SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૦] (૪૧ ત્યાગસ્વરૂપ એવું નિરપેક્ષ તત્ત્વ ભગવાન આત્મા છે તેનો આશ્રય લેતાં શુદ્ધ પરિણતિ પ્રગટે તે નિશ્ચયવ્રત છે અને તેની સાથે વ્રતનો વિકલ્પ હોય તે વ્યવહારવૃત છે. શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે, તે શુભોપયોગ તો વ્યવહારવ્રત પણ કહેવાતો નથી. (આ પાંચમા વ્રતની માફક અન્ય વ્રતોનું પણ સમજી લેવું.) જેણે શુદ્ધ સહજ સ્વરૂપ પરમાનંદમય પ્રભુ ભગવાન આત્માને દૃષ્ટિમાં લીધો નથી, જેને નિર્મળ દશા-પરિણતિ થઈ નથી એવા જીવને હઠવાળો શુભભાવ હોય છે, પણ સહજ શુભભાવ હોતો નથી. કેમ કે તેને શુદ્ધ પરિણતિ નથી. અજ્ઞાની હઠથી બ્રહ્મચર્યાદિ શુભભાવ પાળે છે, પણ બ્રહ્માનંદસ્વરૂપ આત્માનો સ્વાદ તેને આવ્યો નથી. તેથી તે વ્યવહાર (-બાહ્યથી) બ્રહ્મચર્ય પાળે છે તો પણ તેને વ્રત કહેવાતું નથી. બાપુ! આ વાત સાંભળવા મળવી તે પણ મહાપુણ્યનો યોગ હોય ત્યારે સાંભળવા મળે એવી ચીજ છે. તેને એ જાતનો ક્ષયોપશમ હોય, એ જાતનો વિકલ્પ હોય અને એ જાતનું પુણ્ય હોય ત્યારે આ વાત સાંભળવા મળે. અહીં કહે છે કે જેમ માલ વિના બારદાન કોનું? (કોઈનું નહીં.) અથવા ખાલી ઘડો હોય તે ઘીનો ઘડો કહેવો કે તેલનો ઘડો કહેવો કે પાણીનો ઘડો કહેવો? પરંતુ અંદર કોઈ માલ તો નથી, તેથી એકલા ઘડાને કોનો કહેવો? (કોઈનો નહીં). તેમ નિશ્ચય શુદ્ધ પરિણતિ વિના વ્યવહાર કોને કહેવો? પરમ પ્રભુ-પરમેશ્વર એવા પોતાના આત્માનો સ્વીકાર થઈને જ્યાં હજુ શુદ્ધ પરિણતિ થઈ નથી, જ્યાં પરિણતિએ પૂર્ણસ્વભાવને સ્વીકાર્યો નથી ત્યાં શુદ્ધ પરિણતિ વિનાના શુભરાગને વ્યવહાર કહેવાતો નથી. ભારે વાત ભાઈ! અરે! અજ્ઞાની તો વસ્ત્ર, પાત્ર આદિ છોડે ને નગ્ન થઈ જાય એટલે જાણે બધું થઈ ગયું એમ માને છે. અર્થાત્ મેં (બાહ્ય) પરિગ્રહ છોડ્યો છે તેથી બધું છૂટી ગયું છે અને તેથી હવે આરંભ-પરિગ્રહ છોડવાનું શું કામ છે? એમ તે માને છે. અરે ભાઈ! કોને આરંભપરિગ્રહ કહેવો તેની ખબર છે? અજ્ઞાનીને આત્મવસ્તુની પક્કડ નથી, તેથી શુભરાગનો વિકલ્પ ઉઠ તેની પક્કડ હોય જ અને તે જ આરંભ-પરિગ્રહ છે. અહા! ત્રિકાળી આનંદભાવરૂપ જ્ઞાયકભાવની પક્કડ (-દષ્ટિ) અજ્ઞાનીને નથી એટલે તેની પક્કડ ક્યાંક તો રહેશે. તો, અજ્ઞાનીને શુભભાવની પક્કડ છે અને તે જ મહા આરંભ ને મહા પરિગ્રહ છે. બીજી રીતે કહીએ તો અજ્ઞાનીએ રાગને પકડ્યો છે, પણ રાગને પોતાથી ભિન્ન રાખ્યો નથી. પરંતુ તે રાગને ભિન્ન રાખે કેવી રીતે? કેમ કે તેણે આત્માને પકડ્યો હોય તો રાગને ભિન્ન રાખે ને?
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy