________________
૪૨
પાણી કપડાં-વાસણ-જગ્યા સાફ કરવાનું પણ કામ કરે. ક્યારેક ભોજન શરીરને બગાડે તો પાણી રેચક-પાચક સ્વભાવવાળું હોય તો શરીરને શુદ્ધ કરે. ભગવાનના અભિષેક વખતે વપરાતું પાણી તેમજ ઘરમાં શુભ દિવસે મૂકાતો પાણીનો કળશ પણ મંગળ સૂચક છે.
સંસારમાં ક્યારેક, “તમારામાં પાણી હોય તો બતાડો”, “પાણીદાર ઘોડો છે', “ઘણાં વાત કરતાં શ્રોતાને પાણી પાણી કરી નાખે છે અથવા શ્રોતા વૈરાગ્યભાવે યા કરૂણા ભાવે આંખમાંથી અશ્રુ (પાણી) પણ વહાવે છે. ક્યારેક આનંદના તો ક્યારેક દુઃખના પણ આંસુ વહે છે. ટૂંકમાં શરીરમાં પાંચ તત્વ (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ)માં પણ પાણીના ભાગને સ્વીકારેલ છે.
તપધર્મને આહાર સાથે નજીકનો સંબંધ છે. આ જીવે અનંતકાળથી અનંતી વખતે આહાર કર્યો તો પણ તે સંતોષ ન પામ્યો. તેથી વૈરાગ્યવાન થઈ આહાર સંજ્ઞાને ઘટાડવા માટે સિદ્ધસેન દિવાકરસૂરિએ આઠ વર્ષ આયંબિલ તપ કર્યું.
સ્ત્રીરત્ન સુંદરીએ ૨ કરોડ ૧૯ લાખથી અધિક (૬૦ હજાર વર્ષ) આયંબિલ કર્યા. જગતુચંદ્રસૂરિજીએ, વર્ધમાનસૂરિજીએ વર્ધમાન તપની ૧૦૦ ઓળી આયંબિલ તપ દ્વારા કરી. જ્યારે દમયંતી સતિએ આયંબિલ તપ દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના કરી.
ત્યાગધર્મની વૃદ્ધિ માટે શીલભદ્રસૂરિજીએ, માનદેવસૂરિજીએ ધર્મઘોષસૂરિજીએ ઘણાં વર્ષો સુધી જીવનમાં છ વિગઈનો ત્યાગ કરેલ. વિગઈ એ ઈન્દ્રિયોના વિકારોને પોષનાર પદાર્થ છે. એનો ત્યાગ ઈન્દ્રિયોને વશ કરવા માટે અણમોલ સાધન છે. જેણે મનને માર્ય-મનને મનાવ્યું તેને કાંઈ જ અશક્ય નથી.
શાસ્ત્રમાં *આહારના ઓજ આહાર, લોમ આહાર અને કવલ આહાર જેવા પ્રકારો કહ્યા છે. તેજ રીતે પાણીના પણ પ્રકારોને દવબિંદુ, (ઓસ), કરા, બરફ, લીલી વનસ્પતિ ઉપરનું પાણી, ઘનોદધિ વગેરે દર્શાવીને એ સચિત પાણીની વિરાધના અજ્ઞાનતાથી ન થાય તે માટે કાળજી રાખવાની છે.
ભોજન કોણ કેવા પ્રકારે કરે છે? તે પણ જાણવા જેવું છે. તેના ઉપરથી માનવીએ કઈ રીતે ભોજન કરવું એનું માર્ગદર્શન તારવણી રૂપે મળી જશે. * ઓજ આહારઃ ઉત્પત્તિના પહેલા સમયે રૂપ લાવણ્ય માટે.
લોમ આહાર : શરીર ઉપરના રૂવાટા દ્વારા ગ્રહણ કરે. કવલ આહાર : જમ્યા પછી ભૂખ ભાંગવા માટે જે ગ્રહણ કરાય.