________________
બેવડી ચિંતા હતી. આજ સુધી આપણે ધર્મ સંસ્થાઓ પાસેથી પ્રેરણા મેળવી આચરણ કરતા, પણ હવે આજની સ્થિતિમાં ઘણો ફેર પડી ગયો છે.”
ધર્મસ્થાનકનું એટલું જ મહત્ત્વ જળવાય તેવા તેમના પ્રયત્ન સદા રહ્યા છે. ધર્મ તો માનવને જોડનારી મુખ્ય કડી છે. દુનિયાના દરેક મહાપુરુષે સમાજને વ્યાપકતા તરફ લઈ જવા પ્રયત્ન કર્યો છે. આમ વ્યાપકતાથી માનવજીવન ઉચ્ચ બને છે. વ્યાપકતા એટલે બધા પ્રત્યે સમભાવ, બધાનું કલ્યાણ અને એવું વાતાવરણ નિર્માણ કરવામાં જે સહન કરવાનું આવે તે સમર્પણ છે. મુનિશ્રીએ તો આ વ્યાપકતા માટે “વિશ્વવાત્સલ્યનો મંત્ર જ પ્રજાને આપી દીધો હતો.
માણસને શાંતિ માટે રોટલાની જરૂર છે. પોતાના શ્રમથી આજીવિકા મળી રહે, ન્યાયપૂર્ણ આજીવિકા મળે તેવી વ્યવસ્થા રાજ્ય કરવી જોઈએ. આપણા દેશમાં જમીન - એ એનો પાયો છે. મુનિશ્રીએ ભૂદાનને બહુ જ બિરદાવી પોતે સક્રિય બની રહ્યા, તેની વાત આગળના ગ્રંથમાં દર્શાવી છે, પણ તેઓ માનતા કે કેવળ ભૂદાનથી ગામડાના બધા પ્રશ્નો ઉકલવા શક્ય નથી. તેની સાથે ગ્રામસંગઠનનો વિચાર જોડવો જોઈએ. દરેક ગામ પોતાના ગામના વિશે વિચાર કરે. તેમાંથી ગણોતધારામાં સુધારા સૂચવતો ઠરાવ ખેડૂત મંડળે કર્યો, પણ તે કૉંગ્રેસે સ્વીકાર્યો નહીં, વિધાનસભામાં સુધારો થયો નહીં. તેથી ખેડૂતોએ સ્વૈચ્છિક રીતે નિર્ણય કર્યો કે ૬૦ એકરથી વધારે જમીન ધરાવતા ખેડૂતે સ્વેચ્છાએ એ જમીન છોડવી. એ માટે ગણોતધારા શુદ્ધિપ્રયોગ ચાલ્યો. આવા ઉપયોગી સુધારાને પણ રાજ્ય સ્વીકારતું નથી, કારણ કે તેની પાછળ સ્થાપિત હિતોનો હાથ હોવાની શક્યતા. તેથી ત્રણ ત્રણ દિવસના ત્રિઉપવાસી શુદ્ધિપ્રયોગની છાવણી નાની બોરુ અને મિંગલપુરની મુલાકાત લઈ ખેડૂતોના ત્યાગને બિરદાવ્યો. (આવા સ્વૈચ્છિક ભૂમિત્યાગ કરવા તૈયાર થયેલ કિસાનોનું જ્યારે વિનોબા ગૂંદી આશ્રમમાં આવ્યા ત્યારે તેમનું બહુમાન કરવામાં આવેલું.).
પણ સરકાર કૉંગ્રેસ પક્ષની હોવા છતાં આવા સુધારાનો અમલ ન થઈ શકે, ગ્રામસંગઠનો અને ખેડૂતમંડળોના પ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ ન આપે તે માટે તેમણે કોંગ્રેસને આંચકા આપવા શરૂ કરેલ. ધોળકામાં સાત દિવસના ઉપવાસ પછી કૉંગ્રેસ પ્રમુખ શ્રી ઉ. ન. ઢેબર, અ.ભા. કોંગ્રેસ કમિટીના મંત્રી શ્રીમન્નારાયણ અગ્રવાલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોવડીઓની મુલાકાત ગોઠળી બંનેના સહકારથી બળ વધે એવા પ્રયત્નો શરૂ કર્યો. ઉચ્ચ કક્ષાના નેતાઓ સમર્થન આપતા, પણ નીચે પ્રદેશ કક્ષાએ જો સહકાર ન મળે તો એકતા શી રીતે થઈ શકે? એકતાના આવા પ્રબળ પ્રયત્નો આદરોડા અને વાઘજીપુરાની બેઠકોમાં થયો. મુનિશ્રીને છેવટે એમ લાગ્યું કે - ગુજરાત પ્રદેશ સમિતિ આપણા મંડળોને માન્યતા આપવાની નથી, અને ગ્રામસંગઠનોનો પાયો જ કાચો રહી જશે.
સાધુતાની પગદંડી પુસ્તક-છઠું