________________
આ જ વખતે દ્વિભાષી રાજ્ય રચનાનો પ્રશ્ન પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. એની હકીકત-ખેડૂત મંડળની ટુકડીઓ અમદાવાદ શાંતિસેના તરીકે જનારની વાત, આગળના ગ્રંથમાં આવી ગઈ છે, એટલે મુનિશ્રીના મનમાં બે પ્રશ્ન મુખ્ય હતા:
(૧) દ્વિભાષી રાજ્ય રચનામાં મહારાષ્ટ્રની પ્રજાનું વલણ જાણવું.
(૨) ગુજરાતમાં ખેડૂત મંડળોને કોંગ્રેસ આવકારતી નથી, તો મહારાષ્ટ્ર અને કર્ણાટક પ્રદેશની જનતામાં પ્રત્યક્ષ ફરી અનુભવ લેવો.
આમ તેઓ મહારાષ્ટ્રમાં જવા વિચારતા હતા. ગૂંદી આશ્રમમાં કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું. તેમાં તેમણે મહારાષ્ટ્ર પ્રવાસની યોજના મૂકી. પણ હજુ ભાલના પ્રશ્નો જ ક્યાં ઓછા હતા?
આદરોડાના ચાતુર્માસ પ્રસંગે ધંધુકા તાલુકાના ખાંભડા ગામના પટેલ પીતામ્બરભાઈ તેમને ૧૩મી જુલાઈએ મળવા આવ્યા હતા અને પટેલો અને કાઠીઓ વચ્ચેના વૈમનસ્યનો તાગ આપ્યો હતો. ત્યાં તો ૧૮મી જુલાઈએ ચાર જ દિવસ પછી ભાલના આ ભડવીર ખેડૂત કાર્યકરને કાઠીઓએ બંદૂકથી ઠાર કર્યા. જમીનોની તકરાર ચાલુ. મહારાજશ્રીને અત્યંત દુઃખ થયું. ગણોતધારાનો પ્રશ્ન, સહકારી મંડળીઓના પ્રશ્ન, હરિજનો-ભંગીના પ્રશ્નો, અછતની પરિસ્થિતિ - આવા નાના મોટા પ્રશ્નો તો હતા જ. ત્યારે મહારાજશ્રી વિચારમાં પડી ગયા. કાર્યકર્તાઓના આગ્રહને અવગણી પણ કેમ શકાય?
પોતાની કપરી કસોટીમાં તેઓ કુદરતનો આશરો લે છે. તેમણે નક્કી કર્યું ચિઠ્ઠીઓ કરવી – પ્રવાસ કરવો - પ્રવાસ બંધ રાખવો. ચિઠ્ઠી બાળક પાસે ઉપડાવી તો પ્રવાસ કરવાનું આવ્યું. આ રીતને તેઓ માત્ર એક વિકલ્પ તરીકે ગણાવે છે પણ હવે જવું જ એ દિશાના બધા પ્રયત્નો શરૂ થયા.
ત્યાં એક બીજું અનેરું આકર્ષણ આવીને ઊભું રહ્યું. પોતે ૧૯૩૭થી ગુરુના સાંનિધ્યમાંથી છૂટા પડ્યા હતા. એ જ મુંબઈના ક્રાંતિકારી સ્થા. સમાજે ચાતુર્માસ માટે નિમંત્રણ આપ્યું. પોતે જાણતા હતા કે આખો સમાજ અને એટલે કે સંતબાલની પ્રવૃત્તિઓને પચાવી શકે એ શક્યતા ઓછી છે, તેમ છતાં જ્યારે સામેથી સંઘે તૈયારી બતાવી છે તો તેનો સ્વીકાર કરવો. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના છ જિલ્લા - ૪૫૦ માઈલનો પ્રવાસ. પણ આ પ્રવાસ સૂરત – ખાનદેશ – નંદરબાર – અમલનેર - ધૂળિયા – માલેગાંવ - નાશિક – પૂણે વગેરેને આવરી લઈ મુંબઈ જવું, જેથી વચ્ચે મહારાષ્ટ્રની જનતાનાં દર્શન થાય.
પોતાના પ્રવાસમાં સરદાર અને બાપુનાં કેન્દ્રો જે જુગતરામભાઈ દવે છેલ્લાં ૪૦થી અધિક વર્ષોથી ચલાવતા હતા તેનો સમાવેશ કરવો. એ રીતે ભરૂચ જિલ્લામાં અને સૂરત જિલ્લામાં ગોપાલક પરિષદ, સહકારી કાર્યકરો, રચનાત્મક કાર્યકરો, કોંગ્રેસ કાર્યકરોનાં સંમેલનો યોજાતાં રહ્યાં. સૂરત જિલ્લો ગુજરાતભરમાં સૌથી વધુ રચનાત્મક પ્રવૃત્તિઓથી ખેડાયેલ છે. તેમાં બારડોલી, વરાડ, ઘંટોલી, વાલોડ, વેડછી, મઢી,
સાપુતાની પગદંડી પુસ્તક-છઠું