________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૪
ગૃહીત, અગૃહીત મિથ્યાત્વ
અધ્યાત્મપ્રેમી પં. દૌલતરામજી
વ્યક્તિત્વ અને કર્તૃત્વ
(સંવત્ ૧૮૫૫-૧૯૨૩). અધ્યાત્મરસમાં નિમગ્ન રહેનાર, ઓગણીસમી સદીના તત્ત્વદર્શી વિદ્વાન કવિવર પં. દોલતરામજી પલ્લીવાલ જાતિના નરરત્ન હતા. તેમનો જન્મ અલીગઢની પાસે સાસની નામના ગામમાં થયો હતો. પછી તેઓ કેટલાક દિવસ અલીગઢ પણ રહ્યા હતા. તેમના પિતાનું નામ ટોડરમલજી હતું.
આત્મપ્રશંસાથી દૂર રહેનાર આ મહાન કવિનો જીવનપરિચય હજી પૂર્ણપણે મળ્યો નથી, પણ તેઓ એક સામાન્ય ગૃહસ્થ હતા અને સરળ સ્વભાવી, આત્મજ્ઞાની પુરુષ હતા.
તેમણે રચેલું “છઢાળા” જૈન સમાજનું બહુ પ્રચલિત અને ખૂબ આદર પામેલું ગ્રંથરત્ન છે. ભાગ્યે જ કોઈ જૈન ભાઈ હશે કે જેણે છઢાળાનો અભ્યાસ ન કર્યો હોય. બધાંય જૈન પરીક્ષા બોર્ડના પાઠયક્રમમાં એને સ્થાન મળેલું છે.
એની રચના તેમણે સંવત ૧૮૯૧ માં કરી હતી. તેમણે એમાં ગાગરમાં સાગર ભરવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એ ઉપરાંત તેમણે અનેક સ્તુતિઓ અને અધ્યાત્મ-રસથી ભરપૂર અનેક ભજનો લખ્યાં છે, જે આજે પણ આખા ભારતની શાસ્ત્ર-સભાઓમાં પ્રતિદિન બોલાય છે. તેમના ભજનોમાં માત્ર ભક્તિ જ નથી, ગૂઢ તત્ત્વ પણ ભરેલું છે.
ભક્તિ અને અધ્યાત્મની સાથોસાથ તેમના કાવ્યમાં કાવ્યતત્ત્વ પણ તેના પ્રૌઢતમ રૂપમાં જોવામાં આવે છે. ભાષા સરળ, સુબોધ, પ્રવાહી છે, ભર્તીના શબ્દોનો અભાવ છે. તેમનાં પદ હિન્દી ગીત-સહિત્યના કોઈ પણ મહારથીની સામે ખૂબ જ ગર્વ સાથે રાખી શકાય તેમ છે. પ્રસ્તુત ભાગ તેમની પ્રસિદ્ધ રચના છઢાળાની બીજી ઢાળને આધારે લખેલ છે.
૧૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com