________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૩ ]
[ ૯૯
રાગથી નહિ બંધાયેલો એવો મુક્તસ્વરૂપ જ છે. એના આશ્રયે જે જ્ઞાન-શ્રદ્વાન-આનંદ પ્રગટે તે એક જ મોક્ષનું કારણ છે. લોકોએ અત્યાર સુધી આ સાંભળેલું નહિ એટલે તેમને નવું લાગે છે, પણ ભાઈ! આ નવું નથી; આ તો અનંત તીર્થંકરો થઈ ગયા તેમનો કહેલો પુરાણો માર્ગ
છે.
નિર્જરા અધિકાર, ગાથા ૨૧૫ માં આવે છે કે જ્ઞાનીઓને શરીર વગેરેના ભોગનો ભાવ તથા સર્વ રાગાદિ વિયોગભાવે વર્તે છે, કેમકે તે વિયોગસ્વરૂપ જ છે. શરીરાદિ અને રાગાદિ તારી ચીજ કયાં છે, પ્રભુ! એ તો સંયોગી ચીજ છે. સંયોગી ચીજ હંમેશાં વિયોગસહિત જ હોય છે. ભાઈ! સત્ય તો આ છે. એને વાદવિવાદ કરીને વીંખી-પીંખી ન નખાય. તારો માર્ગ તો પ્રભુ! અસંયોગી એવા તારા ૫રમાત્મસ્વરૂપનાં અંતરંગમાં શ્રદ્ધાન-જ્ઞાન કરીને અંદર ઠરવું એ છે. ત્રણકાળ ત્રણલોકમાં સર્વજ્ઞદેવોએ પોકાર કરીને આ કહ્યું છે. ભગવાન! તું એનું શ્રદ્ધાન કરીને એનો પક્ષ તો કર.
ગાથા ૬૯-૭૦ માં પણ આવે છે કે શુભાશુભભાવ સંયોગી ભાવ છે, સ્વભાવભાવ નથી. જે સંયોગે છે તે છૂટી જશે. એ (-શુભાશુભભાવ) છૂટી જશે માટે એ તારા નથી. જે પોતાનું હોય તે છૂટે નહિ, અને છૂટી જાય તે પોતાનું નહિ. ભાઈ! આમાં પંડિતાઈની કયાં જરૂર છે? આમાં તો પોતાનો જે અસંયોગી સ્વભાવ છે એમાં રુચિની જરૂર છે. સ્વભાવની રુચિ મહત્ત્વની ચીજ છે, જ્ઞાન ઓછું-વત્તું હોય તેનું કાંઈ મહત્ત્વ નથી.
અહીં શું કહે છે? કે તેના (-અજ્ઞાનના ) અભાવમાં અર્થાત્ વ્રતાદિ રાગની ક્રિયાના અભાવમાં જ્ઞાનીઓને ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનની ક્રિયા બાહ્ય વ્રતાદિ શુભકર્મોનો અસદ્દભાવ હોવા છતાં વર્તે છે અને તે મોક્ષનું કારણ છે. જ્ઞાની વ્રતાદિના વિકલ્પથી ભિન્ન પડીને અંદર જ્ઞાનાનંદસ્વરૂપમાં ઠર્યો છે. તેથી વ્રતાદિના શુભકર્મોથી રહિત હોવા છતાં તે મોક્ષમાર્ગમાં સ્થિત છે. જ્યારે અજ્ઞાની વ્રતાદિ શુભરાગના વિકલ્પથી ભિન્ન પડીને અંદર સ્વરૂપમાં ઠરતો નથી તેથી એને વ્રતાદિનો શુભરાગ હોવા છતાં એ રાગની ક્રિયાઓ બંધનું કારણ હોવાથી, મોક્ષમાર્ગનો અભાવ છે.
ભગવાન આત્મા જ્ઞાન અને આનંદના અપરિમિત સ્વભાવથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. એનું નિર્મળ પરિણમન-અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના સ્વાદથી યુક્ત પરિણમન મોક્ષનું કારણ છે. ભગવાન જ્ઞાનસ્વભાવ તો ત્રિકાળ મુક્ત જ છે. પણ એ મુક્તસ્વભાવનું તદ્રુપ જે પરિણમન થાય તે પણ અબંધ કહેતાં બંધના ભાવ વિનાનું છે. જ્ઞાનીને શુભભાવ હોય ખરો, પણ એને જે શુદ્ધનું પરિણમન છે તેમાં શુભનો અભાવ છે અને તે શુદ્ધનું પરિણમન જ એને મોક્ષનું કારણ છે. આ પ્રમાણે પોતે
Please inform us of any errors on
[email protected]