________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
પ્રત્યેક બુદ્ધ એવા કરકંડુ આદિ આત્માઓ પોતાના આત્માને દમીને ભવસાગરનો પા૨ પામ્યા છે. (૧૮)
વિવેચન : કોઈ જીવ આયુષ્ય ક્ષણભંગુર છે. સંધ્યાના રંગ જેવું છે. એવા વૈરાગ્ય જનક એક પણ નિમિત્ત પામી જે સંસાર તજી સંયમી બની કેવલી થઈ મોક્ષે જાય તેને પ્રત્યેકબુદ્ધ કહેવાય. કરકંડુ રાજર્ષિ તે રીતે મોક્ષે ગયા છે. અતુલબલી, વડવીર એવા અનાધી મુનિ પણ પોતાના આત્માને જીતી ધીર-વીર થઈ સંયમ લઈ મોક્ષે ગયા છે. (૧૯)
અનાથી મુનિના દૃઢ સંકલ્પની વાત
=
એક વખત અનાથી મુનિને દાહજ્વર ઉત્પન થયો. કહેવાતા રાજા-રાણી, માતા-પિતા, પોતાની કહેવાતી આઠ-આઠ પદ્મિણી સ્ત્રી, ભાઈ-બહેન મલી વૈદ્યોને બોલાવવામાં પાછી પાની કરતા નથી. છતાં રોગનો અંત આવ્યો નહિ. ત્યારે આ નિમિત્તને પામી અનાથી મુનિ વિચારે ચડ્યા છે કે આટ આટલા પ્રયત્નો છતાં માતા-પિતા ટગર ટગર જુવે છે, · પત્નીઓ રડી રહી છે, ભાઈ-બહેન ઝુરી રહ્યા છે. છતાં કોઈ કોઈનું દુઃખ લઈ શકતું નથી. આમ વિચારે ચડેલા ‘અનાથી’ મુનિ વૈરાગ્યે ચડ્યા છે. મનને સંસારથી વાળી દઈ સંયમ માર્ગે જોડ્યું કે સાથે આવનાર ધર્મ છે. કુટુંબ કબીલો અહિં રહેશે. પૈસો - પત્નિ - પરિવાર પેઢી અહિંજ રહેશે. આયુષ્ય ક્ષણભંગુર છે. શરીર નશ્વર છે. આત્મા અમર છે. કર્મનો કર્તા, હર્તા અને ભોક્તા પણ આત્મા છે. કર્મ દ્વારા જીવે અસંખ્ય ભવોમાં અસહ્ય વેદના સહી છે. હવે છુટકારો મળવાનો હોય તો ધર્મથી જ મળશે. આ વિચારધારે મનોમન દ્રઢસંકલ્પ કર્યો કે જો મારો રોગ શાંત થાય તો પ્રભાતે પરમાત્મભાષિત પ્રવ્રજ્યા માર્ગ પર ચાલી આત્મશ્રેય માટે સાધુ બનીશ. બસ... આ કરેલા સંકલ્પે કાર્યની સિદ્ધિ થઈ અને મુનિનો રોગ ગયો.. સંયમ લીધો અને આત્મશ્રેય સાધ્યું આમ અનાથી મુનિએ પ્રત્યેકબુદ્ધ બની આત્માને વશ કર્યો તેમ અનેક જીવો થયા છે અને ભવિષ્યમાં થશે કે જેઓ અત્યંતર શત્રુને જીતી કર્મને ચકચૂર કરવા સુભટ શિરોમણી શૂરવીર યોદ્ધા બનશે અને આત્મશ્રેય સાધશે. (૨૦)
એ પ્રમાણે કેવલી ભગવંતે દેશના આપતા કહ્યું કે, હે શ્રોતાજનો ! તમે પણ આત્મહિતનો અધિકાર સાંભળી આત્મહિત માટે ઉદ્યમવંત બનો. એ પ્રમાણેનો અણગારનો ઉપદેશ સાંભળી ઘણાં ભવ્યજીવો (નર-નારીઓ) પ્રતિબોધ પામ્યા. (૨૧)
એ પ્રમાણે રાસકર્તા ઉદયરત્નજી મહારાજ ધર્મ ઉપદેશ સ્વરૂપ બીજી ઢાળ પૂર્ણ કરતા કહે છે કે વિજયચંદ્ર રાજાનું મન પણ મુનિનાં વચનથી ભેદાયું છે. ધર્મના રંગે રંગાયું છે. તેમ હે શ્રોતાજનો ! તમે પણ પ૨પરિણતિમાં રમણ કરતા તમારા આત્માને સ્વ-પરિણતિમાં રમણ કરતો કરી શાશ્વત સુખનાં ભોકતા બનો ! (૨૨)