________________
વળી લોકમાં પણ કહેવાય છે કે ઉત્તમ પુરુષો પોતાના નામથી ઓળખાય. મધ્યમ પુરુષો બાપના નામથી ઓળખાય છે. વળી અધમ પુરુષો મોસાળે-મામાના નામથી ઓળખાય છે. અધમાધમ પુરુષો સસરાના નામથી ઓળખાય છે. હે પિતાજી! આ નાની ઉંમરે બહારની દુનિયા જોવા વડે કરીને મન વધારે ખીલે છે. માનસિક વિકાસ થાય છે અનુભવોમાંથી પસાર થાય છે. બુદ્ધિ વધારે ખીલે છે. તે કારણે અમારું કામ સરે છે. પિતાજી આપની લક્ષ્મી ઘણી છે. સઘળી લક્ષ્મી પિતાના હાથબળે ઉપાર્જન કરેલી છે. તેને હું છોડી દઇશ. આ વેપારીઓ સાથે હું પરદેશ જઇશ.
વિનયી પુત્રના અણધાર્યા આશ્ચર્યકારી અને દિલને દુઃખ થાય તેવા વચનો સાંભળી પિતાને ઘણું જ દુ:ખ થયું. આંખે આંસુની ધાર વછૂટી. કંઈક સ્વસ્થ થઈને લાડલા પુત્રને કહેવા લાગ્યા. હે વત્સ! તેં વાત રુડી ને સારી કરી, જે વાત કરીને અમારો જીવ ચાલ્યો જાય. હે વ્હાલા નંદન! આપણે ત્યાં લક્ષ્મી કળી ન શકાય તેટલી અઢળક રહેલી છે. ભર્યા ભંડારો દીકરા તારા માટે છે. મનવાંછિત ભોગ વિલાસને ભોગવો. વળી પ્રાણથકી તું વધારે અમને વહાલો છે. તને પરદેશ કેવી રીતે મોકલું? સાત - સાત પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન હોતે છતે પરદેશ જવાની જરુર નથી. તું અહિંયા જ રહીને વેપારને સંભાળ. ઘડીભર પણ તને એકલો નહિ મૂકું. તે કારણે વ્યવહાર સાથે ધર્મ માર્ગે ચાલો, જેથી સહુને સુખડાં થાય.
કુમાર કહે - હે પિતાજી! આ ધન-માલ-મિલકત આપની છે. પિતાના પૈસે મોજમજા ઉડાડનાર દિકરાને ધિક્કાર છે. તેનું જીવિત પણ ધૂળ છે. માટે પુણ્યને અનુસારે નસીબ અજમાવવા, જુદા જુદા પ્રકારના ચરિત્ર આશ્ચર્યોને જોવાને માટે જવુંજ છે. વળી સજ્જન દુર્જનની રીતિને પણ જાણીશ. ઓળખીશ તે કારણે પણ પરદેશ જવાની રજા આપો. જો મને જવાની રજા નહિ આપો તો આજથી જ આહાર પાણીનો ત્યાગ કરીશ. આ મારો મક્કમ નિર્ધાર છે. આ મારો નિશ્ચય છે તેમ જાણજો. પુત્રે પરદેશ જવાની જે રઢ લીધી તે કેમેય કરીને મૂકે તેમ નથી. તેથી કરીને ન છૂટકે જવાની રજા આપી. આ વાતની માતા ધનવતીને ખબર પડતાં ઘણી જ દુઃખી થઈ. ને વહેલી વહેલી દોડી આવીને આ વાતનો વિરોધ કરવા લાગી. પણ દીકરાએ લીધેલી હઠ ન મૂકી. શેઠે શેઠાણીને સમજાવ્યા ને રજા આપવા કહ્યું. દીકરાને કમને રજા આપો. પિતા દીકરાની જવાની તૈયારી કરવા લાગ્યા. વેપાર અર્થે બાર વહાણ તૈયાર કરવાની આજ્ઞા આપી. ને તે માટે જહાજોમાં પોતાના દેશની પ્રખ્યાત વસ્તુઓ અને રિયાણા ભરાવ્યા.
આ અવસરે હવેલીમાં રહેલી સુરસુંદરીને પણ આ વાતની જાણ થઇ. ને પોતાના સ્વામીને હાથ જોડીને પ્રણામ કરતા કહેવા લાગી. હે સ્વામીનાથ! આપની સાથે હું નિશ્ચયથી આવીશ. તમારા વિના એક ઘડી પણ હું રહી નહી શકું. વળી તમારા વિનાના મારા દિવસો કાઢવા ઘણા કઠણ અને દોહિલા છે. અને એ દિવસો મારા ઝુરી ઝરીને વિરહની ઝાળમાં જશે. વળી આ દુનિયા પણ કંથ વિનાની કામિનીને કલંકિત કરતાં વાર નહિ લાગે. હે પ્રાણનાથ! તમે મુજને વહાલા છો, પ્રાણથી પણ અધિક વહાલા છો. હે પ્રીતમ, મારું આ વચન માન્ય કરજો. મારા વચનને ઠુકરાવશો નહિ. મને સાથે લઇ લેશો. આપ વિના હું પળવાર પણ રહી નહિ શકું. મને ઘરને વિષે એકલી ન મુકશો. મને સાથે લેજો. મારી આ વિનંતી તમે સાંભળો.
હે પ્રિય! માત-પિતા તુલ્ય સાસુ સસરા, વળી આ નગરમાં મારા માતપિતા-આદિ સઘળો પરિવાર હોવા છતાં પ્રિય સ્વામી વિના મારે તો બધું અંધારું છે. મને ક્યાંયે ગમે નહિ. વળી સ્ત્રીને જ્યારે એકલી ન મુકવી જોઈએ. એમ શાસ્ત્રમાં પણ વાત આવે છે. શાસ્ત્રને વિચારીને જુઓ કે રાજ્યસન, તૈયાર થયેલ ભોજન, ધન, રાજ્ય, રમણી (સ્ત્રી) અને ઘર આ છએ ક્યારેય સૂનાં ન મૂકવાં. સૂની પડેલી આ છ વસ્તુનો અન્ય માલિક થતાં વાર લાગતી નથી. હે નાથ! માટે જ કહું છું તમારી સ્ત્રીને સઘળોયે પરિવાર હોવા છતાં સૂની મૂકી ન જશો. કુમાર કહે - હે સુંદરી! તારી વાત સાચી છે. પણ સાંભળ! પરદેશમાં સ્ત્રી સાથે હોય તો પગબંધન કેટલું! ભય કેટલો? તું આવવા માટે હઠ ન કર. કુંવરી કહે - હે (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)
૪૯