________________
મિત્ર અગ્નિકુમારને કહી. અગ્નિકુમારે નદીના કિનારે બેઠેલી છાયાને જોઇ. સ્વરુપવાન સ્ત્રી છાયાને જોતાં મુગ્ધ બન્યો. એકબીજાની નજર મળતાં બંને એક મન થયા. યમરાજાથી ગુપ્ત પણે આ બંને વિષયસુખ ભોગવવા લાગ્યા. યમરાજની બીક બંનેને હતી. છાયા યમરાજ કરતાં અગ્નિકુમારમાં રકત વધારે હતી. અગ્નિકુમાર વિના રહી શકે તેમ ન હતી. યમરાજથી ગુપ્તપણે અગ્નિને છાયાએ પોતાના પેટમાં સંતાડી રાખ્યો ને ગુપ્તપણે આગ્ન સાથે રમે છે. વળી તે બંને યમરાજના ઉદરમાં રહે છે. યમ પોતાના મંદિરે આવ્યો ત્યારે છાયાની સાથે કામક્રીડા કરે છે. અગ્નિકુમાર કયાંય દેખાતો નથી. યમરાજના ઉદરે છાયા સાથે સુખ ભોગવે છે. તે કારણે તેત્રીસ કરોડ દેવતાની રસોઈ કેવી રીતે થાય? અગ્નિ કયાં યે દેખતો નથી. દેવતાઓ ભૂખથી પીડાવા લાગ્યા. અગ્નિ વિના રસોઇ થાય નહિ. ને ભૂખ જાય નહિ. તેથી દેવલોકમાં મોટો કોલાહલ મચી ગયો. આ સમાચાર ઇન્દ્રને મળ્યા. વાયુકુમારને બોલાવ્યો. ને અગ્નિકુમારના સમાચાર પૂછયા“તારો મિત્ર કયા ગયો?” વાયુકુમારે સકલ વાત ઈન્દ્રને કહી. ઇન્દ્ર વાયુને કહે છે- લોકના કલ્યાણ અને સુખને માટે પણ તમે અગ્નિને પ્રગટ કરો. ઇન્દ્રની આજ્ઞા થતાં વાયુકુમારે દેવલોકના બધા દેવોને પોતાને ત્યાં જમવાને માટે બોલાવ્યા. બધાને બેસવા માટે એક એક આસન આપ્યા. જયારે યમરાજને બેસવા માટે ત્રણ આસન મંડાવ્યા. બધા દેવોની વચ્ચે વાયુકુમાર યમરાજને હાથ જોડી કહેવા લાગ્યો. તમારા ઉદરે જે સ્ત્રી રહેલી છે, તેને કાઢીને આ આસન ઉપર બેસાડો. દેવોની હાજરીમાં વાયુકુમારે આ પ્રમાણે કહેતાં યમરાજે ઉદરમાંથી છાયાને કાઢીને આસન ઉપર બેસાડી. આસન ઉપર બેઠેલી સ્ત્રીને હવે વાયુકુમાર હાથ જોડીને કહે છે કે હે નારી! તારા ઉદરે પાવકને રાખ્યો છે અને બહાર કાઢીને આ આસનને શોભાવો. આ વાત સાંભળી ભયભીત બનેલી છાયાએ પોતાના પેટમાથી અગ્નિને કાઢયો. અને આસન ઉપર બેસવાનું કહ્યું.
આ પ્રમાણે પોતાની સ્ત્રીના પરાક્રમ જાણીને યમરાજા ઘણો કોપે ચડ્યો. હાથમાં લાકડી લઈને અગ્નિને મારવા દોડયો. અગ્નિકુમાર ત્યાંથી નાસી છૂટયો. કામને વશ થયેલો અગ્નિ દુઃખને સહન કરતો દોડીને વૃક્ષની બખોલમાં સંતાઈ ગયો. ત્યારપછી અત્યારે પણ અગ્નિને જોવો હોય તો લાકડામાં જોવા મળશે. હવે અગ્નિનું સ્થાન કાસ્ટમાં રહ્યું છે. ત્યારથી અગ્નિ થતાં જોવો હોય તો તે કાષ્ટથી તરત પ્રગટ થાય છે. અન્ય શાસ્ત્રમાં આવા પ્રકારની વાત સાંભળવા મળે છે. ત્રણ ખંડનો અધિપતિ રાવણરાય, પોતાના બાહુબળે કરીને અષ્ટાપદ પર્વતને ઉપાડનાર, ૧૬ હજાર વિદ્યાનો માલિક કામથી પીડાયેલો સતી સીતાના હરણથી આ જગતમાં પોતાનું સર્વસ્વ હારી ગયો. દુર્ગતિને પામ્યો. વેશ્યાના વચનથી નંદિણ મહામુનિએ ઓધો અને મુહપતિ મૂકી દીધા. આર્દ્રકુમાર મોહરાજાની સામે પડકાર નાખનાર ભાવ લડવૈયો તે પણ સ્ત્રી સંસર્ગથી હારી ગયો.
ત્રણ જગતમાં શસ્ત્ર વિના ફરતો, મહાન ભડવીર એવા કામદેવે મદને ભલભલાના પાણી ઉતારી નાખ્યા. અને દુર્ગતિમાં મોકલી દીધા. આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે આઠમી ઢાળ પૂરી થાય છે. કવિરાજ કહે છે હે ભવ્ય જીવો! મદનની વિડંબના દૂર કરીને જગતમાં યશ અને સારા સુખને પામજો.
તૃતીય ખડે આઠમી ઢાળ સમાપ્ત
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)