________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૪૧ માનનારને મોક્ષની ખરી ભાવના જ નથી, મોક્ષને તે ખરેખર ઓળખતો પણ નથી.
અહીં પૂજ્યપાદ સ્વામી કહે છે કે અહો! જેને મોક્ષની ભાવના હોય, આત્માને ભવભ્રમણથી છોડાવવો હોય, તે જીવો એવી ભાવના કરો કે હું જ પરમાત્મસ્વરૂપ છું. જે પરમપદને હું સાધવા માંગું છું તે મારામાં જ છે, મારો પરમાત્મસ્વભાવ જ મારે ઉપાસવા યોગ્ય છે. આવી સ્વભાવભાવની ભાવના કરો ને રાગની ભાવના છોડો. સ્વભાવભાવની ભાવના કરીને તેમાં એકત્વ કરતાં સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર ને મોક્ષ થાય છે. જો રાગથી લાભ થવાનો ભગવાનનો ઉપદેશ હોય તો તે ભગવાન પોતે રાગમાં કેમ ન રોકાણ? ભગવાન રાગ છોડીને વીતરાગ કેમ થયા? ભગવાન પોતે રાગ છોડીને સ્વરૂપમાં ઠર્યા તે જ એમ બતાવે છે કે રાગ છોડવાનો જ ભગવાનનો ઉપદેશ છે; રાગથી લાભ થાય એમ જે માને તે ભગવાનના ઉપદેશને માનતો નથી.
ભગવાનનો ઉપદેશ તો એમ છે કે તારો આત્મા જ પરમાત્મા છે, તેની ભાવના કર. તારું પરમાત્મસ્વરૂપ જ તારે આરાધ્ય છે; રાગ તે આરાધ્ય નથી. માટે પરથી ને રાગથી પરામુખ થઈને, આત્મસ્વભાવની જ આરાધના કર. જે આવી આરાધના કરે છે તે જ ભગવાનના દિવ્ય ઉપદેશને ઝીલીને ભગવાનના કદમ-કદમ પર ચાલે છે, ભગવાન જે માર્ગે ચાલ્યા તે માર્ગે ભગવાનના પગલેપગલે તે ચાલે છે, પણ રાગથી ધર્મ માનીને રાગને જે આરાધે છે તે ભગવાનના માર્ગે ચાલનારો નથી. અરે જીવ! તારે સર્વજ્ઞ ભગવાનના માર્ગે ચાલવું હોય-પ્રભુજીના પગલે-પગલે ચાલવું હોય તો રાગની ભાવના છોડીને, ચિદાનંદસ્વભાવની જ ભાવના કર... તેની ભાવનામાં એકાગ્ર થઈને ચૈતન્ય જિનપ્રતિમા થા....આવો પરમાત્માનો માર્ગ છે; જે આવા માર્ગે ચાલે છે તે પોતે પરમાત્મા થઈ જાય છે.....(૩૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com