________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫રમાર્થ વનિકા : ૧૪૧
આમાં કોઈ વ્યક્તિની વાત નથી. આ તો સત્યનો પોકાર છે. સર્વજ્ઞનું અતીન્દ્રિયસુખ બતાવીને આત્માના સુખસ્વભાવની આવી સરસ વાત અમે સંભળાવીએ અને એ સાંભળતાં જેને અંતરના ઉમંગથી ઉત્સાહ ન આવે તે જીવ ધર્મ પામવાને લાયક નથી; મુમુક્ષુને તો એ અતીન્દ્રિયસુખની વાત કાને પડતાં જ અસંખ્ય પ્રદેશે ઝણઝણાટથી આત્મા ઊછળી જાય. તેઓશ્રીના આ કથનમાં અંદરના સત્સ્વભાવનું જોર છે. અહા, સંતોએ સમજાવવામાં કાંઈ ખામી નથી રાખી. ખરી જિજ્ઞાસાથી પાત્ર થઈને સમજવા માંગે તો તો માર્ગ એક્દમ સ્પષ્ટ, સીધો ને સરલ છે. જેને સમજવું ન હોય ને ઝઘડા કરવા હોય એને શું કહેવું!! એનો આત્મા એ પ્રકારે પરિણમી રહ્યો છે તેમાં બીજો શું કરે? એ જ જીવ જ્યારે સવળો પરિણમશે ત્યારે સત્ સમજીને ત્રણલોકનો નાથ થશે.
મોક્ષમાર્ગ એ અંતરના સૂક્ષ્મ અધ્યાત્મભાવ છે, તે બહારથી ન દેખાય. બે જીવ હોય, બંને બહારમાં દ્રવ્યલિંગી દિગંબર જૈનમુનિ હોય, વસ્ત્રનો તાણોય ન હોય, મોરપીંછી ને કમંડળ હોય, શુભરાગથી પંચમહાવ્રત બંને પાળતા હોય, નિર્દોષ આહાર-વિહાર કરતા હોય, શાસ્ત્રાનુસાર ઉપદેશ દેતા હોય, -બંને મુનિની આટલી ક્રિયા તો બહારથી અજ્ઞાનીને પણ દેખાય; પણ, હવે ધ્યાન રાખજો! અંતરમાં તેમાંથી એક મિથ્યાદષ્ટિ હોય અને બીજા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સહિત બિરાજતા હોય. તો તેમાંથી પહેલા મુનિ તો આગમપદ્ધત્તિમાં વર્તી રહ્યા છે, તે મોક્ષમાર્ગને સાધતા નથી, ને બીજા મુનિરાજ અધ્યાત્મપદ્ધત્તિમાં વર્તતા થકા સાક્ષાત્ મોક્ષમાર્ગને સાધી રહ્યા છે. બંનેની બહારની ક્રિયાઓ લગભગ સરખી, પણ અંદરના સૂક્ષ્મ પરિણામમાં કેટલો ફેર? બહારની ક્રિયા વખતે અંતગર્ભિતપણે શુદ્ધભાવરૂપ અધ્યાત્મક્રિયા એકને નથી વર્તતી, ને બીજાને વર્તી રહી છે; અંતરની આ અધ્યાત્મક્રિયા તે જ ખરો મોક્ષમાર્ગ છે, તેને અજ્ઞાની કઈ રીતે ઓળખશે ? એ તો બંનેને સરખા ગણીને, બહારની ક્રિયાને અને પંચમહાવ્રતના શુભાગને જ મોક્ષમાર્ગ માનશે. પણ ભાઈ, જરાક અંતરષ્ટિથી જો. મોક્ષમાર્ગ એ બાહ્યક્રિયામાં કે રાગમાં નથી; મોક્ષમાર્ગ તો અંતરના શુદ્ધભાવરૂપ રત્નત્રયમાં છે. એને ઓળખ તો જ તને મુનિની સાચી ઓળખાણ થાય, ને તો જ તને મુનિવરો પ્રત્યે સાચી ભક્તિ જાગે. તથા મોક્ષમાર્ગને સાધવાની સાચી રીત પણ ત્યારે જ તને સમજાય. આવા જ્ઞાન વિના મોક્ષમાર્ગ સાધી શકાય નહિ. આ રીતે અજ્ઞાની મોક્ષમાર્ગ કેમ નથી સાધી શકતો એ વાત કરી. હવે સમ્યગ્દષ્ટિજ્ઞાતા કયા પ્રકારે મોક્ષમાર્ગ સાધે છે તે કહે છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk