________________
૩૨૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
સારભૂત પદાર્થને માન્ય રાખે, અને સમજાવે તે નિશ્ચયનય, અને જે નય લોકપ્રસિદ્ધ પદાર્થોને માન્ય રાખે, અને સમજાવે તે વ્યવહારનય. નિશ્ચયનય વાસ્તવિક છે, અને વ્યવહારનય અવાસ્તવિક છે, તેમ સમજવાનું નથી. જ્યારે એક નય પ્રાધાન્ય અનુભવતો હોય ત્યારે, તેની અપેક્ષાએ બીજા સર્વનયો ગૌણ બની જાય છે. દરેકનું તેના પોતાના ક્ષેત્રમાં, પોતપોતાના વિષયમાં પ્રાધાન્ય છે.
નયની આ વિચારણા અતિસૂક્ષ્મ છે, અને સૂક્ષ્મબુદ્ધિથી મનન કરવા યોગ્ય છે. વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવામાં, તેમજ અધ્યાત્મક્ષેત્રમાં પણ ધર્મ અને અધર્મના ભેદનો નિશ્ચય કરવામાં અત્યંત ઉપયોગી છે. → અન્ય દર્શનો આંશિકસત્ય જણાવે છે - જૈનદર્શન વાસ્તવિકસત્ય બતાવે છે ઃ
જૈનદર્શનના આ સ્યાદ્વાદ સિદ્ધાંતે અથવા અનેકાંતવાદે (દૃષ્ટિબિંદુનો સિદ્ધાંત) દર્શનશાસ્ત્રોની શાખામાં ક્રાંતિ પેદા કરી છે. સ્યાદ્વાદ બુદ્ધિના બંધ બારણાને ખોલવાની ચાવી, અને વિચારોની વિવિધતા મધ્યે, એક સમાનતા સ્થાપવાના એક માત્ર ઉપાય તરીકે ઉપયોગી થયો છે. પ્રસિદ્ધ અમેરિકન ચિંતકના શબ્દોમાં “તે સંઘર્ષ કરતી બધી શાખાઓમાં સમાધાન કરવાનું વચન આપે છે, તે તેઓમાંના કોઈને મુખ્યત્વે કરીને તેમના ખાસ દૃષ્ટિબિંદુઓને સંપૂર્ણપણે છોડીને નહિ, પરંતુ તે એ સાબિત કરીને કે, બીજા બધાના દૃષ્ટિબિંદુઓ સમાન રીતે સ્વીકાર્ય છે. અથવા કમસેકમ તેઓ સત્યના થોડા અંશોનું નિરૂપણ છે, કે જે સત્ય કેટલાક પરિવર્તનોની અસર નીચે આલેખવું જરૂરી બને છે. અને સર્વવ્યાપક અને વિભાગીય સિદ્ધાંતની ન્યાયી એકતા મધ્યે આ વિભાગના ભેદમાં સત્યની અખંડિતતા રહેલી છે. (ન્યાયકર્ણિકા પેજ-૨૪-૨૫)