________________
તેમણે આ અક્ષરશઃ અનુવાદ કર્યો છે. જ્યાં જરૂર પડી ત્યાં ફૂટનોટ દ્વારા કે કૌસ દ્વારા સ્પષ્ટતા કરી છે. એ ઉપરાંત મૂળ ગાથાસૂત્રોનો ભાવભર્યો મધુર પદ્યાનુવાદ પણ કર્યો છે. આ રીતે શ્રી કુંદકુંદભગવાનનાં સમયસાર, પ્રવચનસાર અને નિયમસાર જેવાં ઉત્તમોત્તમ શાસ્ત્રોના અનુવાદનું પરમ સૌભાગ્ય તેમને મળ્યું છે તે માટે તેઓ ખરેખર અભિનંદનીય છે. આ નિયમસારનો ગુજરાતી અનુવાદ સર્વાંગસુંદર બન્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા ઝીલીને, અત્યંત પરિશ્રમપૂર્વક આવો સુંદર અનુવાદ તૈયાર કરી આપવા બદલ ભાઈશ્રી હિંમતલાલભાઈનો આ સંસ્થા ઘણો જ આભાર માને છે. આ અનુવાદ અમૂલ્ય છે; કેમ કે માત્ર, પૂજ્ય ગુરુદેવ અને જિનવાણીમાતા પ્રત્યેની પરમ ભક્તિથી પ્રેરાઈને પોતાની અધ્યાત્મરસિકતા વડે તૈયાર કરાયેલા આ અનુવાદનાં મૂલ્ય કેમ આંકી શકાય?
ભાઈશ્રી હિંમતલાલભાઈને આ અનુવાદકાર્યમાં પ્રસંશોધન, પ્રૂફરીડિંગ વગેરે નાનાંમોટાં અનેક કામોમાં ઘણી જ કિંમતી સહાય બ્ર) ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ આપી છે; તેમનો તથા ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ, અમૃતલાલ દેવકરણ વોરા વગેરે જેમણે જેમણે સહાય કરી છે તે સર્વેનો જે આભાર ભાઈશ્રી હિંમતલાલભાઈએ ઉપોદ્ધાતમાં વ્યક્ત કર્યો છે તેમાં આ સંસ્થા પોતાનો સૂર પુરાવે છે.
આ આવૃત્તિની પડતર કિંમત લગભગ નવ રૂપિયા થાય છે, પરંતુ આ પરમાગમનો લાભ વિશેષ પ્રમાણમાં મુમુક્ષુઓ લઈ શકે તે હેતુએ અનેક ભાઈઓ તરફથી પ્રદત્ત આર્થિક સહાય વડે તેની કિંમત ઘટાડીને સાડા પાંચ રૂપિયા રાખવામાં આવી છે. જેમણે જેમણે આ આર્થિક સહાય આપી છે તે સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
મુમુક્ષુ જીવો અતિ બહુમાનપૂર્વક સદ્ગગમે આ પરમાગમનો અભ્યાસ કરીને તેના ઊંડા ઊંડા ગંભીર ભાવોને સમજો અને અંતર્ગુફામાં બિરાજમાન શુદ્ધ કારણપરમાત્મા–ભગવાનચૈતન્યદેવને દેખો. શ્રાવણ વદ ૨,
વકીલ રામજી માણેકચંદ દોશી વીર સં. ૨૪૭૭; વિ. સં. ૨૦૦૭
-પ્રમુખશ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)