________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO : આત્મભાવના
જ્ઞાનીની અંતર્મુખ વૃત્તિ
દેહાદિથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ આત્માના ભાનપૂર્વક, બાહ્ય પદાર્થો તરફની પ્રવૃત્તિ છોડીને અંતરમાં ઠરવા માટે જ્ઞાની એમ વિચારે છે કે –
यन्मया दृश्यते रूपं तन्न जानाति सर्वथा। जानन्न दृश्यते रूपं ततः केन ब्रवीम्यहम्।।१८।।
ઇન્દ્રિયજ્ઞાનનો વેપાર બાહ્ય પદાર્થોમાં જ છે; ઇન્દ્રિયજ્ઞાનદ્વારા બાહ્યમાં જે કાંઈ દેખાય છે તે તો અચેતન છે, શરીરનું રૂપ વગેરે દેખાય છે તે તો અચેતન છે, તે જરા પણ જાણતું નથી. હું તેના ઉપર રાગ કરું કે દ્વેષ કરું તો પણ તેને કાંઈ ખબર નથી કે આ મારા ઉપર રાગ કે દ્વેષ કરે છે; એટલે રાગ-દ્વેષ પણ નિરર્થક છે. મારા અભિપ્રાયને તે જાણતું જ નથી, તો હું તેની સાથે શું બોલું? અને જે જાણનારા છે એવા અન્ય જીવોનું રૂપ તો મને ઇન્દ્રિયજ્ઞાન દ્વારા દેખાતું નથી; માટે બહારમાં હું કોની સાથે બોલું? આત્મા તો ઇન્દ્રિયનો વિષય બનતો નથી ને જડ અચેતન શરીર તો કાંઈ જાણતું નથી, તેથી તેની સાથેનો બકવાદ વ્યર્થ છે; માટે બાહ્ય પ્રવૃત્તિ જ બધી વ્યર્થ છે, તેથી ઈન્દ્રિયો તરફનો વેપાર છોડીને હું મારા જ્ઞાનને અંતર્મુખ કરું છું.-એમ જ્ઞાની ભાવના ભાવે છે. આ રીતે બાહ્ય વિષયો તરફનું વલણ છોડીને જ્ઞાનને આત્મામાં એકાગ્ર કરવું તેમાં જ શાંતિ અને સમાધિ છે. જ્ઞાનને બાહ્ય વિષયોમાં ભટકાવવું તે તો અશાંતિ અને વ્યગ્રતા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com