________________
આ પ્રમાણે વિચારીને સુરસુંદરી ચિત્તને વિષે નવકાર મંત્રને ધારણ કરતી વહાણના કિનારે આવીને ઊભી છે. શેઠ પણ તેની પાછળ આવી ઊભો. શેઠને ખબર નથી કે શીયલ માટે સાહસિક આ અબળા તો ઝપાપાત માટેની તૈયારી કરી છે. શેઠ સુંદરીનો હાથ પકડવા જાય ત્યાં તો સતીએ સમુદ્રમાં ઝંપલાવી દીધું. સતીના શીયળનો મહિમા અપરંપાર છે. સતીને સંકટમાં નાખતા શેઠના વહાણો તત્પણ ડોલવા લાગ્યા. સઢના દોર હાથમાં ઝાલ્યા રહેતા નથી. પ્રચંડ વંટોળિયો ચડી આવતા તરત સમુદ્રના પાણી ઉછળવા લાગ્યા. વહાણ પર રહેલા લોકો ભયની ચિચિયારી પાડી રહ્યા છે અને મુખમાંથી સહુ પોતાના ઇષ્ટદેવનું નામ લેવા માંડયા. વહાણોમાં પવન પૂરાવાથી ધ્વજા વાવટા ફાટવા લાગ્યા. તેના દંડ પણ તૂટવા લાગ્યા. જોતજોતામાં પ્રચંડ પવનના સુસવાટાથી વહાણના સો જેટલા ટુકડા થતાંની સાથે શેઠ અને તેનો સઘળો કે પરિવાર જળસમાધિ પામ્યો.
સતી સામે કુદૃષ્ટિથી જોતાં શેઠ પોતાના જીવથી ગયો. તે પાપીનાં છાંટા પરિવારને પણ લાગતાં તે પણ સહુ જીવથી ગયા. અને પોતાનું કાર્ય કંઈ જ ન થયું. સઘળા યે દુઃખી થઈને મરણને શરણ થયા.
જગતમાં ઝળહળતું જયવંતુ વ્રત હોય તો એક શીયલવ્રત. શીયલના પ્રભાવે સુભદ્રાએ ચંપાનગરીના બંધ થયેલા દ્વાર ખોલ્યા. શીયલના પ્રભાવે મનોરમાએ પોતાના પતિ ઉપર આવેલું કલંક દૂર કર્યું. આવા કંઇક ઉદાહરણો ઇતિહાસના પાને નોંધાયા છે. ઘાતકીખંડનો પક્વોત્તર રાજા, ત્રણ ખંડનો સ્વામી, દ્રૌપદીના રુપનું વર્ણન સાંભળી આસક્ત થયો. જંબુદ્વીપ ભરતક્ષેત્રમાંથી હરણ કરી ગયો. પાંડવપત્ની પાછી લાવનાર વાસુદેવે કૃષ્ણ મહારાજા ત્યાં જઈને લઇ આવ્યા. પોત્તરની લજજાને હરણ કરનાર કૃષ્ણ મહારાજા સૂર્યસમાન શોભતા હતા. પદ્મોત્તર જગતરૂપી આકાશમાં તારલાની ગણતરીમાં મૂકાયો.
વળી અયોધ્યાવાસી દશરથનંદન શ્રીરામચંદ્રજીની પ્રિયા જાનકીને લંકાપતિ રાવણ હરણ કરીને લાવ્યો. અબ્રહ્મના અભિલાષથી મહાસતી સીતાને સતાવી. સ્વામીથી વિખૂટી પાડી, પરસ્ત્રીની વાંછાએ રણમાં રોળાયો , નરક ગતિને પામ્યો. ઘણો સમજાવ્યો. ન સમજયો, રાવણ ને ઘડીના છઠ્ઠા ભાગમાં હતો ન હતો થયો. શીયલ પ્રળ વે સતી સીતા બારમા દેવલોકે અશ્રુતપતિ દેવ થયા.
શ્રાવકના બાર વ્રતમાં આ ચોથું વ્રત, શીયલ બ્રહ્મચર્યવ્રત દુષણ વગરનું જ દીવા સમાન છે. બાકી ૧૧ વ્રતોમાં કદીક લાગતા દુષણરુપ અતિચારોને પ્રાયશ્ચિત કરતાં શુદ્ધ અને પવિત્ર કરી શકાશે. જયારે આ વ્રતમાં કે ઇ બાંધછોડ ! અતિચાર છે જ નહિ. શુદ્ધ મન વચન કાયાથી જ પાળવાનો રહે છે.
મહાસતી સુરસુંદરીએ નવકારમંત્રને ગણતા ગણતા જ સમુદ્રમાં ઝંપલાવ્યું. અગાધ દરિયો! સતીના શા હાલ? સાગરમાં સમાઈ ગયેલા શેઠના વહાણના પાટિયા આમતેમ ઉછળતાં એક પાટિયું સતીના હાથમાં આવી ગયું. સુંદરીએ તો આ પાટિયાને મજબૂત પકડી લીધું કે હાથમાંથી છૂટે જ નહિ. પાણીના મોજાં ઉછળતાની સાથે જ સુદંરી સહિત પાટિયું પણ ઉછળતું હતું. ભાનમાં હતી ત્યાં સુધી શ્રી પંચપરમેશ્વર રુપ નવકાર મંત્રનો જાપ ચાલુ રહ્યો. પછી તો સતી બેભાન થઇ ગઇ. બેભાનમાં પણ પાટિયું છૂટી ગયું નથી. એ એની જોરદાર પુણ્યાઇ. પાટિયે રેશમની મડાગાંઠ ન દીધી હોય તેમ સુરસુંદરી રહી હતી. સુરસુંદરીના સંત ને શીલનું રક્ષણ કરવા મહાસાગર વહારે આવ્યો હતો. કેટલોક સમય સમુદ્રમાં તણાતી, પછડાતી, કૂટાતી, બેનાતટપુરના કિનારે સાગરે લાવીને મૂકી દીધી. પાટિયા સાથે કિનારે પડેલી સુંદરી હજી બેભાન હતી. મધરાતે કિનારે આવી. બેભાન અવસ્થામાં હતી. સવાર પડતાં જાગૃતિ આવી. હાથ પગ બે ચાર વાર હલાવ્યા. આંખ ખૂલીખબર નથી સતીને કે હું કયાં છું?
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)