________________
ચિત્તસંભૂતીય
૭૫ નોંધ : એ ચંડાલ જાતિમાં જ મહાપુરુષના સત્સંગ તથા સંસ્કારોને લીધે ત્યાગી થઈ જે શુદ્ધ કર્મો કર્યા છે તેનું જ આ સુંદર પરિણામ પામ્યા છીએ. તે કાળમાં ચંડાલ જાતિમાં મનુષ્યની સમાનતાના અધિકારો બ્રાહ્મણવર્ગે ખૂંચવી લીધા હતા.
૨૦. હે રાજન ! પુણ્યનાં ફળે કરી જ મહાસમૃદ્ધિવાળો અને મહાભાગ્યવાળો તું થયો છે. માટે હે રાજન્ ! ક્ષણિક ભોગોને તજીને, (શાશ્વત સુખ માટે) મુક્તિ માટે ત્યાગ દશાને અંગીકાર કરી લે.
૨૧. હે રાજન ! આ (મનુષ્યના) ક્ષણિક જીવનમાં સુંદર કાર્યોને નહિ કરવાવાળો મનુષ્ય ધર્મને છોડી દીધા પછી મૃત્યુના મોંમાં જયારે જાય છે ત્યારે પરલોકને માટે ખૂબ જ પશ્ચાત્તાપ કરે છે.
૨૨. જેમ સિંહ મૃગલાને પકડીને લઈ જાય છે તેમ અંત વખતે મૃત્યુ (રૂપ સિંહ) પણ મનુષ્યને નિર્દય રીતે ગળી જાય છે. ત્યાં માતા, પિતા, ભાઈ વગેરે કોઈ સહાયક થઈ શકતાં નથી.
૨૩. તે (કર્મના પરિણામે ઉત્પન્ન થયેલા) દુઃખમાં જ્ઞાતિજનો, સ્નેહીવર્ગ, પુત્રો કે બંધુઓ કોઈ ભાગ પડાવતાં નથી. કર્મ કરનાર જીવને સ્વયં તેનું દુઃખ ભોગવવું પડે છે કારણ કે કર્મ તો તેના કરનારને જ અનુસરે છે.
નોંધ : કર્મ એવી વસ્તુ છે કે તેનું ફળ તેના ભોક્તાને જ મળે છે તેમાં પોતાના જીવાત્મા સિવાય કોઈ પણ કાળે ન્યૂનાધિક્ય કોઈ કરી શકે જ નહિ આથી કહ્યું છે કે, “તમે જ તમારો બંધ કે મોક્ષ કરી શકો છો.'
૨૪. નોકરચાકર, પશુઓ, ક્ષેત્રો (ઉઘાડી ભૂમિ), મહેલો, ધન અને ધાન્ય વગેરે સર્વને તજીને માત્ર પોતાનાં શુભ કે અશુભ કર્મની સાથે રહેલો (કર્મથી પરતંત્ર) એકાકી જીવાત્મા જ સુંદર કે અસુંદર પરલોક પરાભવ) ને પામે છે.
નોંધ : શુભકર્મ હોય તો સારી ગતિમાં તેનું આકર્ષણ થાય છે. અને અશુભ કર્મ હોય તો માઠી ગતિમાં થાય છે.
૨૫. (મૃત્યુ થયા બાદો ચિતામાં રાખેલા તેના તે અસાર (ચેતન રહિત) શરીરને અગ્નિથી બાળીને જ્ઞાતિજનો, પુત્ર અને સ્ત્રી વગેરે (તેને થોડા વખતમાં ભૂલી જઈને) બીજા દાતાર (માલિક) અનુસરે છે.
નોંધ : વિશ્વમાં સૌ કોઈ સ્વાર્થ પૂરતું જ સગપણ રાખે છે. એક તરફનો સ્વાર્થ ગયો એટલે સૌ કોઈ બીજાને અનુસરવાનાં.