________________
આ ધૂર્ત ચોર નગરમાં રહ્યો છે. રાજસભામાં કયારેક આવતો હોય છે. કજિયાના ઘર સમાન આ ધૂર્ત એકવાર રાજસભામાં, પરિવાર સહિત રાજા બેઠો છે.તક મળી જતાં આ ધૂર્ત રાજાનો ચંદનહાર ચોરી લીધો. આચાનક રાજાનું ધ્યાન ગળામાં ગયું. ચંદનહાર ન જોતાં વિચારમાં પડી ગયો. સહુ વચ્ચે આનંદ કિલ્લોલ હતો.
રાજાનું મુખારવિંદ ફરી ગયું છે. ને બોલ્યા, મારો ચંદનહાર કોણે લીધો છે? જેણે લીધો હોય તે તરત આપી દે. નહિ તો આકરી શિક્ષા થશે.
રાજાની વાત સાંભળી સૌ વિચારમાં પડી ગયા. અંદરોઅંદર વાતો કરી રહ્યા છે. મેં લીધો નથી. બીજો કહે મેં પણ લીધો નથી. તો હાર જાય કયાં? સહુનું ધ્યાન પેલા ધૂર્ત સામે ગયું. સને થયું, હાર આ ચોરે જ લીધો હશે. રાજાએ ધૂતારાને પણ કહ્યું. મારો હાર લીધો હોય તો આપી દે. ચોરે તો ત્યાં શોરબકોર કરી મૂક્યો. મેં હાર લીધો નથી. તો હાર જાય કયાં? સહુ ચિંતિત થઈ ગયા.
આ નગરની બહાર સાચી દેવીનું મંદિર હતું. જે માણસ સાચો હોય તે જ આ મંદિરમાં રાત રહી શકે. બીજા નહિ. તેથી રાજાએ આ ઠગને આ દેવીના મંદિરમાં રાતવાસો રહેવાનો આદેશ આપ્યો. સત્યદેવી તને ચમત્કાર બતાવશે.
ધૂર્ત ધૂર્તકળામાં હોંશિયાર હતો. નિર્ભય થઈને રાજાની વાત સ્વીકારી દેવીના મંદિરમાં રાત્રિ રહ્યો. ધૂર્ત દેવીને બનાવવામાં પણ પાછો નહિ પડે. અડધી રાત પૂરી થઈ ગઈ. મધ્યરાત્રિએ દેવીની આગળ આવી ઊભો છે. દેવીનો હજુ સુધી કોઈ ઉપદ્રવ જણાયો નથી. તેથી આનંદ પામે છે. તે જ અવસરે હાથમાં ખડુંગ લઇને સાચી દેવી તેની આગળ પ્રગટ થઈને બોલવા લાગી, ધૂર્ત તે રાજાનો હાર ચોર્યો છે તે ચોર છે રાજાનો હાર આપી દે. ચોરી કરવાની તને ભયંકર કુટેવ છે. રાજાના પૂછવા છતાં તું ના પાડે છે. મેં હાર લીધો નથી. શાહુકાર થઈને મારા મંદિરે રાતવાસો આવ્યો છે. હું તને જીવતો નહિ છોડું. દેવીની વાત સાંભળી ચોર કહેવા લાગ્યો- હે પાપિણી! આ નગરના લોકોને તે ઠગ્યા છે. ને મને ચોર કહેવા નીકળી છે. મેં હાર લીધો નથી. તું મને ચોર કહેવાવાળી કોણ? તું જૂઠું બોલે છે. દેવીની સાથે વાદવિાદ કરવા લાગ્યો. જેમતેમ કરીને સમય પુરો કરવો હતો. રાત પણ પસાર કરવી હતી. ચોર કહે- હે દુષ્ટા! તું જુઠી છે. ને મને ખોટો પાડે છે. તારું નામ સાચી દેવી છે. આ નામ તારું ફોગટ છે. ચોરના આવા વચન સાંભળી સત્યદેવી ગુસ્સે થઈ. કહેવા લાગી. હે ચોર! આ નગરના સઘળા લોકો મને સાચી દેવી તરીકે ઓળખે છે. હું સત્યપણાથી આ મંદિરમાં રહું છું. ધૂર્ત કહેવા લાગ્યો- જો તું સાચી દેવી હોય તો મને જે સંદેહ છે તેને તું દૂર કરે તો જ સાચી દેવી તરીકે હું તને માનું. આ પ્રમાણે કહી ચોરે કથા ચાલુ કરી. પરદેશી બે જણા આ નગરને વિષે આવી રહયા છે. ને પિતાપુત્ર છે. પિતાનું નામ મહિધર છે. પુત્રનું નામ પલિપંથ. નગરમાં આવતાં બે સ્ત્રી મળી.જે બંને મા દીકરી છે. માતાનું નામ ગંગા છે. દીકરીનું નામ કમળા છે. આ ચારેય ભેગા થતાં એકબીજાને જોતાં કામાતુર બન્યા. કહેવાય છે કે અજાણ્યા માણસની સાથે પ્રીતી કરાવનાર હોય તો આ નયનો છે. નયનથી જ પ્રીતિ થઈ જાય છે. પોતાના મનને કાબુમાં ન રાખી શકતાં ગાંધર્વ વિધિથી મહિધર કમળાને પરણ્યો. અને પલિપંથ ગંગાને પરણી ગયો. પોત પોતાના મનમાં જે જેને ગમ્યું તે રીતે તેની સાથે પરણી ગયા. મા ગંગાને દીકરો પરણ્યા. બાપ દીકરી ને પરણ્યો. તો હે દેવી! આપ બોલો! આ ચારેય ના પરસ્પર સગપણ શું થાય? સાચાપણાની છાપ ધરાવો છો તો સગપણ કહો. ધૂર્તની વાત સાંભળી દેવી સગપણ માટે વિચારમાં પડી. વાતમાં, કથામાં અને વિચારમાં શેષ રહેલી રાત્રિ પૂરી થઈ. ને સવાર થઈ ગયું. સૂર્ય ઉદય થયો. ખોટી કથા કહીને દેવીને છેતરનાર સારી રાત વાતમાં ખપાવીને દેવીને છેતરી. સમય થતાં ધૂર્ત રાજાની સમક્ષ આવીને ઊભો. ખોટો હોવા છતાં પણ ધૂર્ત તે નગરને વિષે સાચાપણાથી વિખ્યાત બન્યો.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)