________________
બેજવાબદારને પ્રભાવકનું લેબલ ? .
આપણે આપણી કશી બાહ્ય ચિંતા ન કરવી પડે તેવું વાતાવરણ ગુરુદેવો, અને શ્રાવકવર્ગ દ્વારા તૈયાર થયેલું હોવા છતાં જો આપણે આત્મકલ્યાણની ચિંતા ન કરીએ તો આનાથી બીજી કરુણ દશા કઈ હોઈ શકે ? શ્રાવકોને તો શરીર, પત્ની-પુત્રાદિ પરિવાર, કૌટુંબિક વ્યવહાર, સમાજ, દુકાન, ઘર, નોકર, ઘરાક, બજાર,
ઓફિસરો, પલટાતું રાજકારણ, મોંઘવારી.... વગેરે બાબતની કેટલી ચિંતા વળગેલી છે ? આટલા ટેન્શનમાં શેકાવા છતાં આત્મકલ્યાણની ચિંતા કરનાર શ્રાવક શાબાશીને પાત્ર બને કે કશી બાહ્ય ચિંતા ન હોવા છતાં આત્મકલ્યાણની ઉપેક્ષા કરનારા સાધુસાધ્વીજી ?
બાહ્ય મોંઘવારી, બેકારી અને ગરીબી જેને કદી નડે નહિ તેવા સંયમી જો આત્મકલ્યાણની તમન્ના કે ઉગ્ર પુરુષાર્થ ન કરે તો ગુણોની મોંઘવારી, બુદ્ધિની બેકારી અને આધ્યાત્મિક ગરીબીનો અવશ્ય શિકાર બને- એમાં કોઈ શંકા નથી.
ગુરુભક્તિ, ગ્લાન સંયમીની સેવા, આરાધનામાં સંઘને સહાય, સ્વાધ્યાય, તપ-ત્યાગ વગેરે યોગો પણ આપણા ઉપર જવાબદારી તરીકે ઠોકી બેસાડવામાં નથી આવ્યા. પરંતુ જેને આત્મકલ્યાણની સતત ચિંતા-ધગશ-ઝંખના હોય તેવા સંયમી માટે તો તે બધા તારક યોગો પ્રિય વ્યસન બની જાય. તેના વિના તે રહી ન શકે તેવી આત્મહિતેચ્છુ સંયમીની ભૂમિકા હોય.
આત્મકલ્યાણની જેને પડી ન હોય તેને તે યોગો જવાબદારી લાગે છે, ભારબોજરૂપ લાગે છે. તેવા જીવો બીજાને પોતાનો ચેપી રોગ ન લગાડે. તે કારણથી તેના માટે આ યોગો કંઈક અંશે કર્તવ્યરૂપે શાસ્ત્રકારોએ ફરમાવ્યા છે. કારણ કે કર્તવ્યભ્રષ્ટ થઈને જીવવાનો કોઈ મતલબ નથી.
૩૮ ૩