________________
એક શત અષ્ટ નવકાર નિત, ગણે જાણી ઉપગાર રે, જેહથી રોગ રૌરવ ટળે, સુખદ ભય- ભંજણહાર રે. ગુ. ૨૧ સમળી ભરુઅચ્ચે નવપદ સુણી, શ્રાધવિધિમાંહી તસ ઠામ રે, નૃપ- સુતા સિંહલદ્વીપમાં, પ્રિયસુદંસણા તસ નામ રે. ગુ. ૨૨ જાણી ઇમ નિત નવપદ ગણે, પુણ્ય બલ શીયલ બલવંત રે; તિહાં રહયો લલિત લીલા કરે, વિમલજસ સંત ગુણવંત રે. ગુ. ૨૩ રાસ સુરસુંદરીનો ભલો, પૂર્ણ થયો તૃતીય તસ ખંડ રે; રંગ સંગ જસ આકૃતિ, રોપિયો જગત જસ ઝંડ રે. ગુ. ૨૪ શુભ વિજય સુગુરુપદ અનુસરી, વીર કહે ધન્ય સતીબાલ રે;
ખંડ ત્રીજે સતી સુખ વરી, દુઃખ હરી તેરમી ઢાલ રે. ગુ. ૨૫ ભાવાર્થ :
બાલ્યવયમાં ગુરુકુળવાસમાં રહીને મેળવેલી ૬૪ કળાને સંભારતો વિમલયશ વિચારી રહ્યો હતો, ત્યાં માલણ આવી. ભાઈ! શું વિચાર કરો છો? વિમલયશ કહે - માતાજી! વિચાર તો આવે જ ને! આ ગામનો હું બિલકુલ અજાણ્યો છું. તે માટે મારે ગામની પૂરી જાણકારી તો મેળવવી પડશે ને! તો મા તમે જ કહો ને! માલણ કહે - દીકરા! આ નગરી જેવી બીજી કોઇ નગરી નથી. નગરીનો રાજા ગુણપાલ છે. નામ પ્રમાણે ગુણ રહેલા છે. પ્રજા ઘણી સુખી છે. રાજા તરફથી કોઈ પ્રકાર નો રંજાડ નથી. સુખ શાંતિ અનુભવે છે. કોઈ વાતે પ્રજાને દુઃખ નથી. ધન ધાન્યથી ભરપૂર છે. સુખસમૃદ્ધિ પણ અપાર છે. વેપાર ધંધા પણ સારા છે.
માલણ પાસેથી નગરીની વાતો સાંભળીને વિમલયશ પોતાની કળા થકી પંખો બનાવવા વિચાર્યું.માલણ પાસે પંખાને યોગ્ય સાધનો મંગાવી લીધા. વિમલયશ વીંઝણો બનાવવા લાગ્યો. માલણે જમવા માટે પુછયું. પરદેશી તમે શું લેશો? મા મારા માટે સાદી રસોઇ બનાવજે. કુમારે જોત જોતામાં વીંઝણો બનાવી દીધો. વાંસની ખપાટ ઉપર ફૂલો ગોઠવીને સુંદર પંખો બનાવ્યો. જોતાં જ આશ્ચર્ય ઉપજે. અને પોતાની પાસે રહેલી વિદ્યાથી અધિષ્ઠિત કર્યો. માલણને પંખો આપીને અને કહ્યું - મા સાંભળો.
આ વીંઝણો દૈવી છે. તેના ફૂલ કરમાતા નથી. બજારમાં જઈને તમારે વેચવાનો છે. પંખાની કિંમત સવાલાખ મુદ્રાની છે. તેનાથી એક પાઈ ઓછી ન લેવી. કિંમત સાંભળી માલણ તો ડઘાઈ ગઈ. વિચારમાં પડી. તરત કુમારે કહ્યું, મા શું વિચારો છો? કિંમત સાંભળી ડરી ગયા. આ પંખાનું કામ અજબગજબનું છે. પંખામાં ગુણનો ભંડાર ભર્યો છે. એની ઉત્તમતા શું છે? વિશેષતા શું છે? તે સાંભળો!. “આ પંખાનાં ફૂલો કદી કરમાતાં નથી. અને જે આ પંખાથી વાયુ નાંખે તેના સર્વ રોગ નાશ પામે છે. નવું જીવન પ્રાપ્ત કરે છે. અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં જે રોગો શાંત ન થયા હોય તે આ પંખાના પવનથી શાંત થઇ જાય છે. વીંઝણાની વિશેષતા સાંભળી હસતી હસતી માલણ પંખાને લઇને નગરમાં ગઈ. રાજમારગમાં ભરાતા બજારમાં જઇને ઊભી, જે બજારમાં શ્રીમંતો આવતાં, ગરીબો પણ આવતાં, માલણ વીંઝણો લઈને એક બાજુ ઊભી છે. સુંદર પંખો જોઇને એક ભાઇએ પૂછયું, બાઈ પંખાની કિંમત શું છે? માલણ કહે-“સવા લાખ
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)