________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન ઉપાય છે. શ્રી તીર્થંકરપ્રભુએ શાસ્ત્રમાં તેને અનુસારે જ સાધના માર્ગ દર્શાવ્યો છે. ખાલી કોરું જ્ઞાન આત્માને લાભ કરતું નથી. યથેચ્છ તર્કો લગાવીને વસ્તુતત્ત્વને સમજવાના અને સમજાવવાના પ્રયત્નો તે સાચું જ્ઞાન નથી. શાસ્ત્રો, પુસ્તકો કે સ્વતંત્ર ચિંતનો દ્વારા માત્ર માહિતિનો ભંડાર એકઠો કરી જ્ઞાન વૃદ્ધિ કરવાનો પ્રયત્ન તે પણ સાચું જ્ઞાન નથી, તે પ્રયત્ન આત્મહિતકર બનતો નથી. વિશાળ અને અગાધ રહસ્યોથી ભરેલા વિશ્વના પદાર્થોરૂપી સમુદ્રમાં એકાદ ડૂબકી જેવા વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા વસ્તુતત્ત્વનો નિર્ણય કરવાનો પ્રયત્ન એ પણ સાચું જ્ઞાન નથી. આ સઘળો જ્ઞાનવૃદ્ધિ કરવાનો પ્રયત્ન, એક નિશ્ચિતમર્યાદાવાળી જ્ઞાનવૃદ્ધિ પ્રાપ્ત કરાવી દે છે, પરંતુ આત્માને પૂર્ણજ્ઞાન તરફ દોરી જતો આ પ્રયત્ન નથી. મોહનીયકર્મ અને જ્ઞાનાવરણીયકર્મને કારણે આત્માની જ્ઞાનાદિ શક્તિઓ આવૃત થયેલી છે. તેને દૂર કરવાનો સર્વજ્ઞકથિત ઉપાય કરવાથી આત્માની પૂર્ણજ્ઞાનાદિ શક્તિ ખીલી ઉઠે છે. આધ્યાત્મિક સાધના જ જગતના રહસ્યોના પૂર્ણજ્ઞાન સુધી પહોંચાડે છે. ખાલી શુષ્કજ્ઞાન કે માત્ર માહિતીનો ભંડાર નહિ. અધ્યાત્મ વિનાની જ્ઞાનસાધના શ્રમ આપતો બોજો છે, સંસારમાં મૂંઝાવીને આત્માને દુર્ગતિમાં રખડાવનાર છે. શાસ્ત્રોમાં એવા અઢળક દૃષ્ટાંતો જોવા મળે છે કે, શ્રી તીર્થંકરભગવાને બતાવેલ સાધના-માર્ગને યથાર્થ રીતે અનુસરતાં, કોઈ તેવા કારણે શાસ્ત્ર, કે ભૌતિક-જગતના જ્ઞાનને વિશેષ પ્રકારે નહિ પ્રાપ્ત કરનારા આત્માઓએ પણ, તેમના આત્મામાં રહેલી વિશિષ્ટ યોગ્યતાના પ્રભાવે મોહકર્મનો મૂળથી નાશ કરી દીધો, અને તેના પ્રભાવે તુરત સીધી જ્ઞાનની પરાકાષ્ઠાને પામી સર્વજ્ઞ બન્યા. દા.ત. “માષ તુષ' નામથી પ્રચલિત મુનિવર ઘણી મહેનત છતાં શાસ્ત્રના શબ્દોનું વિશાળ અક્ષરજ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા. પરંતુ હૃદયમાં આત્માના જ્ઞાનગુણ પ્રત્યેના બહુમાન અને જ્ઞાની ગુરુપ્રત્યે સમર્પણ ભાવપૂર્વક તપ, સંયમને આત્માસાત્ કરી શીધ્ર સર્વજ્ઞપણાને પ્રાપ્ત કરી મુક્તિપદને પામી ગયા.