________________
૨૨
ઉત્તરાધ્યયન સૂત્ર
અધ્યયન : પાંચમું અક્રમ-મરણીય
મૃત્યુકાળ એ જીવનકાર્યનો સરવાળો છે. મરણ તો વારંવાર થાય છે. કારણ કે પ્રમાદ એ જ મરણ છે, છતાં આ અધ્યયનમાં તો દેહના ત્યાગ વખતની દશાનું વર્ણન કર્યું છે. આ વર્ણન પરથી તે સ્થિતિની પહેલાં જ સમજી અપ્રમત્ત થવાય તે હેતુ સ્પષ્ટ માલૂમ પડી આવે છે.
૧. દુઃખે કરીને ઊતરી શકાય એવા મહાપ્રવાહવાળા સંસાર સમુદ્રમાંથી અનેક પુરુષો તરી ગયા. ત્યાં મહાબુદ્ધિવાળા એક જિજ્ઞાસુએ આ પ્રશ્નને પૂછ્યો.
૨. દરેક જીવની મરણાન્તે બે સ્થિતિઓ (ભૂમિકાઓ) હોય છે : (૧) અકામ-મરણ અને (૨) સકામ-મરણ
નોંધ : મરણ સમયે અશાંત રહે અથવા ધ્યેયશૂન્ય મરણ થાય તે અકામ-મરણ અને ધ્યેયપૂર્વક અવસાન થાય તે સકામ-મરણ કહેવાય છે.
૩. બાળકોનું તો અકામ-મરણ કે જે મરણ વારંવાર થાય છે અને પંડિત પુરુષોનું સકામ-મરણ કે જે એક વાર જ થાય છે.
નોંધ : જૈનદર્શન, શુદ્ધ સમ્યકત્વધારી જીવના મરણને પંડિત મરણ માને છે. અને તેવો આત્મા વધારેમાં વધારે સંસારમાં ફરીથી એક જ વાર જન્મ લે છે. અને સામાન્ય જીવોને અનેક વાર જન્મમરણ કરવાં પડે છે.
૪. ત્યાં આગળ આ પહેલી સ્થિતિ મહાવીરે આ પ્રમાણે (તેની) બતાવી છે કે જે ઇંદ્રિય વિષયોમાં આસક્ત થયેલો બાળક (મૂર્ખ) ઘણાં ક્રૂર કૃત્યો કરતો હોય છે.
નોંધ ઃ જે અત્યંત ક્રૂર કૃત્યો જેવાં કે હિંસાદિ કર્મો કરે છે તે જ અકામમરણને અનુભવે છે.
૫. જે કોઈ કામભોગોમાં આસક્ત થઈ અસત્ય કર્મોને આચરે છે તેની માન્યતા એવી હોય છે કે : ‘મેં પરલોક જોયો જ નથી અને આ વિષયનો આનંદ તો પ્રત્યક્ષ છે.'
૬. ‘આ કામભોગો તો હાથમાં આવેલા પ્રત્યક્ષ છે. અને જે પછી