________________
176
તે રાક્ષસી પ્રાણ અને અપાન વાયુ દ્વારા હૃદય-કમળ ની અંદર જ ધસે છે, અને તેનામાં દુઃખ ઉત્પન્ન કરવાની ઘોર શક્તિ રહેલી છે,આથી તે જાણે “જીવ-શક્તિ” ઉત્પન્ન થઇ હોય તેમ જણાય છે. સમાન-વાયુ ના વિપરીત-પણા (ઉંધા-પણા) થી-છતાં તે સમાન ની પેઠે જ ગમન (ફરે) કરે છે, અને, ઉદાન-વાયુના વિપરીત-પણાથી તે ઉદાન-વાયુ ની સાથે ગમન કરે છે. વ્યાન-વાયુની સાથે રહીને તે વ્યાધિ ઉત્પન્ન કરે છે.અને સર્વ અંગ ના રસમાં ફરે છે.
કોઈ સમયે તે “શૂળ-રોગ-રૂપી-વાયુ” સાથે હૃદયમાં અને કંઠમાં પ્રવેશીને શૂળ-રૂપી ઉન્માદ લાવે છે. કોઈ સમયે તે મનુષ્યના પગમાં પેસી જાય છે અને રુધિર-પાન કરી આશ્ચર્ય-સહિત આનંદ માને છે. કોઈ સમયે તે પુષ્પ ની માળા પરોવવાના કામમાં આવે છે, ત્યારે પુષ્પ-ગુચ્છ નું ભોજન કરે છે.અને અલ્પ ભોજન થી તે સંતોષ પામે છે. કોઈ સમયે તે ગારામાં નીચું માથું કરીને સૂઈ રહે છે.
જેમ,નીચ મનુષ્યને ઉત્સવ કરતાં કલહ (કકળાટ) વધારે સુખરૂપ લાગે છે, તેમ તે રાક્ષસીએ પારકા ના પ્રાણ ના જાય ત્યાં સુધી તેની ક્રૂરતા બતાવવામાં આનંદ માન્યો છે. જેમ,લોભીને અર્ધી કોડી નો (પૈસાનો) લાભ થાય તો પણ તે ઘણો માને છે, તેમ,થોડા લોહી પીવામાં પણ તે સોય આનંદ માણવા લાગે છે.
આવી રીતે “જીવ-સૂચી” (રોગ-રૂપ-સૂચી) અને “લોહ-સૂચી” (લોખંડ ની સોય-રૂપ) એવા સૂચી-સ્વ-રૂપ થી તેણે પ્રાણીમાત્ર ના મરણ ની ઈચ્છા રાખી છે. જેમ,ઘરમાં રાખેલી સોય વાપરવામાં ના આવે તો તેના પર કાટ ચડી જાય છે પણ તેને માટી સાથે ઘસવામાં આવે તો-તે પછી ઉજ્જવળ થાય છે, તેમ તે સૂચી ને બીજાને મારવાનું કામ ના મળે ત્યારે તેના મનમાં દુઃખ થાય છે, પણ બીજાને દુઃખ દેવામાં તેને આનંદ મળે છે.
તે ઘણી સૂક્ષ્મ છે, અદૃશ્ય છે,ખંડન કરનારી છે, તીક્ષ્ણ વીંધનારી છે,કૂર છે ને જાણે દૈવી ચેષ્ટા જેવી છે. તે રાક્ષસી કોઈ સમયે પોતાની શક્તિથી કાદવમાં પેસી જાય છે, કોઈ સમયે આકાશમાં ઉડે છે, કોઈ સમયે પવન ની સાથે દિશાઓમાં વિહાર કરે છે, અને કોઈ સમયે ધૂળમાં,ભૂતળમાં,વગડામાં,કે ઘરના અંતઃપુર માં સુએ છે.કોઈ સમયે હાથમાં, કાનમાં,ઉનના સ્વચ્છ સમુહમાં,લાકડાના છિદ્રમાં, માટીના ઢગલામાં –તેમ જ માનવીના હૃદયમાં સંતાઈ રહે છે. જેવી રીતે યોગી મંત્રની શક્તિથી પોતાની ઈચ્છા પ્રમાણે વિહાર કરે છે, તેવી રીતે તે રાક્ષસીએ પણ પોતાની ઈચ્છા મુજબ ફરવા માંડ્યું.
(૭૧) કર્કટી રાક્ષસી નો પશ્ચાતાપ
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,તે કર્કટી રાક્ષસીને ઘણા કાળ સુધી માણસના લોહી-માંસ નો સ્વાદ લેતાં પણ તૃપ્તિ થઇ નહિ, કારણકે સૂચી (સોય) રૂપ તેના નાના દેહમાં એક રૂધિરના બિંદુથી વધુ શું સમાઈ શકે? આમ, રાક્ષસી ની તૃષ્ણા, સોય-રૂપ થવાથી પણ,શાંત થતી નથી.માટે- તે રાક્ષસી વિચારવા લાગી કે
“હાય,મને આ સૂચી-રૂપ પ્રાપ્ત થવાથી હું કેવી સૂક્ષ્મ થઇ ગઈ છું! ભક્ષણ કરવાની મારી શક્તિ હરાઈ ગઈ છે,અરે, મારા પેટમાં એક કોળિયો પણ સમાઈ શકતો નથી, મારા પ્રથમના મોટા મોટા અંગો ક્યાં ગયા? હું કાદવની વચમાં ડૂબી જાઉ ,પૃથ્વી પર પડી જાઉં છું અને માણસના પગના પ્રહારથી હણાઈ ગઈ છું, મલિન થઇ ગઈ છું.અરે રે હું ધણી વિનાની મને કોઈ ધીરજ આપનાર નથી,મારું કોઈ સ્થળ નથી, દુ:ખથી પણ વધારે દુઃખમાં અને સંકટથી પણ વધારે સંકટમાં હું ડૂબી ગઈ છું.
મારે કોઈ સખી નથી,દાસી નથી,માતા નથી,પિતા નથી,ભાઈ નથી,પુત્ર નથી,દેહ નથી કે આશ્રય નથી.