________________
184
શરદ-ઋતુ ના નિર્મળ વાદળાં જેવી શાંત હતી.
(૮૦) મંત્રીએ પ્રશ્નો ના ઉત્તર આપ્યા,
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,એ પ્રમાણે એ મહાઅરણ્યમાં એ મહારાત્રીમાં એ મહારાક્ષસીએ મહાપ્રશ્નો પૂછ્યા, ત્યારે મહારાજા ના મહામંત્રીએ નીચે પ્રમાણે ઉત્તર દીધો.....
મંત્રી કહે છે કે-હે, રાક્ષસી,જેમ કેસરી સિંહ એ મદોન્મત હાથીનું ભેદન કરે છે તે રીતે,હું તારા પ્રશ્નોનું ભેદન કરું છું, તે તું સાંભળ.તે યુક્તિથી બધા જ જે પ્રશ્નો કરેલા છે, તે બધા કેવળ પરમાત્મા ને અનુલક્ષીને જ છે.તો પણ બધા પ્રશ્નો નો ઉત્તર તે પરમાત્મા માં ઘટાવીને હું આપું છું, તે તું સાંભળ. (નોંધ-અહીં ક્રમમાં ઉત્તર આપેલા નથી,પણ ઉત્તરનો ક્રમ તે ઉત્તર ના અંતે કૌંસ માં આપેલો છે)
--પ્રથમના પ્રશ્ન થી જ ઘણાખરા પ્રશ્ન માં “અણુ” શબ્દ આવેલો છે, તેનો અભિપ્રાય એવો છે કેજેનું કોઈથી વર્ણન થઇ શકતું નથી, જે અગમ્ય છે, તથા પાંચ ઇન્દ્રિય અને મન થી "જણાય છે તેને ચૈતન્ય-રૂપી અણુ આકાશથી પણ સૂક્ષ્મ છે.બીજમાં જે રીતે ઝાડની સત્તા રહેલી છે, તથા એક બીજમાં જેમ હજારો ઝાડ રહેલાં છે, તેમ તે પરમ ચૈતન્ય-રૂપી અણુમાં હજારો સત અને અસત બ્રહ્માંડ રહેલાં છે (૪૯)
--સર્વ વસ્તુની સત્તા અનુભવની સત્તા ને આધીન છે, માટે તે મુખ્ય સત્તાને (તે સત્તા) બીજાને આધીન છે, એવું “બીજાને આધીન-પણું માનવાથી અનવસ્થા થાય, માટે સ્વત-સિદ્ધ સત્તાના અનુભવથી જ સર્વ ભાવને સત્તા મળે છે (૧૬) --પરમાત્મા આકારથી શૂન્ય છે, માટે તે આકાશ-રૂપ છે,પણ આકાશ જડ છે અને પરમાત્મા ચૈતન્ય-રૂપ છે, માટે અનાકાશ પણ પરમાત્મા જ છે (૨) --આત્મભાવ થાય ત્યારે કિંચિત પણ નકિંચિત થાય,એટલે બ્રહ્મ કે જે સર્વાત્મા છે, તથા પોતાની મેળે જ જગતનો સાક્ષાત્કાર કરે છે, તે બ્રહ્મ જયારે જગતને પોતાનામાં લય કરે છે, ત્યારે પ્રથમ કિંચિત-રૂપે રહેલું જગત નકિંચિત થાય છે.પરમાત્મા અતીન્દ્રિય (ઇન્દ્રિયો થી ના જણાય તેવા) છે,માટે,તે કોઈ નથી, અને તે જ પરમાત્મા અનંત અણુ-રૂપ છે માટે કંઈક છે. (૩)
--પહેલા પ્રશ્નમાં એક અણુને અનેક સંખ્યા-પણું કહ્યું છે, પણ તે ચૈતન્ય-રૂપી અણુને અનેકતા દેખાવ-માત્ર છે. વસ્તુતા (હકીકતમાં, તે અનેકતા નથી (૧) સુવર્ણમાંથી કેવી રીતે કુંડળ વગેરે જુદાંજુદાંઘરેણાં થાય છે, તેવી રીતે ચૈતન્ય-રૂપી અણુમાંથી દ્રષ્ટા-દર્શન-દૃશ્ય-રૂપી વિચિત્ર જગતનો વિસ્તાર થયો છે, (૫૬)
--ઓગણીસમા પ્રશ્ન માં તથા બીજા પ્રશ્નમાં પણ વારંવાર”અણુ” શબ્દ છે, તેનો સારાંશ એવો છે કે-ચૈતન્ય-રૂપી અણુ પરમ-આકાશ-રૂપી છે તથા તે સૂક્ષ્મ છે, માટે તે જાણવામાં આવે તેમ નથી અને તે સર્વાત્મક છે, તો પણ, મન તથા ઇન્દ્રિયો તેને (જલ્દી) પહોંચી શકતા નથી. (૧૯)
--વીસમા પ્રશ્નમાં “છે અને નથી તેવો કયો અણુ છે?” એમ કહ્યું છે તેમાં “નથી” એમ બોલવું તે અયોગ્ય છે, કારણકે ચૈતન્ય-રૂપી અણુ સર્વાત્મક છે, માટે તેને શૂન્ય-પણું ઘટતું (થતું) નથી.અને “છે અને નથી” એવી રીતે બોલનાર તથા માનનાર જે પુરુષ છે તે “આત્મ-રૂપ” જ છે. વળી,કોઈ પણ યુક્તિ થી સત પદાર્થ ને અસત-પણું ઘટતું નથી. કદાપિ કોઈને શંકા થાય કે“જયારે તે (ચૈતન્ય) છે ત્યારે દૃશ્ય(જગત) કેમ નથી?” તો કહેવાનું કે કપૂર જેમ ગુપ્ત રાખ્યું હોય તો પણ પોતાની સુગંધીથી સર્વ ઠેકાણે જણાય છે, તેમ,ચૈતન્ય-રૂપી અણુ સર્વાત્મક છે,તેથી સર્વ ઠેકાણે ગુપ્ત રહી,સર્વ સત્તાથી પોતે પ્રગટ થાય છે.(૨૦)