________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાર્થ વચનિકા : ૧૦૯ સ્વભાવદષ્ટિથી જોતાં દ્રવ્ય પોતે કાંઈ અશુદ્ધ નથી; પરંતુ અશુદ્ધ પર્યાયરૂપે પરિણમેલા આત્માને જ, અહીં તે પર્યાય સાથે અભેદ ગણીને અશુદ્ધ-નિશ્ચયાત્મક દ્રવ્ય કહી દીધું, ને તેની સાથે વર્તતી અશુદ્ધપરિણતિને (ભેદ પાડીને) અશુદ્ધવ્યવહાર કહ્યો, એટલે અશુદ્ધદ્રવ્યને સહકારી અશુદ્ધવ્યવહાર કહ્યો; એ જ રીતે સાધકપર્યાયરૂપે પરિણમેલા આત્માને અભેદપણે મિશ્ર-નિશ્ચયાત્મક-દ્રવ્ય કહ્યું ને તેની સાધક-બાધક પર્યાયને મિશ્રવ્યવહાર કહ્યો, એટલે મિશ્ર-નિશ્ચયાત્મક દ્રવ્યને સહકારી મિશ્રવ્યવહાર કહ્યો; તથા શુદ્ધપર્યાયરૂપે પરિણમેલા આત્માને અભેદપણે શુદ્ધનિશ્ચયાત્મકદ્રવ્ય કહ્યું ને તેની શુદ્ધપર્યાયને શુદ્ધ વ્યવહાર કહ્યો, એટલે શુદ્ધદ્રવ્યને સહકારી શુદ્ધવ્યવહાર કહ્યો. આમ સંસારી જીવને વિષે ત્રણ પ્રકારે નિશ્ચય-વ્યવહાર કહ્યા.
આમ તો અશુદ્ધ-અવસ્થાના અનંત પ્રકારો છે ને શુદ્ધતામાંય (હીનાધિકતારૂપ) અનંતા પ્રકારો છે, પણ પ્રયોજન પૂરતા અશુદ્ધ, મિશ્ર ને શુદ્ધ એવા ત્રણ ભેદ વર્ણવીને તેમાં અનંતા પ્રકાર સમાવી દીધા છે.
હવે તેમાં નિશ્ચય-વ્યવહારનો ખુલાસો કરે છે.
આ એક સિદ્ધાંત છે કે સ્વભાવને સાધનારા પરિણામ સ્વભાવરૂપ હોય, વિભાવરૂપ ન હોય. વિરુદ્ધ જાતના ભાવોમાં સાધક-સાધ્યપણું હોય નહિ. મોક્ષમાર્ગ આત્માના સ્વભાવ-આશ્રિત છે, રાગને આશ્રિત નથી. આત્માનો સાધક આત્મારૂપ થઈને આત્માને સાધે છે, રાગરૂપ થઈને આત્મા નથી સધાતો.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk