________________
આવું જે લોકો નું કહેવું (કહે) છે તે દૈવ કહેવાય છે.
સારું અથવા ખરાબ –ફળ મળ્યા પછી, “પૂર્વે મેં આવું કર્મ કર્યું હતું-તેનું આવું ફળ મળ્યું” આવું ધારણા આપનારું જે વચન કહેવામાં આવે છે તે દૈવ કહેવાય છે.
શ્રીરામ કહે છે કે-હે,મુનિરાજ,પૂર્વજન્મ માં સંગ્રહ કરેલાં કર્મો તે દેવ કહેવાય છે, તેવું તમે કહ્યું હતું અને હવે તમે “તે દૈવ તો છે જ નહિ” એમ શા માટે કહો છો?
વશિષ્ઠ કહે છે કે-હે,રામ, તમે બધું બહુ સારી રીતે જાણો છો,માટે તમને હું એવી સંપૂર્ણ રીતે કહીશ કેજેથી તે “દેવ” નથી જ-એવો તમારા મનમાં દૃઢ નિશ્ચય થશે.ને બુદ્ધિ સ્થિર થશે.
સૌ પ્રથમ તો –મન ની જે ઘણી વાસનાઓ છે તે,સર્વ મનુષ્યનાં “કર્મ-રૂપે” પરિણામ પામે છે.
એટલે કે જે મનુષ્યમાં જેવી વાસના ઉઠે કે તરત જ તે પ્રમાણે તે વાસના મુજબ નું જ કર્મ કરે છે. મનમાં જે વાસના હોય,તેનાથી જુદું કર્મ કરે તેમ બની શકતું જ નથી.
જેમ કે,જો મનુષ્ય ને ગામમાંથી શહેર જવાની વાસના થાય તો તે શહેર માં જશે,જ. બીજે ક્યાંય નહિ.એટલે જેવી વાસના ઉઠે તે પ્રમાણે જ મનુષ્ય કર્મ કરવાનો પ્રયત્ન કરે છે.
પૂર્વે (પૂર્વ-જન્મ માં) ઉત્કૃષ્ટ ફળ ની ઈચ્છાથી જે કર્મ કર્યું હોય, તે,આ જન્મમાં “દેવ” ના નામે ઓળખાય (કહેવાય) છે.કર્મ કરનારાઓ નાં સર્વ કર્મો એ રીતે જ થાય છે.
જે કર્મ છે,તે પોતાની વૃદ્ધિ પામેલી “વાસના” જ છે.
આ વાસના ઉભી થવાના “કારણ-રૂપ”,પોતાના “મન” થી જુદી નથી.(એટલે કે વાસના,મન-રૂપ છે)
અને પાછું તે “મન” એ પરમાત્મા નું રૂપાંતર (વિવર્ત-રૂપ) હોવાથી,"પરમાત્મા-રૂપ” જ છે.
આ ઉપરથી,જે દૈવ છે તે કર્મ જ છે, ને જે કર્મ છે તે વાસના જ છે,
જે વાસના છે તે મન-રૂપ છે,અને,મન, એ પરમાત્મા-રૂપ છે.
માટે “દૈવ’ નથી એવો નિશ્ચય થાય છે.
ઉપર પ્રમાણે મન-વગેરે ના રૂપ માં પરિણામ પામેલો “આત્મા” જે જે કર્મને સારું માની ને કરે છે, તે કર્મ ના ફળને “આત્મા-રૂપ” દૈવ થી પ્રાપ્ત કરે છે.
હે રામ, મન અનિર્વચનીય છે.
અને સત્પુરુષો એ તે મન ને-મન,ચિત્ત,વાસના,કર્મ,દૈવ અને નિશ્ચય-એવાં નામો આપેલાં છે. અને મન એ આત્માનું જ રૂપાંતર હોવાને લીધે,
અનેક નામો વાળો તે આત્મા,નિત્ય દૃઢ ભાવે જે પ્રયત્ન કરે છે,તે પ્રમાણે તે સંપૂર્ણ ફળ પામે છે. આ પ્રમાણે સઘળું પુરુષાર્થ થી જ પ્રાપ્ત થતું હોવાથી,તમે કલ્યાણકારી પુરુષાર્થ કરો.
45
શ્રીરામ કહે છે કે-મને પૂર્વ ની વાસનાઓની જાળ જેવી રીતે રાખે છે તે પ્રમાણે હું રહું છું, હું તો વાસનાઓને વશ છું,તે આવો પરવશ હું બીજું શું કરી શકું?
વશિષ્ઠ કહે છે કે-હે,રામ, તમારી વાસનાઓ તમને,અનુકૂળ છે,તેથી તમે પોતાના પ્રયત્નથી પુરુષાર્થ કરીને અક્ષય-સુખ ને પામી શકશો.પુરુષાર્થ વગર તે સુખ મળી શકતું નથી.
તમારી જન્મ ની વાસના “શુભ અને અશુભ” એમ બે પ્રકારની,કે બે માંથી એક પ્રકારની હોવી જોઈએ.