદૃષ્ટિ દૃષ્ટિગોચર નથી; સત્સંગની ખામી છે; ત્યાં કંઈ જ -
તોપણ તે ક્રમનું બીજ હૃદયમાં અવશ્ય રોપાયું છે, અને એ જ સુખકર થયું છે. સૃષ્ટિના રાજથી જે સુખ મળવા આશા નહોતી, તેમ જ કોઈ પણ રીતે ગમે તેવા ઔષઘી, સાધનથી, સ્ત્રીથી, પુત્રથી, મિત્રથી કે બીજા અનેક ઉપચારથી જે અંતરશાંતિ થવાની નહોતી તે થઈ છે. નિરંતરની - ભવિષ્યકાળની - ભીતિ ગઈ છે અને એક સાધારણ ઉપજીવનમાં પ્રવર્તતો એવો આ તમારો મિત્ર એને જ લઈને જીવે છે, નહીં તો જીવવાની ખચીત શંકા જ હતી; વિશેષ શું કહેવું ? આ ભ્રમણા નથી, વહેમ નથી, ખચીત સત્ય જ છે. એ ત્રિકાળમાં એક જ પરમપ્રિય અને જીવનવસ્તુની પ્રાપ્તિ, તેનું બીજારોપણ કેમ વા કેવા પ્રકારથી થયું એ વ્યાખ્યાનો પ્રસંગ અહીં નથી, પરંતુ ખચીત એ જ મને ત્રિકાળ સમ્મત હો ! એટલું જ કહેવાનો પ્રસંગ છે, કારણ લેખસમય બહુ ટૂંકો છે.
એ પ્રિયજીવન સર્વ પામી જાય, સર્વ એને યોગ્ય હોય, સર્વને એ પ્રિય લાગે, સર્વને એમાં રુચિ થાય, એવું ભૂતકાળે બન્યું નથી, વર્તમાનકાળે બનતું નથી, અને ભવિષ્યકાળે પણ બનવું અસંભવિત છે; અને એ જ કારણથી આ જગતની વિચિત્રતા ત્રિકાળ છે.
મનુષ્ય સિવાયની પ્રાણીની બીજી જાતિ જોઈએ છીએ, તેમાં તો એ વસ્તુનો વિવેક જણાતો નથી; હવે જે મનુષ્યો રહ્યાં, તે સર્વ મનુષ્યમાં પણ તેમ દેખી શકશો નહીં.
!!!
[અપૂર્ણ]