________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮): આત્મભાવના છીએ, માટે અમે તો એનાથી ઘણા આગળ વધી ગયા!—એવા જીવને અહીં પૂજ્યપાદસ્વામી કહે છે કે અરે મૂઢ અજ્ઞાની ! તારાં વ્રત-તપ તો સંસારનું જ કારણ છે; તને ચૈતન્યનું તો ભાન નથી ને વિષયોની ભાવના છૂટી નથી, તારો સંસાર જરાય છૂટયો નથી; ને ધર્માત્માને અંતરમાં ચૈતન્યભાવનાથી અનંત સંસાર છૂટી ગયો છે. વ્રત-તપ કરવા છતાં તું તો સંસારમાર્ગી છો ને તે ધર્માત્માને વ્રત-તપ ન હોવા છતાં તે મોક્ષમાર્ગી છે. છતાં એને હલકા માનીને, ને પોતાને તેનાથી અધિક માનીને તું મોક્ષમાર્ગની મોટી વિરાધના કરી રહ્યો છે.
સમકિતી ધર્માત્માને ચૈતન્યના અતીન્દ્રિય આનંદ સિવાય બાહ્યવિષયો કલેશદાયક લાગે છે; બાહ્યવિષયો તરફ વલણ જાય તે દુઃખ છે, ને ચૈતન્યમાં એકાગ્રતા રહે તે સુખ છે. અજ્ઞાનીને બાહ્યવિષયોની અનુકૂળતામાં સુખ લાગે છે, એટલે વ્રત-તપમાં તેને કલેશ-બોજો લાગે છે. ઘણા ઉપવાસ થાય ત્યાં ઘણો કલેશ લાગે છે. ને જ્ઞાની મુનિને તો આત્માના આનંદની લીનતાપૂર્વક આહારાદિની ઈચ્છા તૂટી જતાં સહેજે ઉપવાસાદિ તપ થઈ જાય છે, જ્ઞાનીને આત્માના આનંદ સિવાય બહારના કોઈ પણ વિષયોમાં સુખબુદ્ધિ નથી તેથી તેને તેની ભાવના નથી. અજ્ઞાનીને આત્માના આનંદનું ભાન નથી એટલે બાહ્યવિષયોમાં જ સુખબુદ્ધિ વર્તે છે, તેથી તેને બાહ્યવિષયોની જ અભિલાષા વર્તે છે. આમ જ્ઞાની અને અજ્ઞાનીની અંતરભાવનામાં આકાશ-પાતાળનું અંતર છે. (૪૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com