________________
૫૦
નવનિધાનઃ (૧) નૈસર્ગીકાય, (૨) પાંડુકાય, (૩) પિંગલાય, (૪) સર્વ રત્નાય, (૫) મહાપદ્માય, (૬) કાલાય, (૭) મહાકાલાય, (૮) માણવકાય, (૯) શંખાય.
વર્તમાનમાં ઘણા સ્થળે એકાક્ષી મહિમાવંત એવા શંખની ઘરમાં ઉચિત સ્થળે સ્થાપના કરવામાં આવે છે. એક દૃષ્ટિએ શંખ એ નવનિધાનમાંથી એક નિધાન છે. એનો જે રીતે આદર સત્કાર કરીએ તે રીતે નિમિત્તના કારણે ઘરમાં શ્રી-લક્ષ્મી અને શાંતિનું આગમન થાય. એક વાત નિશ્ચિત છે કે, નીતિપૂર્વકની આવેલી લક્ષ્મી-નિધિ સુખ-શાંતિ બક્ષે છે.
એક વિદ્વાન પાસે એક પરિવાર ગયો. ઘરમાં કાંઈક સારી પ્રવૃત્તિ શરૂ કરવાની ઈચ્છા તેઓ પાસે કરી વિદ્વાને પરિવારને કહ્યું. ઘરે જઈ શાંતિથી વિચાર કરી તમને શું જોઈએ છે તેનો વ્યક્તિગત વિચાર-નિર્ણય કરી લખી રાખો.
બીજે દિવસે વિદ્વાન ઘરે ગયા. ને ક્રમશઃ બધાને મનપસંદ વસ્તુ-ભાવના જણાવવા કહ્યું. જવાબમાં પુત્રે કહ્યું : વૈભવ જોઈએ છે, ધંધા માટે કામ આવશે. પત્નીએ કહ્યું, શાંતિ જોઈએ છે. કટકટથી હવે થાકી ગઈ. પુત્રવધૂએ કહ્યું, પ્રેમવાત્સલ્ય જોઈએ. ઘરમાં બધું છે. આંખમાં અમી જોઈએ. છોકરીએ કહ્યું, સફળતા જોઈએ. પરીક્ષામાં સારા માર્ક જોઈએ.
વિદ્વાન બધાની વાત સાંભળી વિચારમાં પડી ગયા. છેવટે કહ્યું, પરસ્પર વાત્સલ્ય પ્રેમભાવ તમારા ઘરમાં વધુ વસે એવી હું ભાવના ભાવું છું. તેમાં જ બધું સુખ સમાયેલ છે. યાદ રાખો, જે તમારે જોઈએ છે તે બીજાને આપો.
વિદ્વાનના શબ્દ પરિવારમાં જાદુ કર્યો. એ દિવસથી સૌ હળીમળી રહેવા લાગ્યા. આ છે શબ્દનો નિધિ-વચનનો મહિમા. સિદ્ધ પુરુષોના વચન આ રીતે દાવાનલ એવા સંસારને અમૃત બનાવે છે.
ટૂંકમાં પુણ્ય અને પુરુષાર્થ એ બે વચ્ચે નિધિની ગમણાગમણની રમત ચાલે છે. પુણ્ય ઓછું હોય, પુરુષાર્થ અયોગ્ય હોય તો નિધિ આવે પણ નહિં, ટકે પણ નહિં. તેનો વિકાસ-સ્થિરતા પુણ્યને આધીન છે.